World

ભારતને યુ.એન.ની 'સલામતી-સમિતિ'માં કાયમી સભ્યપદ મળવું જ જોઈએ : IAEAના વડા ગ્રોસી

By GS Team
16 Jun 20262 mins read
ભારતને યુ.એન.ની 'સલામતી-સમિતિ'માં કાયમી સભ્યપદ મળવું જ જોઈએ : IAEAના વડા ગ્રોસી

- ગુટેરસ નિવૃત્ત થતાં 2027માં ગ્રોસી યુએનના મહામંત્રી બને તેવી સંભાવના

- ભારત ઉપરાંત બીજા કેટલાક દેશો પણ કાયમી સભ્યપદ માટે યોગ્ય છે, પરંતુ ભારતનો દાવો સૌથી મજબૂત છેે

નવી દિલ્હી : રાફેલ એમ. ગ્રોસી દુનિયામાં પરમાણુ ઉર્જા ઉપર નજર રાખનારી સંસ્થા આઈ.એ.ઈ.એ.ના ડાયરેકટર જનરલ પદે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રોના આગામી મહામંત્રી પદ માટેના પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. તેઓએ એનડી ટીવીને આપેલી એક ખાસ મુલાકાતમાં સંયુક્ત રાષ્ટ્રોના કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું હતું.

૨૦૨૬ના અંતે વર્તમાન મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસ નિવૃત્ત થવાના છે. પછી તે પદની સ્પર્ધામાં ગ્રોસી મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. તેઓએ આ મુલાકાતમાં તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, બીજા પણ કેટલાક દેશો 'કાયમી-સભ્યપદ' માટે યોગ્ય છે જ. પરંતુ તે બધા પૈકી ભારતનો દાવો સૌથી વધુ પ્રબળ છે.

ઉલ્લેખનીય છે કે ગ્રોસી આઇએઇએના મહામંત્રી તો છે જ પરંતુ એક ગ્લોબલ ડીપ્લોમેટ તરીકે તેઓ જાણીતા છે. તેઓએ અનેકવિધ ગંભીર વિવાદો (પરમાણુ ઉર્જા સંબંધી) ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેથી તેઓ દુનિયાના દેશોમાં એક બહુમાન્ય વ્યકિત બની રહ્યા છે.

અત્યારે સંયુક્ત રાષ્ટ્રોમાં સુધારણા કરવા વિષે ચર્ચા ચાલે છે, તેવે સમયે રાફેલ એમ. ગ્રોસીનાં આ વિધાનોને મહત્વ અપાઇ રહ્યું છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના કાયમી પ્રતિનિધિ પદે રહેલા હરીશ પર્વતનેનીએ સોમવારે સલામતી-સમિતિમાં સુધારણા કરવા મળેલી આંતરસરકારી પરિષદમાં પણ ભારતના કાયમી સભ્યપદ માટેનો દાવો ભારપૂર્વક રજૂ કર્યો હતો.