India Argentina LPG Deal: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઊભું થયું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા અવરોધને કારણે ભારતની LPG સપ્લાય ચેઈન પર માઠી અસર પડી છે, કારણ કે ભારતની 60% ગેસ આયાત આ જ માર્ગે થાય છે. આ મુશ્કેલ સમયમાં દક્ષિણ અમેરિકન દેશ આર્જેન્ટિના ભારત માટે એક મોટા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. 20,000 કિલોમીટરનું અંતર હોવા છતાં, આર્જેન્ટિનાએ ભારતની ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે રેકોર્ડબ્રેક મદદ મોકલી છે.
આયાતમાં ધરખમ વધારો: 2025 કરતા બમણો જથ્થો મોકલાયો
આર્જેન્ટિના અને ભારત વચ્ચેના ઊર્જા સંબંધોમાં આવેલી તેજી આંકડાઓ પરથી સ્પષ્ટ દેખાય છે. વર્ષ 2026ના પ્રથમ ત્રણ મહિનામાં જ આર્જેન્ટિનાએ ભારતને 50,000 ટન LPGની નિકાસ કરી છે, જે વર્ષ 2025માં મોકલાયેલા કુલ 22,000 ટન કરતા બમણાથી પણ વધુ છે. યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા જ આર્જેન્ટિનાના 'બાહિયા બ્લાન્કા' બંદરથી અંદાજે 39,000 ટન ગેસ ભારતીય કિનારે પહોંચી ચૂક્યો હતો. વધુમાં, 5 માર્ચના રોજ 11,000 ટનનું વધુ એક શિપમેન્ટ ભારત માટે રવાના કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વર્ષ 2024 પહેલા આર્જેન્ટિનાએ ભારતને ક્યારેય LPGની સપ્લાય કરી નહોતી.
ભારતની દૂરંદેશી અને 'એનર્જી ડાયવર્સિટી' વ્યૂહનીતિ
ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો અગસ્ટિન કૌસિનોએ ભારત સરકારની 'ઊર્જા વિવિધતા વ્યૂહનીતિ'ના વખાણ કર્યા છે. ભારત હવે માત્ર એક-બે દેશો પર નિર્ભર રહેવાને બદલે 40થી વધુ દેશો સાથે ઊર્જા સપ્લાય નેટવર્ક બનાવી રહ્યું છે. આર્જેન્ટિના પાસે ગેસનો વિશાળ ભંડાર છે અને તેમની રાષ્ટ્રીય કંપનીના વડાઓએ ગત વર્ષે ભારતની મુલાકાત લઈને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી સાથે અનેક બેઠકો કરી હતી. જોકે, આ ભાગીદારીમાં સૌથી મોટો પડકાર 20,000 કિલોમીટર લાંબો દરિયાઈ માર્ગ છે, જે પરિવહન ખર્ચ અને સમય વધારે છે, છતાં વર્તમાન સંજોગોમાં આ સહયોગ ભારત માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થયો છે.
આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ઈરાનને ભારત પર વિશ્વાસ, કહ્યું - તણાવ ઘટાડવામાં અસરદાર ભૂમિકા ભજવવા સક્ષમ
સ્થાનિક સ્તરે સરકારના રાહતલક્ષી પગલાં
આયાતના નવા વિકલ્પો શોધવાની સાથે ભારત સરકારે ઘરેલું મોરચે પણ મજબૂત પગલાં લીધા છે. હોસ્પિટાલિટી અને ફૂડ સર્વિસ સેક્ટરને રાહત આપવા માટે કોમર્શિયલ LPGના ક્વોટામાં 20%નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘરોમાં રાંધણ ગેસનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન આપવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવી છે. સરકારના આ પ્રયાસોથી યુદ્ધના સમયમાં પણ દેશમાં ઈંધણની તીવ્ર અછત સર્જાય તેવી શક્યતા ઓછી છે.


