Get The App

અફઘાનિસ્તાનની વહારે આવ્યું ભારત! પાકિસ્તાની એરસ્ટ્રાઈકમાં 400 મોત બાદ મોકલી 'સંજીવની'

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
India Sends 2.5 Tons of Medical Aid to Kabul


India Sends 2.5 Tons of Medical Aid to Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક નશામુક્તિ કેન્દ્ર પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા બાદ સર્જાયેલી માનવીય કટોકટીમાં ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. આ વિનાશક હુમલામાં 400 લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. આ મુશ્કેલ સમયમાં અફઘાન નાગરિકોની વહારે આવતા ભારતે 2.5 ટન કટોકટીની તબીબી સહાય કાબુલ મોકલી છે. આ સહાયમાં દવાઓ, મેડિકલ કિટ્સ અને અન્ય જરૂરી તબીબી ઉપકરણોનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, ભારત આ કપરા સમયમાં અફઘાન લોકોની સાથે મક્કમતાથી ઊભું છે.

માનવાધિકાર સંગઠનો દ્વારા હુમલાની તપાસનો આગ્રહ

બીજી તરફ, આ હુમલા બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. 16 માર્ચની રાત્રે પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા આ હુમલાની વૈશ્વિક સ્તરે આકરી ટીકા થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ નાગરિકોના મોત પર ચિંતા વ્યક્ત કરી આ મામલે તપાસની માંગ કરી છે. હુમલા બાદ તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે હવે કૂટનીતિનો સમય પૂરો થયો છે અને આ હુમલાનો બદલો લેવામાં આવશે.

આ પણ વાંચો: ટ્રમ્પનો યુ-ટર્ન: એક કલાક પહેલા કહ્યું 'સીઝફાયર નહીં કરું', પછી બોલ્યા 'હવે યુદ્ધ ખતમ થવું જોઈએ'

શાંતિ માટેના પ્રયાસો

વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે અત્યારે બંને પક્ષો દ્વારા કામચલાઉ સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાને ઈદ-ઉલ-ફિતર અને સાઉદી અરેબિયા, તૂર્કીયે તથા કતાર જેવા મિત્ર ઈસ્લામિક દેશોની વિનંતીને ધ્યાનમાં રાખીને 'ઓપરેશન ગઝબ લિલ-હક' પર થોડા દિવસો માટે રોક લગાવી છે. પાકિસ્તાનની આ જાહેરાત બાદ તાલિબાને પણ પોતાના સૈન્ય અભિયાનો અટકાવવાનો નિર્ણય લીધો છે. જોકે, સરહદ પરની સ્થિતિ હજુ પણ સંવેદનશીલ બનેલી છે અને રશિયા તથા અન્ય દેશો આ વિવાદને શાંત કરવા પ્રયાસો કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનની વહારે આવ્યું ભારત! પાકિસ્તાની એરસ્ટ્રાઈકમાં 400 મોત બાદ મોકલી 'સંજીવની' 2 - image