- આ ધડાકાથી પાક. સરકારને નીચા જોવા જેવું જરૂર થયું છે
- ઈસ્લામાબાદમાં શુક્રવારે 'જુમ્માની નમાજ' સમયે થયેલા આ પ્રચંડ બોમ્બ વિસ્ફોટમાં 31ના મોત : 169ને ભારે ઈજાઓ
ઈસ્લામાબાદ : પાકિસ્તાનનાં પાટનગર ઈસ્લામાબાદમાં આજ ૬ઠ્ઠી ફેબ્રુઆરી અને શુક્રવારે જુમ્માની નમાજ દરમિયાન ભારે ધડાકો થતાં ૩૧ લોકોનાં મૃત્યુ થયા હતા જ્યારે ૧૬૯ને ઈજાઓ થઈ હતી તે પૈકી કેટલાકને તો ગંભીર ઇજાઓ થઈ હતી.
'ડોન'ના રીપોર્ટ પ્રમાણે શહેરના શહજાદ-ટાઉન વિસ્તારમાં આવેલા તરલાઈ ઈમામવાડામાં જુમ્માની નમાજ વખતે થયેલા આ વિસ્ફોટ પછી બચાવ ટુકડી તુર્તજ ત્યાં પહોંચી ગઈ હતી. અને પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. ઘાયલોને પાસેની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
કમનસીબી તે છે કે આ હુમલો તેવે સમયે થયો હતો કે જ્યારે ઉઝબેકીસ્તાનના પ્રમુખ શૌકત મિર્જિયોએલ પાકિસ્તાનની બે દિવસની સત્તાવાર મુલાકાતે અહીં આવી પહોંચ્યા છે.
'ઈસ્લામાબાદ-કેપિટલ-ટેરીટરી' પોલીસના પ્રવકતા તાકી જવાદે કહ્યું હતું કે, આ વિસ્ફોટનું કારણ અને તેના વાસ્તવિક વ્યાપ વિષે અત્યારે કહેવું ઘણું વહેલું છે. 'ફોરેન્સિક-ટીમ' અત્યારે તે શોધી રહી છે કે તે આત્મઘાતી હુમલો હતો કે પ્લાંટ કરેલા બોમ્બથી થયો હતો. જોકે કેટલાક મીડિયા રીપોર્ટસમાં તે આત્મઘાતી હુમલો થયો હોવાનું જણાવાયું છે.
આ ઘટનાની ગંભીરતા જોઈને ઈસ્લામાબાદની અગ્રીમ હોસ્પિટલોમાં 'આપાતકાલીન' સ્થિતિ જાહેર કરવામાં આવી છે. પોલીક્વિનિક હોસ્પિટલ પાકિસ્તાન ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝ, વગેરેને હાઈ-એલર્ટ ઉપર મુકી દેવાઈ છે.
હજી સુધી વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. તપાસકર્મીઓ સાબિતીઓ શોધવામાં વ્યસ્ત છે. જોકે કોઈ સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. આ પૂર્વે શહેરના જી-૧૧ વિસ્તારમાં એક મોટો આત્મઘાતી વિસ્ફોટ ૧૧ નવે. ૨૦૨૫ના દિને થયો હતો તેમાં ૧૨ના મોત થયા હતા અને ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. પરંતુ પાડોશી જ કહી શકાય તેવા ઉઝબેકીસ્તાનના પ્રમુખની સત્તાવાર મુલાકાત વેળાએ જ થયેલા તેમાંયે મસ્જિદમાં થયેલા બોમ્બ ધડાકાથી પાકિસ્તાન સરકારને જરા 'નીચા જોવું' તો જરૂર થયું છે તે નિર્વિવાદ છે તેમ નિરીક્ષકોનું કહેવું છે.


