India Condemns Israel's West Bank Move in UN : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ઈઝરાયલની મુલાકાત પહેલા ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં એક મોટો અને કડક કૂટનીતિક નિર્ણય લીધો છે. પેલેસ્ટાઈનના વેસ્ટ બેંક વિસ્તાર પર ઈઝરાયલના વધતા કબજાના પ્રયાસો સામે ભારતે 100થી વધુ દેશો સાથે મળીને સત્તાવાર રીતે નિંદા પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે.
ભારતનો ઈઝરાયલને મોટો ઝટકો
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના પક્ષમાં અને ઈઝરાયલની વેસ્ટ બેંકમાં વધી રહેલી ગતિવિધિઓ વિરુદ્ધ એક નિવેદન જારી કર્યું છે. આ નિવેદન મુજબ, વેસ્ટ બેંકમાં ઈઝરાયલની હાજરી વધારવાના એકતરફી નિર્ણયો આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે 1967 પછી કબજે કરેલા પેલેસ્ટાઈની વિસ્તારોની જનસાંખ્યિક સ્થિતિ કે ચરિત્ર બદલવાનો કોઈપણ પ્રયાસ ભારત સ્વીકારશે નહીં. ભારતનું માનવું છે કે આવા પગલાં મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતાના પ્રયાસોને નબળા પાડે છે.
સમયનું મહત્વ અને સંતુલિત કૂટનીતિ
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે વડાપ્રધાન મોદી આવતા અઠવાડિયે ઈઝરાયલની ઐતિહાસિક મુલાકાતે જવાના છે, જ્યાં તેઓ ઈઝરાયલની સંસદને પણ સંબોધિત કરી શકે છે. ભારત અને ઈઝરાયલ વચ્ચે સંરક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ગાઢ સંબંધો હોવા છતાં, ભારતે પોતાની વર્ષો જૂની 'ટુ-સ્ટેટ સોલ્યુશન' (બે રાષ્ટ્રનો ઉકેલ) ની વિદેશ નીતિને વળગી રહીને આ નિર્ણય લીધો છે. આને ભારતની સ્વતંત્ર અને સંતુલિત વિદેશ નીતિના એક ભાગરૂપે જોવામાં આવે છે.
ઈઝરાયલનો વળતો જવાબ
બીજી તરફ, ઈઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સારાએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને 'ઈઝરાયલ વિરોધી ઝૂનૂન' થી ગ્રસ્ત ગણાવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈઝરાયલનો આ બાઈબલની ભૂમિ પર ઐતિહાસિક અધિકાર છે. તેમ છતાં, સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ ગાઝામાં કાયમી યુદ્ધવિરામ અને વેસ્ટ બેંકમાં ઈઝરાયલના વિસ્તરણવાદને અટકાવવાની અપીલ કરી છે.


