'જો ભારત પીછેહઠ નહીં કરે તો..', પાકિસ્તાની PM શાહબાઝ શરીફે યુદ્ધની આપી ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistani PM News : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ભારત સામે ફરી એકવાર આક્રમક અને તીખા તેવર બતાવ્યા છે. ઇસ્લામાબાદમાં યોજાયેલા 'યાદગાર-એ-ફતહ' કાર્યક્રમ દરમિયાન શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) અંગે ભારતને સીધી ચેતવણી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના પાણીનું એક-એક ટીંપું તેની 'રેડ લાઇન' છે અને જો ભારત પોતાના વલણથી પીછેહઠ નહીં કરે તો પાકિસ્તાન તેનો સીધો જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2025માં થયેલા પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત (Hold) કરી દીધી હતી, ત્યારથી જ પાકિસ્તાન છંછેડાયેલું છે. આ ઉપરાંત મે 2025માં 'ઓપરેશન સિંદૂર' હેઠળ ભારતે પાકિસ્તાનમાં ડીપ સ્ટ્રાઇક કરીને આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા હતા.
'મે 2025 કરતાં પણ વધુ તાકાતથી જવાબ આપીશું'
શાહબાઝ શરીફે મે 2025ના સૈન્ય સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "પાકિસ્તાન શાંતિ, સન્માન અને ગૌરવ સાથે ઊભું છે, પરંતુ તેને અમારી નબળાઈ ન સમજવી જોઈએ." તેમણે ચેતવણી આપતા ઉમેર્યું કે જો ભવિષ્યમાં કોઈ પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને સુરક્ષાને પડકારશે તો તેને મે 2025 કરતાં પણ વધુ તાકાતથી જવાબ આપવામાં આવશે. જોકે, મે 2025ના સંઘર્ષ બાદ બંને દેશો સીઝફાયર (યુદ્ધવિરામ) પર સહમત થયા હતા.
સીઝફાયર માટે ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો
પોતાના સંબોધનમાં પાકિસ્તાની વડાપ્રધાને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમયસર સીઝફાયર કરાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી, જેનાથી લાખો લોકોના જીવ બચ્યા હતા. (જોકે ભારત હંમેશાં સીઝફાયરમાં ત્રીજા દેશની મધ્યસ્થતાના દાવાને નકારતું રહ્યું છે).
ચીન, તૂર્કિયે અને સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ ગઠબંધનનો ઉલ્લેખ
શાહબાઝ શરીફે ચીનને પાકિસ્તાનનો એવો મિત્ર ગણાવ્યો જે દરેક મુશ્કેલ સમયમાં હિમાલયની જેમ અડીખમ ઊભો રહ્યો છે. આ ઉપરાંત તેમણે સાઉદી અરેબિયા સાથે થયેલા સંરક્ષણ કરાર અને તેમાં તૂર્કિયેના જોડાવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. એક તરફ શાંતિની વાતો અને બીજી તરફ ભારત સામે આક્રમક ધમકીઓ આપતું શાહબાઝ શરીફનું આ નિવેદન દર્શાવે છે કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો થવા છતાં પાકિસ્તાન તરફથી રાજકીય નિવેદનબાજી અને ઝેર ઓકવાનું ચાલુ જ છે.









