- અમારે અમેરિકાના નાગરિકો સાથે કોઈ વેર નથી : પેઝેશ્કીયાન
- પ્રમુખ પેઝેશ્કીયાને અમેરિકાના નાગરિકોને ખુલ્લો પત્ર પાઠવ્યો છે. તેમાં ઇરાન આક્રમક નથી તેમ કહેતાં જણાવ્યું : અમેરિકા- ફર્સ્ટની નીતિનું શું થયું ?
તહેરાન : ઇરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાને અમેરિકાની જનતાને લખેલા ખુલ્લા પત્રમાં જણાવ્યું હતું કે તમે ટ્રમ્પને જઇને પૂછો તો ખરા કે તમે લડો છો શા માટે ? શું તમે ઇઝરાયલના પ્યાંદા બની ગયા છો ? આ સાથે તેમણે આ યુદ્ધ પાછળના ટ્રમ્પના હેતુ માટે પણ પ્રશ્ન કર્યો હતો. તે સાથે અમેરિકનોને કહ્યું કે ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી હતી. તો તેનું શું થયું ? વાસ્તવમાં ટ્રમ્પની અત્યારની નીતિનો તેઓ ઇઝરાયલ વતી લડી રહ્યા હોય તેમ સ્પષ્ટ કરે છે અને તે પણ ત્યાં સુધી કે તેઓ (ઇઝરાયલ માટે) છેલ્લા અમેરિકન સૈનિક સુધી લડી લેવા માગે છે.
પ્રમુખ ટ્રમ્પે ગઇકાલે અમેરિકાની જનતા જોગ કરેલાં સંબોધન પછી તેનો વળતો જવાબ આપતા હોય તેમ ઇરાનના પ્રમુખે કહ્યું હતું કે ઇરાન આક્રમક છે તે હકીકત જ મૂળભૂત રીતે ખોટી છે. આ સાથે તેમણે ૧૯૫૩માં ઇરાનમાં થયેલા બળવાની યાદ આપતાં જણાવ્યું હતું કે વાસ્તવમાં તે સમયથી જ ઇરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ઉભો થયો છે.
પેઝેશ્કીયાને તે ખુલ્લા પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ઇરાનના લોકોને કોઈપણ દેશ સાથે વેરભાવ છે જ નહીં. અમોને અમેરિકનો પ્રત્યે પણ વેરભાવ નથી, કે યુરોપના લોકો પ્રત્યે પણ વેરભાવ નથી.
ઇરાનનો ઇતિહાસ ટાંકતાં તેમણે કહ્યું કે અમારા ગૌરવપૂર્ણ ઇતિહાસ દરમિયાન અમે અનેક વિદેશી આક્રમણો જોયાં છે. તેને મારી પણ હઠાવ્યા છે તેટલું જ નહીં પરંતુ ઇરાનીઓ સરકાર અને સરકાર જેની ઉપર શાસન કરે છે તે જનસામાન્ય વચ્ચે રહેલી એક સ્પષ્ટ ભેદરેખા બરોબર જાણે છે. તે અમારી સંસ્કૃતિમાં છે, અમારાં માનસ સાથે વણાઈ ગયેલી વાત છે કોઈ કામ ચલાઉ બાબત નથી. પરંતુ અમે ઊભાં કરેલાં બહાનાં ચલાવી નહીં લઇએ. તેમજ ઇઝરાયલના રાજકીય હેતુઓ માટે અમારાં સેનાકીય તેમજ ઔદ્યોગિક સંકૂલો ઉપર થતા હુમલાઓ નહીં ચલાવી લઇએ.


