World

શ્રીલંકા : ગોતાબાયાને નાસી જવામાં સહાય કર્યાના આક્ષેપોને ભારતે નકારી કાઢ્યા

By GS Team
13 Jul 20223 mins read
This article was originally published on 13 Jul 2022
શ્રીલંકા : ગોતાબાયાને નાસી જવામાં સહાય કર્યાના આક્ષેપોને ભારતે નકારી કાઢ્યા

- શ્રીલંકામાં 'કટોકટી' જાહેર

- જ્યાં સુધી તેઓ પ્રમુખપદે છે ત્યાં સુધી તેમની ધરપકડ ન થઇ શકે તેથી વિદેશમાં રહી ત્યાગ પત્ર મોકલી આપશે

કોલંબો : શ્રીલંકાના પ્રમુખ ગોતાબાયાને મંગળવારે રાત્રે ટાપુરાષ્ટ્ર છોડી માલદીવ નાસી જવામાં ભારતે સહાય કરી હતી. તેવા વહેતા થયેલા અહેવાલોને અહીં સ્થિત ભારતના ઉચ્ચાયુક્તે સ્પષ્ટ રદીયો આપ્યો છે. આ સાથે ભારતીય હાઇકમિશને જણાવ્યું છે કે, ભારત શ્રીલંકાની જનતાને, સહાય કરવાનું ચાલુ જ રાખશે, અને તેઓની પ્રગતિ તથા સમૃદ્ધિમાં સતત સહાયરૂપ થતું રહેશે, અને તે સહાય લોકશાહી મૂલ્યો આધારિત હશે તે માટેનાં સાધનો પણ લોકશાહી આધારિત હશે અને લોકશાહી સંસ્થાઓ તથા સંવૈધાનિક માળખાં પ્રમાણેની બની રહેશે.

આ સાથે હાઈક ટ્વિટ ઉપર ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પૂર્વે મીડીયામાં તેવા રીપોર્ટ પણ અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે રાજપક્ષેને નાસી જવામાં ભારતે સહાય કરી છે, તે અહેવાલો તદ્દન પાયા વિહોણા છે. અમે શ્રીલંકાની જનતા પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધે તેમ ઇચ્છીએ છીએ અને તે માટે તમામ સહાય કરવા આતુર છીએ.

રાજપકસા શ્રીલંકાનાં એરફોર્સનાં રશિયન બનાવટનાં છશ-૩૨  વિમાન દ્વારા મંગળવારે મોડી રાત્રીએ તેમનાં પત્ની અને બે બોડી ગાર્ડ સાથે માલદીવનાં પાટનગર માલે પહોંચી ગયા હતા.

આ સંબંધે કેટલાંક પ્રસાર માધ્યમોએ એવા અહેવાલો વહેતા કર્યા હતા કે ગોતા ગોતાબાયાને શ્રીલંકા છોડી જતા અટકાવવામાં આવ્યા હતા. પરંતુ તે અહેવાલોમાં પણ તથ્ય નથી. કારણ કે જ્યાં સુધી તેઓ પ્રમુખપદે હોય ત્યાં સુધી તેમની ધરપકડ થઇ જ ન શકે અને એરફોર્સનાં અધિકારીઓએ પણ તેમના હુક્મોનું પાલન કરવું જ પડે તેમ શ્રીલંકાનાં વર્તમાનપત્ર ડેઇલી મીરરે પણ જણાવ્યું હતું.

આ સાથે તે પણ સર્વવિદિત છે કે અત્યારે તો શ્રીલંકામાં અંધાધૂંધી અને અરાજકતા જ ફેલાઈ ગયાં છે.

શ્રીલંકામાં ફુગાવો હાથ બહાર ગયો છે. પેટ્રોલ ડીઝલ ખલાસ છે તે ખરીદવા વિદેશમુદ્રા પણ નથી અરે કેરોસીન કે રાંધણ ગેસ માટે પણ લાઈનો લાગે છે. અનાજ, શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શ્રીલંકાના ટોચના ક્રિકેટ ખેલાડી જયસૂર્યા જનતાની સાથે ભળી ગયા છે. તેવામાં વિપ્લવીઓએ પ્રમુખના મહેલ ઉપર કબ્જો જમાવી દીધો છે. પૂર્વ વડાપ્રધાનનું નિવાસ સ્થાન સળગાવી દીધું છે. તે પરિસ્થિતિમાં નવા વડા પ્રધાન રેનીલ વિક્રમ સિંઘે મહાપ્રયત્ને શાંતિ જાળવવા ફાંફાં મારી રહ્યા છે.

નિરીક્ષકોનું એવું પણ અનુમાન છે કે તેઓ વચગાળાની સરકાર રચશે, તેમાં તેઓ પ્રમુખ પદે પણ રહેશે જ્યારે જયસૂર્યાને સરકારમાં મહત્ત્વનું પદ પણ આપવામાં આવશે.

સૌથી વધુ મહત્ત્વની વાત ભારત માટે તે છે કે ગોતાબાયા ચીનના પીઠ્ઠુ બની રહ્યા હતા. ચીને પહેલાં મોટાં ધીરાણો કરી પછી તે માટે તકાદો કરી શ્રીલંકાની કથળેલી આર્થિક સ્થિતિનો લાભ લેવા નિર્ણય કર્યો હતો, પરંતુ ગોતાબાયા નાસી જતાં તેનાં સ્વપ્નો તૂટી ગયાં છે. તો બીજી તરફ ભારત શ્રીલંકાને અઢળક સહાય કરી લોકપ્રિય બની ગયું છે. જયસૂર્યાએ પણ ભારતની સહાય બિરદાવી છે. જો કે અત્યારે તો શ્રીલંકામાં કટોકટીની સ્થિતિ જાહેર થઇ ગઇ છે.