ભારત-ઈન્ડોનેશિયા બનાવશે પોતાનું ‘હોર્મુઝ’ ! ચીનનું વધાર્યું ટેન્શન, મલક્કાની ખાડી પાસે સબાંગ પોર્ટ બનશે નવું કેન્દ્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Indonesia Sabang Port Deal : 32 કિલોમીટરનો એક દરિયાઈ પેસેજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાની રાજનીતિ અને કૂટનીતિમાં કેવી ઉથલપાથલ મચાવી શકે છે, તે ઈરાન યુદ્ધ દરમિયાન આખી દુનિયાએ જોઈ લીધું. ઈરાની સેનાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરીને દેશોનો ઈંધણ પુરવઠો રોકી દીધો. કાચા તેલની કિંમતો ઝડપથી વધવા લાગી. છેવટે દુનિયાનો 20 ટકા ઈંધણ પુરવઠો આ જ હોર્મુઝમાંથી પસાર થાય છે. હવે ભારત અને ઇન્ડોનેશિયા મળીને હિંદ મહાસાગરમાં પોતાનું 'હોર્મુઝ' બનાવશે. આ 'હોર્મુઝ' સ્ટ્રેટ ઓફ મલક્કાના એન્ટ્રી પોઈન્ટ પર સ્થિત છે. અહીંથી ભારતના આંદામાન નિકોબાર ટાપુ સમૂહમાં આવેલું ઇન્દિરા પોઈન્ટ માત્ર 100 માઈલ એટલે કે 160 કિલોમીટરના અંતરે છે. આ પગલા સાથે ભારત અને ઇન્ડોનેશિયા હિંદ મહાસાગરમાં ચીનનો આખો ગેમ પ્લાન બદલી નાખશે.
હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની દરિયાઈ વ્યૂહરચનાને નવો ઓપ આપતા, ભારત અને ઇન્ડોનેશિયાએ સબાંગ પોર્ટના સંયુક્ત વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશો ઇન્ડોનેશિયાના સબાંગ બંદરને વિકસાવવા પર સંમત થયા છે. તેને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે, અને આ ટાપુ પર ભારતનો પ્રભાવ વધશે. ઇન્ડોનેશિયાના પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ ત્યાંના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સબાંગ બંદર દુનિયાના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાંથી એક મલક્કા (Strait of Malacca)ના પ્રવેશદ્વાર પર સ્થિત છે. ખાસ વાત એ છે કે, સબાંગ પોર્ટ ભારતના મહત્વાકાંક્ષી ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટથી લગભગ 100 માઈલ એટલે કે 160 કિલોમીટરના અંતરે છે.
મલક્કા સ્ટ્રેટનું મહત્વ જાણો
ચેન્નાઈના તટથી દક્ષિણ પૂર્વમાં દરિયાઈ માર્ગે આગળ વધીએ તો, જહાજ પહેલા બંગાળની ખાડી પાર કરે છે, પછી આંદામાન સાગર તરફ જઈને મલક્કા સુધી પહોંચે છે.
હજારો વર્ષો પહેલા, જ્યારે ભારત, ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચે મસાલાની સુગંધ દરિયાઈ પવનો સાથે ફેલાઈ રહી હતી, ત્યારે નાવિકોએ એક સાંકડા પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને ઓળખવાનું શરૂ કર્યું. આ સ્ટ્રેટ એટલે કે 'સ્ટ્રેટ ઓફ મલક્કા', જે હિંદ મહાસાગરને દક્ષિણ ચીન સાગર સાથે જોડે છે. આજે અહીંથી દુનિયાનો લગભગ 25 ટકા વેપાર થાય છે. જેમાં તેલ, ચીની સામાન, કોલસો અને પામ ઓઈલ મહત્વનું છે. સિંગાપોર તેના દક્ષિણ છેડા પર વિશ્વનું પ્રમુખ બંદર છે. સબાંગ પોર્ટ મલક્કા સ્ટ્રેટના મુખ પર સ્થિત છે.
ભારત માટે આનું મહત્વ અત્યંત વ્યૂહાત્મક અને આર્થિક છે. ભારતના પૂર્વ એશિયા જેવા કે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા સાથે થતો મોટો હિસ્સો આ જ માર્ગ પરથી પસાર થાય છે. ભારતના પેટ્રોલિયમ ઉત્પાદનો, કોલસો, મશીનરી અને કન્ટેનર વેપાર માટે આ દરિયાઈ જીવનરેખા જેવો છે. સાથે જ 'એક્ટ ઈસ્ટ પોલિસી' હેઠળ દક્ષિણ-પૂર્વ એશિયા સાથે સંપર્ક મજબૂત કરવામાં પણ તેની મહત્વની ભૂમિકા છે.
વૈશ્વિક સ્તરે આ સ્ટ્રેટ ઉર્જા પુરવઠાની મુખ્ય ધમનીઓમાં ગણાય છે. પશ્ચિમ એશિયામાંથી નીકળતું કાચું તેલ અને ગેસ મોટી માત્રામાં આ જ રસ્તેથી પૂર્વ એશિયાઈ દેશો સુધી પહોંચે છે. Strait of Malacca માંથી દર વર્ષે આશરે 2.8 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 2,800 અબજ ડોલરનો માલ દર વર્ષે પસાર થાય છે.
ચીન માટે શું મહત્વ છે?
ચીન માટે મલક્કા તેની અર્થવ્યવસ્થા અને ઉર્જા સુરક્ષાની સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ લાઈફલાઈન છે. હિંદ મહાસાગર અને દક્ષિણ ચીન સાગરને જોડતો આ સાંકડો દરિયાઈ માર્ગ, દુનિયાના સૌથી વ્યસ્ત વેપારિક રસ્તાઓમાંથી એક છે. ચીનનું આયાતી તેલ અને કુદરતી ગેસનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયા અને આફ્રિકાથી આ જ રસ્તે થઈને ચીન પહોંચે છે. આ સિવાય ચીનના નિકાસ-આધારિત વેપારનો પણ મોટો હિસ્સો મલક્કા સ્ટ્રેટ પર નિર્ભર છે.
ભૂતપૂર્વ ચીની રાષ્ટ્રપતિ હૂ જિંતાઓ દ્વારા વર્ષ 2003 માં 'મલક્કા દુવિધા' નો ઉલ્લેખ કર્યો હતો, જે આ ટ્રેડ રુટ પર ચીનની અતિશય નિર્ભરતા તરફ ઈશારો કરે છે. આ ચિંતા હજુ પણ ચીનની આંતરરાષ્ટ્રીય અને ઉર્જા નીતિઓમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે સમજજો કે, આ જ મલક્કા સ્ટ્રેટના મુખ પર સબાંગ ટાપુ છે, અને આ ટાપુને ભારત ઇન્ડોનેશિયા સાથે મળીને વિકસાવશે.
'બંદર વિકાસ પ્રોજેક્ટ' નહીં વ્યૂહાત્મક દ્રષ્ટી
વ્યૂહાત્મક દૃષ્ટિએ જોઈએ તો, આ કરાર માત્ર એક બંદર વિકાસ પ્રોજેક્ટ નથી, પરંતુ હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની વધતી દરિયાઈ હાજરીનો સંકેત છે. સબાંગ પોર્ટ ઇન્ડોનેશિયાના આચેહ પ્રાંતમાં સ્થિત છે, અને મલક્કા સ્ટ્રેટના પશ્ચિમી મુખ પર નજર રાખે છે. અહીંથી પસાર થતા જહાજોની ગતિવિધિઓ પર દેખરેખ રાખવી અપેક્ષાકૃત સરળ છે. ભારત લાંબા સમયથી આ ક્ષેત્રમાં પોતાની હાજરી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 2018માં પણ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સબાંગ પોર્ટને લઈને સહયોગની રૂપરેખા બની હતી, પરંતુ હવે બંને દેશોના સંબંધો અને ઇન્ડો-પેસિફિકની બદલાતી ભૂ-રાજનીતિને જોતા આ પ્રોજેક્ટને નવી ગતિ મળવાની આશા છે.
એક તરફ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ બીજી તરફ સબાંગ બંદર
ભારત આંદામાન નિકોબારમાં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ ભારતની એક મહત્વકાંક્ષી બહુ-આયામી વિકાસ યોજના છે, જેમાં એક આંતરરાષ્ટ્રીય ટ્રાન્સ-શિપમેન્ટ પોર્ટ, ગ્રીનફિલ્ડ એરપોર્ટ, પાવર પ્લાન્ટ અને આધુનિક ટાઉનશિપનું નિર્માણ સામેલ છે, જેથી ભારત મલક્કા સ્ટ્રેટ પાસે એક પ્રમુખ દરિયાઈ અને લોજિસ્ટિક્સ હબ બની શકે. આ પ્રોજેક્ટ ભારતની વેપારિક ક્ષમતા વધારવાની સાથે હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેની વ્યૂહાત્મક હાજરીને પણ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હવે ભારતે ઇન્ડોનેશિયા સાથે મળીને સબાંગ પોર્ટ વિકસાવવાની યોજના બનાવી છે. નિષ્ણાતોનું માનવું છે કે, સબાંગ અને ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ્સની સંયુક્ત અસર ભારતને મલક્કા સ્ટ્રેટની બંને બાજુએ વ્યૂહાત્મક પહોંચ પૂરી પાડી શકે છે. ગ્રેટ નિકોબાર ટાપુ ભારતના આંદામાન-નિકોબાર જૂથનો દક્ષિણ ભાગ છે, અને ત્યાં વિકસી રહેલું ટ્રાન્સ-શિપમેન્ટ પોર્ટ ભારતની દરિયાઈ મહત્વાકાંક્ષાઓનો મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. બીજી તરફ સબાંગ પોર્ટમાં ભારતની ભાગીદારી, તેને ઇન્ડોનેશિયા સાથે મળીને પ્રાદેશિક દરિયાઈ સુરક્ષા અને વેપારિક પ્રવૃત્તિઓમાં મોટી ભૂમિકા ભજવવાની તક આપશે.
ચીનના સ્ટ્રિંગ ઓફ પર્લ્સને ભારતનો જવાબ
આ કરારનું એક મહત્વપૂર્ણ ભૂ-રાજનીતિ પાસું પણ છે. છેલ્લા એક દાયકામાં ચીને 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ' અને 'સ્ટ્રિંગ ઓફ પર્લ્સ' વ્યૂહરચના હેઠળ હિંદ મહાસાગર ક્ષેત્રમાં અનેક બંદરો અને દરિયાઈ પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. પાકિસ્તાનનું ગ્વાદર, શ્રીલંકાનું હમ્બનટોટા અને મ્યાનમારનું ક્યાઉકફ્યુ બંદર અવારનવાર આ સંદર્ભમાં ચર્ચામાં રહે છે. એવામાં સબાંગ પોર્ટનો વિકાસ ભારતને પ્રાદેશિક સંતુલન બનાવવા અને પોતાના દરિયાઈ હિતોની રક્ષા કરવામાં મદદ કરી શકે છે. ભારત અને ઇન્ડોનેશિયા બંને મુક્ત, સુરક્ષિત અને નિયમ-આધારિત ઇન્ડો-પેસિફિક વ્યવસ્થાના સમર્થક છે. દરિયાઈ વેપાર, સપ્લાય ચેઈનની સુરક્ષા અને નૌવહનની સ્વતંત્રતા જેવા મુદ્દાઓ પર બંને દેશોના હિત એકબીજા સાથે મેળ ખાય છે. સબાંગ પોર્ટ પ્રોજેક્ટ આ જ સહિયારા દ્રષ્ટિકોણનું વિસ્તરણ માનવામાં આવી રહ્યું છે.
આવનારા વર્ષોમાં જો સબાંગ અને ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ્સ પૂર્ણ ક્ષમતાથી વિકસિત થશે, તો ભારતને હિંદ મહાસાગરથી લઈને મલક્કા સ્ટ્રેટ સુધી એક મજબૂત વ્યૂહાત્મક સાંકળ મળી શકે છે. આ ન માત્ર વેપાર અને કનેક્ટિવિટીને વેગ આપશે, પરંતુ ભારતને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની શક્તિ-સંતુલન રાજનીતિમાં પણ વધુ પ્રભાવશાળી ભૂમિકા ભજવવાની તક પૂરી પાડશે.









