ચીન-પાકિસ્તાનની સબમરીન માટે કાળ બનશે મછલીપટ્ટનમ, ભારતીય નૌકાદળને મળી નવી દરિયાઈ તાકાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Navy Launches Indigenous Anti Submarine : સમુદ્રમાં ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ એક શક્તિશાળી સ્વદેશી શસ્ત્ર ઉમેરાયું છે. બુધવારે એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) 'મછલીપટ્ટનમ'નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલા આ પ્રકારના 8 અત્યાધુનિક યુદ્ધ જહાજોની શ્રેણીમાં આ 7મું જહાજ છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાનની વધતી ગતિવિધિઓ વચ્ચે આ યુદ્ધપોત ભારતની દરિયાઈ સુરક્ષા અને વ્યૂહાત્મક પકડને વધુ મજબૂત બનાવશે.
80%થી વધુ સ્વદેશી સામગ્રીથી નિર્માણ
કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત આ યુદ્ધપોત 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીથી તૈયાર કરવામાં આવ્યું છે, જે 'આત્મનિર્ભર ભારત' અભિયાનની મોટી સફળતા દર્શાવે છે. આ જહાજના નૌકાદળમાં સામેલ થવાથી ભારતની દરિયાકાંઠાની સુરક્ષા, દરિયાઈ નિરીક્ષણ અને દુશ્મન સબમરીનોની ઓળખ કરીને તેને નિષ્ક્રિય કરવાની ક્ષમતામાં મોટો વધારો કરશે.
પાણીની અંદર દુશ્મનની દરેક ચાલ પર નજર
'મછલીપટ્ટનમ'ને ખાસ કરીને ઓછા ઊંડાણવાળા (છીછરા) દરિયાઈ વિસ્તારોમાં ઓપરેશન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ યુદ્ધપોત અત્યાધુનિક સેન્સર્સ, સર્વેલન્સ સિસ્ટમ્સ અને શસ્ત્રોથી સજ્જ છે, જે તેને સબમરીન વિરોધી યુદ્ધ, ઓછા તીવ્રતા વાળા દરિયાઈ અભિયાનો અને માઇન-વિરોધી ઓપરેશન્સમાં સક્ષમ બનાવે છે. આ જહાજનું નામ આંધ્રપ્રદેશના ક્રિષ્ના જિલ્લાના ઐતિહાસિક બંદર શહેર 'મછલીપટ્ટનમ'ના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુલરુખ આનંદ દ્વારા જહાજનું જલાવતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વાઇસ એડમિરલ અતુલ આનંદ સહિત નેવી અને શિપયાર્ડના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એક જ અઠવાડિયામાં નૌકાદળને મળ્યો બીજો સ્વદેશી યોદ્ધા
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 22 જુલાઈના રોજ ભારતીય નૌકાદળમાં 'INS માલવણ'ને સામેલ કરવામાં આવ્યું હતું. તે પણ માહે શ્રેણીનું સ્વદેશી એન્ટી-સબમરીન વોરફેર ક્રાફ્ટ છે. કારવાર ખાતે સામેલ કરાયેલું INS માલવણ પણ, છીછરા પાણીમાં સબમરીનોની ભાળ મેળવવામાં સક્ષમ છે. સતત બે સ્વદેશી એન્ટી-સબમરીન યુદ્ધ જહાજોના આગમનથી હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળની તાકાત નવી ઊંચાઈએ પહોંચી છે.









