World

શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાનના નેતાઓની હત્યા કરવા માંગતુ હતું ઈઝરાયલ, અમેરિકાએ બચાવ્યા: રિપોર્ટ

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલે સનસનાટી મચાવી છે. અમેરિકાએ ઇઝરાયલને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી અને સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફની હત્યા કરવાની યોજના સામે ચેતવણી આપી હતી. શાંતિ મંત્રણા ખોરવાઈ ન જાય તે માટે અમેરિકાએ ઇઝરાયલને દબાણ કર્યું હતું. સ્પીકર ગાલિબાફ બે વખત ઇઝરાયલી હુમલામાંથી બચ્યા હતા, જેમાં એકવાર ઇઝરાયલી ફાઈટર જેટ્સે તેમનું વિમાન તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાનના નેતાઓની હત્યા કરવા માંગતુ હતું ઈઝરાયલ, અમેરિકાએ બચાવ્યા: રિપોર્ટ

US Warns Iran Israeli Assassination plot 2026: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના અખબાર 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલમાં એક સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં શરૂ થયેલી શાંતિ મંત્રણા ખોરવાઈ ન જાય તે માટે અમેરિકાએ મિડલ ઈસ્ટના અન્ય દેશોનો સંપર્ક કરીને ઈરાનને એક મોટી ચેતવણી મોકલી હતી. અમેરિકાને ડર હતો કે ઈઝરાયલ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી અને સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. જેનાથી ચાલી રહેલી વાટાઘાટો અને યુદ્ધવિરામ સંપૂર્ણપણે નાશ પામી શકે છે.

શાંતિ મંત્રણા શરૂ થતાં જ યુએસ-ઈઝરાયલના હેતુઓ અલગ પડ્યા

28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયલી હુમલામાં ઈરાનના તત્કાલીન સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખામેનેઈના મોત બાદ આ યુદ્ધ શરૂ થયું હતું. યુદ્ધના શરૂઆતના તબક્કામાં અમેરિકા અને ઈઝરાયલ સાથે હતા, પરંતુ એપ્રિલમાં જ્યારે અમેરિકાએ શાંતિ કરાર માટે દબાણ શરૂ કર્યું ત્યારે ઈઝરાયલે તેનો વિરોધ કર્યો હતો. ઈઝરાયલ ઈરાનમાં સત્તા પરિવર્તન અને તેની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે નષ્ટ કરવા માંગતું હતું. જોકે, અમેરિકી અધિકારીઓના મતે, જો અરાગચી અને ગાલિબાફ જેવા મહત્વના નેતાઓ પર હુમલો થયો હોત, તો મંત્રણા બંધ થઈ જાત અને યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ લઇ શકત. આ બંને નેતાઓ માર્ચ મહિનાથી જ ઈઝરાયલની હિટલિસ્ટમાં હતા, પરંતુ અમેરિકાના દબાણ બાદ તેમના નામ હટાવવામાં આવ્યા હતા.

ઈઝરાયલી ફાઈટર જેટ્સથી સ્પીકર ગાલિબાફનો આબાદ બચાવ

અહેવાલમાં જણાવ્યા અનુસાર, સ્પીકર ગાલિબાફ અત્યાર સુધીમાં બે વાર કાટમાળ નીચેથી જીવતા બહાર આવ્યા છે. તાજેતરમાં જ્યારે તેઓ અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ સાથેની મુલાકાત બાદ તેહરાન પરત ફરી રહ્યા હતા, ત્યારે ઈરાની ઈન્ટેલિજન્સે એક મોટો ખતરો પકડી પાડ્યો હતો. ઈઝરાયલ તેમના વિમાનને હવામાં જ તોડી પાડવાની યોજના બનાવી રહ્યું હતું અને તેના બે ફાઈટર જેટ્સ ઈરાની એરસ્પેસમાં પણ ઘૂસી ગયા હતા. જોકે, સમયસૂચકતા વાપરીને વિમાનનું પાકિસ્તાની સરહદ નજીક આવેલા મશહાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને ગાલિબાફ ત્યાંથી રોડ માર્ગે તેહરાન પહોંચ્યા હતા.

ટ્રમ્પ ઈચ્છે છે કે શાંતિ વાર્તા સફળ થાય

આ પ્રકારના મોટા જોખમો છતાં ઈરાની નેતાઓએ મુસાફરી ચાલુ રાખી છે અને મે મહિનામાં તેઓ સ્વિટ્ઝર્લેન્ડ અને કતાર પણ ગયા હતા. જૂન મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ખોલવા અને પરમાણુ મુદ્દે પ્રાથમિક સમજૂતી સધાઈ હતી. જેનેઈઝરાયલે 'ડિઝાસ્ટર' (આફત) ગણાવી હતી કારણ કે આ કરારથી ઈરાનને અબજો ડોલર મળવાના છે. રિપોર્ટ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રવધૂ જેરેડ કુશ્નર અને સ્ટીવ વિટકોફની આગેવાની હેઠળનું ડેલિગેશન સતત ઈરાન સાથે ચર્ચામાં છે અને ટ્રમ્પ ઈચ્છે છે કે આ શાંતિ મંત્રણા કોઈ પણ ભોગે સફળ થાય.