Get The App

લેબેનૉન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, 'કોમ્બેટ ઝોન' જાહેર; મકાનો બન્યા કાટમાળ

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
લેબેનૉન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, 'કોમ્બેટ ઝોન' જાહેર; મકાનો બન્યા કાટમાળ 1 - image

IDF Evacuation Order Southern Lebanon: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ ફરી એકવાર સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ઈઝરાયલી સેનાએ(IDF) દક્ષિણ લેબેનૉનના એક વિશાળ વિસ્તારને કોમ્બેટ ઝોન જાહેર કરીને ત્યાં વસતા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરી દેવાનો આદેશ આપ્યો છે. સેનાએ નાગરિકોને સરહદથી આશરે 40 કિલોમીટર દૂર આવેલી ઝહરાની નદીની ઉત્તરે જતાં રહેવા જણાવ્યું છે. 17 એપ્રિલે યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ આ અત્યાર સુધીનો સૌથી મોટો ઇવેક્યુએશન ઑર્ડર છે, જે લેબેનૉનના અંદાજે 14% વિસ્તારને આવરી લે છે.

અત્યંત ક્રૂરતાપૂર્વક હુમલા કરવાની ઈઝરાયલની ચીમકી

ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાહ પર વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતાં કહ્યું છે કે, તેઓ હવે આ વિસ્તારમાં અત્યંત આક્રમક બળ સાથે લશ્કરી કાર્યવાહી કરશે. આ ચેતવણી બાદ ઈઝરાયલે દક્ષિણના મોટા શહેર તાયર (Tyre) પર જોરદાર એરસ્ટ્રાઇક કરી છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ છે. અહેવાલો મુજબ, છેલ્લા 24 કલાકમાં ઈઝરાયલી સેનાએ 9 વખત વિસ્તાર ખાલી કરવાની ચેતવણીઓ જાહેર કરી છે.

300થી વધુ ગામડાંઓ પ્રભાવિત, વિસ્થાપિતો માટે રહેવા જગ્યા નથી

ઝહરાની નદીની દક્ષિણના વિસ્તારોને ખાલી કરવાના આ આદેશથી લગભગ 300 નગરો અને ગામડાંઓ પ્રભાવિત થયા છે. ઇન્ટરનેશનલ કમિટી ઑફ ધ રેડ ક્રોસ(ICRC)ના લેબેનૉન ખાતેના વડા એગ્નેસ ધુરના જણાવ્યા અનુસાર, દક્ષિણ લેબેનૉનની સ્થિતિ હવે અત્યંત જોખમી વળાંક પર પહોંચી ગઈ છે. કિનારાના શહેર સિદોન(Sidon)માં હવે વિસ્થાપિત પરિવારોને આશરો આપવા માટે જગ્યા બચી નથી, તેથી લોકોને વધુ પૂર્વમાં આવેલી બેકા વેલી અને માઉન્ટ લેબેનૉન તરફ જવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

બીજી તરફ, હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે સરહદથી 30 કિમી દૂર આવેલી ઝાવતાર અલ-શર્કિયા નામના નગરમાં તેમના લડવૈયાઓ ઈઝરાયલી સૈનિકો સાથે સામસામે છે.

આ પણ વાંચો : કર્ણાટકના CM સિદ્ધારમૈયા આપશે રાજીનામું: કેબિનેટમાં જાહેરાત, ડિકે શિવકુમારે કર્યા ચરણસ્પર્શ

પીએમ નેતન્યાહુએ ગ્રાઉન્ડ ઓપરેશન વધારવાની કરી જાહેરાત

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કેબિનેટ બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે, ઈઝરાયલી સેના દક્ષિણ લેબેનૉનમાં પહેલેથી કબજે કરેલી જમીનની સરહદથી પણ આગળ વધીને પોતાનું ઓપરેશન વધારે ગાઢ કરી રહી છે. નેતન્યાહુએ કહ્યું કે, અમે ઈઝરાયલના ઉત્તરીય સમુદાયોના રક્ષણ માટે સુરક્ષા ક્ષેત્રને વધુ મજબૂત અને વ્યાપક બનાવી રહ્યા છીએ. આ ગંભીર સૈન્ય ગતિવિધિઓને કારણે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો જોખમમાં મૂકાઈ ગઈ છે.

યુદ્ધના ભયાનક આંકડા

2 માર્ચથી શરૂ થયેલા આ સંઘર્ષમાં લેબેનૉનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં આશરે 3213 લોકોના મોત થયા છે. આ જ સમયગાળા દરમિયાન ઈઝરાયલના 23 સૈનિકો અને 4 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે.