Iran America War : પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના જોખમ વચ્ચે ઈરાને ભારત પર મોટો ભરોસો જતાવ્યો છે. ઈરાનનું માનવું છે કે, ભારત એક એવો દેશ છે જે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મધ્યસ્થી કરી તણાવ ઓછો કરાવી શકે છે. ભારતની બેલેન્સ્ડ વિદેશ નીતિને કારણે ઈરાને તેને એક પ્રભાવશાળી ખેલાડી ગણાવ્યો છે.
ભારત કેમ છે મહત્વનું?
ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ સાઉથનો અગ્રણી દેશ છે અને તેની વિદેશ નીતિ હંમેશા સંતુલિત રહી છે. ભારતના તમામ પક્ષો અમેરિકા અને ઈરાન બંને સાથે વ્યૂહાત્મક સંબંધો છે, જે તેને ગેરસમજ દૂર કરવા માટે એક ભરોસાપાત્ર પક્ષ બનાવે છે. ભારત મધ્યસ્થી દ્વારા રાજદ્વારી રસ્તાઓ મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. ભારત સરકારે સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે, PM મોદીએ ટ્રમ્પ સાથેની ચર્ચામાં ભાર મૂક્યો છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જલ્દી ખતમ થવું જોઈએ, કારણ કે આ યુદ્ધથી સમગ્ર વિશ્વને નુકસાન થઈ રહ્યું છે.
પાકિસ્તાન પર એસ. જયશંકરનો પ્રહાર
વિદેશ મંત્રી એસ. જયશંકરે મિડલ ઈસ્ટ સંકટ પર બોલાવવામાં આવેલી બેઠકમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે કોઈ 'દલાલ રાષ્ટ્ર' નથી. પાકિસ્તાનના મધ્યસ્થતાના પ્રયાસોમાં કંઈ નવું નથી, અમેરિકા 1981થી તેનો ઉપયોગ કરી રહ્યું છે.
ઈરાને અમેરિકાનો પ્રસ્તાવ ફગાવ્યો
એક તરફ ભારત શાંતિની અપીલ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ઈરાને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને ફગાવી દીધો છે. ઈરાને ઇઝરાયલ અને ખાડી દેશો પર હુમલા તેજ કર્યા છે, જેનાથી સ્થિતિ વધુ વણસી રહી છે. આવી સ્થિતિમાં ભારતની ભૂમિકા વધુ નિર્ણાયક બની જાય છે.


