Get The App

યુરેનિયમ આપવાનો સવાલ જ નથી: સીઝફાયર વચ્ચે ઈરાનનો અમેરિકાને ફરી જડબાતોડ જવાબ

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
યુરેનિયમ આપવાનો સવાલ જ નથી: સીઝફાયર વચ્ચે ઈરાનનો અમેરિકાને ફરી જડબાતોડ જવાબ 1 - image


Iran America War Update: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન પોતાનું સંવર્ધિત યુરેનિયમ કોઈ પણ બીજા દેશને હસ્તાંતરિત કરશે નહીં. આ સાથે જ તેમણે તે વાતને પણ ફગાવી દીધી છે કે, આ યુરેનિયમ અમેરિકા મોકલવા પર ક્યારેય વિચાર પણ કરવામાં આવ્યો હતો.

યુદ્ધવિરામ કે નવી સમજૂતી?

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીના હાલના નિવેદનો પર સ્પષ્ટતા કરતા બઘાઈએ જણાવ્યું કે, 8 એપ્રિલના રોજ ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલ યુદ્ધવિરામનો અમલ થઈ રહ્યો છે. જોકે, આ કોઈ નવી વાતચીત કે સંબંધો સુધારવાનો સંકેત નથી. અગાઉ અરાઘચીએ સંકેત આપ્યો હતો કે, હોર્મુઝની ખાડી વ્યાપારી જહાજો માટે ખુલ્લી રહેશે. જેનો અર્થ એ હતો કે તેહરાને વોશિંગ્ટન સાથેના કરાર મુજબ સુરક્ષિત રસ્તાની વ્યવસ્થા લાગુ કરી છે.

આ પણ વાંચો: અમેરિકા-ઇરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીતની તારીખ નક્કી! શાંતિ મંત્રણા ફરી ઈસ્લામાબાદમાં

અમેરિકા પર વચનભંગનો આરોપ

ઈરાને ગંભીર આરોપ લગાવ્યો છે કે, અમેરિકાએ શરૂઆતથી જ આ સમજૂતીનું પાલન કર્યું નથી. ખાસ કરીને લેબનાન પર યુદ્ધવિરામ લાગુ કરવાના વચનને અમેરિકાએ નિભાવ્યું નથી.

હોર્મુઝમાં વધતો તણાવ

બઘાઈએ ચેતવણી આપી છે કે, જો અમેરિકા હોર્મુઝની ખાડીમાં નૌકાદળની નાકાબંધી ચાલુ રાખશે, તો ઈરાન જડબાતોડ જવાબ આપશે. નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી ઈરાને આ રસ્તા પર પોતાની પકડ મજબૂત કરી છે. ઈઝરાયલ-અમેરિકાના જહાજો પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઈરાન પર થયેલા હુમલાના જવાબમાં આ દેશોના જહાજો માટે રસ્તો બંધ કરાયો હતો. જવાબી કાર્યવાહીમાં અમેરિકાએ પણ ઈરાની બંદરો પર નાકાબંધી કરી છે.

પાકિસ્તાનમાં મધ્યસ્થીના પ્રયાસો

હાલમાં પાકિસ્તાનના નેતૃત્વમાં આ સંઘર્ષને શાંત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઈસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ અસફળ રહ્યો હતો, પરંતુ અહેવાલો મુજબ, રવિવારે ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતનો બીજો રાઉન્ડ યોજાઈ શકે છે.