India Sends 2.5 Tons of Medical Aid to Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક નશામુક્તિ કેન્દ્ર પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા બાદ સર્જાયેલી માનવીય કટોકટીમાં ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. આ વિનાશક હુમલામાં 400 લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. આ મુશ્કેલ સમયમાં અફઘાન નાગરિકોની વહારે આવતા ભારતે 2.5 ટન કટોકટીની તબીબી સહાય કાબુલ મોકલી છે. આ સહાયમાં દવાઓ, મેડિકલ કિટ્સ અને અન્ય જરૂરી તબીબી ઉપકરણોનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, ભારત આ કપરા સમયમાં અફઘાન લોકોની સાથે મક્કમતાથી ઊભું છે.
માનવાધિકાર સંગઠનો દ્વારા હુમલાની તપાસનો આગ્રહ
બીજી તરફ, આ હુમલા બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. 16 માર્ચની રાત્રે પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા આ હુમલાની વૈશ્વિક સ્તરે આકરી ટીકા થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ નાગરિકોના મોત પર ચિંતા વ્યક્ત કરી આ મામલે તપાસની માંગ કરી છે. હુમલા બાદ તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે હવે કૂટનીતિનો સમય પૂરો થયો છે અને આ હુમલાનો બદલો લેવામાં આવશે.
શાંતિ માટેના પ્રયાસો
વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે અત્યારે બંને પક્ષો દ્વારા કામચલાઉ સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાને ઈદ-ઉલ-ફિતર અને સાઉદી અરેબિયા, તૂર્કીયે તથા કતાર જેવા મિત્ર ઈસ્લામિક દેશોની વિનંતીને ધ્યાનમાં રાખીને 'ઓપરેશન ગઝબ લિલ-હક' પર થોડા દિવસો માટે રોક લગાવી છે. પાકિસ્તાનની આ જાહેરાત બાદ તાલિબાને પણ પોતાના સૈન્ય અભિયાનો અટકાવવાનો નિર્ણય લીધો છે. જોકે, સરહદ પરની સ્થિતિ હજુ પણ સંવેદનશીલ બનેલી છે અને રશિયા તથા અન્ય દેશો આ વિવાદને શાંત કરવા પ્રયાસો કરી રહ્યા છે.


