Middle East Tensions: મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દેશની પરમાણુ નીતિ અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટું નિવેદનો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, 'ઈરાનની ન્યૂક્લિયર હથિયાર ન વિકસાવવાની મૂળભૂત નીતિમાં હાલ કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ યુદ્ધ પછી હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ પહેલા જેવી રહેશે નહીં.'
પરમાણુ નીતિ અને ધાર્મિક ફતવો
ઈરાનના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, 'પરમાણુ કાર્યક્રમ માત્ર વીજળી ઉત્પાદન અને શાંતિપૂર્ણ હેતુઓ માટે જ છે.' નોંધનીય છે કે, વર્ષ 2000માં પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈએ પરમાણુ હથિયારો વિરુદ્ધ ફતવો જાહેર કર્યો હતો. જોકે, અરાઘચીએ ઉમેર્યું કે, 'ફતવો તે ધાર્મિક નેતા પર નિર્ભર કરે છે જે તેને જાહેર કરે છે.' નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ હજુ આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી, જેના કારણે ભવિષ્યની વ્યૂહનીતિ અંગે અટકળો તેજ થઈ છે. બીજી તરફ અમેરિકા અને ઈઝરાયલ સતત ઈરાન પર ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રો વિકસાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
નાગરિક વિસ્તારો પર હુમલા અંગે ઘટસ્ફોટ
ગલ્ફ દેશોમાં રહેણાંક વિસ્તારો પર થયેલા હુમલા અંગે પૂછવામાં આવતા અરાઘચીએ બચાવ કરતા કહ્યું કે, યુએસ દળોએ જાણીજોઈને શહેરી વિસ્તારોની નજીક આશરો લીધો છે. તેમણે સ્વીકાર્યું કે આનાથી સ્થાનિક લોકોમાં રોષ છે, પરંતુ તેમણે આ તમામ પરિસ્થિતિ માટે 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ કરનાર અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું.
અરાઘચીએ અંતમાં ઉમેર્યું કે યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે સમગ્ર ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થપાશે અને ઈરાનને થયેલા નુકસાનનું યોગ્ય વળતર મળશે.
વૈશ્વિક ઓઇલ પુરવઠા પર સંકટ
વિશ્વના કુલ ઓઇલ અને ગેસ પુરવઠાનો 20 ટકા ભાગ જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝ સ્ટ્રેટ અત્યારે સંઘર્ષનું કેન્દ્ર બન્યું છે. ઈરાને આ માર્ગ બંધ કરવાની અને અમેરિકા કે તેના સાથી દેશોના જહાજોને પસાર થતા રોકવાની ચેતવણી આપી છે. અરાઘચીએ સૂચન કર્યું કે યુદ્ધ બાદ તમામ ગલ્ફ દેશોએ મળીને હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા નિયમો બનાવવા જોઈએ.
અમેરિકા આ માર્ગને સુરક્ષિત કરવા માટે નાટો દેશોનું ગઠબંધન ઈચ્છતું હતું, પરંતુ ફ્રાન્સ સહિતના દેશોએ યુદ્ધવિરામ વગર જોડાવાનો ઇનકાર કર્યો છે. ઈરાની સંસદના સ્પીકરે પણ ભાર પૂર્વક કહ્યું છે કે આ યુદ્ધ પછી હોર્મુઝ સ્ટ્રેટની ભૌગોલિક અને રાજકીય સ્થિતિ બદલાઈ જશે.


