World

શેખ હસીના જેવા હાલ થશે : તારિક રહેમાન ઉપર યુનુસના સમર્થકો ભડક્યા

By GS TEAM
20 Feb 20262 mins read
શેખ હસીના જેવા હાલ થશે : તારિક રહેમાન ઉપર યુનુસના સમર્થકો ભડક્યા

- યુનુસ સમર્થક નાહિદ ઇસ્લામે આક્ષેપ કર્યો છે કે તારિક રહેમાન શેખ હસીના અને ભારત સાથે મળેલા છે : સાથે આંદોલનની ધમકી આપી

ઢાંકા : બાંગ્લાદેશમાં તારિક રહેમાને પદ સંભાળતાં જ મોહમ્મદ યુનુસના સમર્થકોએ તેમની ઉપર આક્ષેપો વરસાવવા શરૂ કરી દીધા છે. નાહિદ ઇસ્લામે કહ્યું હતું કે તારિક રહેમાન શેખ હસિના અને ભારત સાથે મળેલા છે. આ સાથે તેમણે દેશવ્યાપી આંદોલનની પણ ધમકી આપી છે.

વાસ્તવિક્તા તે છે કે તારિક રહેમાને પદ સંભાળતા સાથે સૌથી પહેલાં ભારત સાથે સંબંધો સુધારવાની કવાયત શરૂ કરી દીધી છે. આ ઉપરાંત પ્રતિબંધિત જાહેર કરાયેલી પાર્ટી આવામી લીગની ઓફીસો એક પછી એક ખુલી રહી છે. આ પરિસ્થિતિ મોહમ્મદ યુનુસના સમર્થકોને પસંદ પડતી નથી.

નાહીદ ઇસ્લામ નેશનલ સીટીઝન પાર્ટીનો સંયોજક છે. તેની પાર્ટીએ જ જુલાઈ ૨૦૨૪માં શેખ હસીના વિરૂદ્ધ આંદોલન શરૂ કરી દીધું હતું. પરિણામે શેખ હસીના સરકાર ગઈ અને વચગાળાની સરકાર બની તેના મુખ્ય સલાહકાર તરીકે મોહમ્મદ યુનુસ હતા. તે વચગાળાની સરકારે તેમ જ યુનુસે ભારત વિરૂદ્ધ ખૂબ એજન્ડા ચલાવ્યો. તે ઉપરાંત લઘુમતિઓ ઉપર ભારે હુમલાનો સીલસીલો શરૂ થયો. યુનુસે ખુલ્લેઆમ પાકિસ્તાન સાથે નિકટતા કેળવણી શરૂ કરી. ભારતની ટીકા કરવી શરૂ કરી.

હવે તારિક રહેમાન વડાપ્રધાન બનતાં યુનુસ સમર્થકોમાં ખળભળાટ થઇ ગયો છે. તાહિદ ઇસ્લામે આક્ષેપો પર આક્ષેપો કરતાં કહ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓનાં ભારત, આવામી લીગ અને બીએનપી મળી ગયા હતા. જો બીએનપી આવામી લીગની રાજનીતિ ફરી અમલી કરશે તો તેનો કટ્ટર વિરોધ કરાશે. આવામી લીગની ઓફીસો ફરી કેમ ખુલી છે તે પર સરકારે જવાબ દેવો જોઇએ.