Get The App

'પૈસા માગી, માગીને હું શર્મીંદો બન્યો છું' પાક. વડાપ્રધાને આવું શા માટે કહ્યું હશે ?

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
'પૈસા માગી, માગીને હું શર્મીંદો બન્યો છું' પાક. વડાપ્રધાને આવું શા માટે કહ્યું હશે ? 1 - image

- પાકિસ્તાનની વસ્તીના 45% બીલો પોવર્ટીલાઈનમાં છે

- શાહબાઝ શરીફે 'ઓલ-વેધર-ફ્રેન્ડ' ચાયના, તે પછી સાઉદી અરબસ્તાન, યુનાઈટેડ આરબ અમીરાત, (યુ.એ.ઈ.) તથા કતારની ભારોભાર પ્રશંસા કરી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની અત્યંત કથળી ગયેલી આર્થિક સ્થતિ તેમજ વિદેશી લોનો ઉપર જ દેશને રાખવા પડતા આધાર અંગે વડાપ્રધાન શાહબાઝ શરીફે ઘેરૃં દુ:ખ અને હતાશા વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, વિદેશી લોનો લેવાથી, દેશનું આત્મ-ગૌરવ ઘવાય છે અને તેથી લશ્કરના વડા સહિત તમામ અધિકારીઓ મુંઝવણમાં મુકાઈ જાય છે.

ઇસ્લામાબાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પાકિસ્તાનના અગ્રગણ્ય નિકાસકારો તથા વ્યાપાર-ઉદ્યોગના મહારથીઓને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે, 'દેવાના બોજાને લીધે પાકિસ્તાનનું ગૌરવ ઘવાય છે. આથી વૈકલ્પિક આર્થિક રણનીતિ ઘડવાની જરૂર ઉપસ્થિત થઈ છે.' તેઓએ વધુમાં કહ્યું હતું કે જ્યારે હું અને ફીલ્ડમાર્શલ અસીમ મુનીર દુનિયામાં ભીખ માગવા ગયા, ત્યારે મને ઘણી જ શરમ થઈ હતી. ધીરાણો મેળવવાં તે આપણા આત્મગૌરવ ઉપરનો પ્રહાર છે. અમારાં મસ્તકો શરમથી ઝૂકી રહ્યાં હતાં. આ બોજાને લીધે અમે ઘણી બધી બાબતોની 'ના' કહી શક્યા નહોતા.

શરીફનાં આ વક્તવ્યને સ્થાનિક, બ્રોડકાસ્ટર એવન ટીવીએ પ્રસારિત કર્યુ ંહતું.

આમ છતાં શરીફે 'ઓલ-વેધર-ફ્રેન્ડ' ચાયનાની ભારોભાર પ્રશંસા કરી હતી. તે ઉપરાંત તેમણે સાઉદી અરેબિયા, યુ.એ.ઈ. તથા કતારની પણ ભારોભાર પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓએ અણીના સમયે લોન આપી બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટીમાંથી આપણને ઉગારી લીધા છે.

ચાયનાએ ૪ બિલિયન ડૉલર ૨૦૨૪-૨૫ના પ્રોજેક્ટ માટે આપ્યા છે. ચાયના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઈસી) માટે ૬૦ બિલિયન ડૉલર આપ્યા છે. જે ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ માટે વપરાયા છે. સાઉદી અરબસ્તાને ૩ બિલિયન ડૉલર સપ્ટેમ્બર ૨૦૨૪માં પાકિસ્તાન-સ્ટેટ બેન્કમાં ડિપોઝિટ કર્યા હતા. તેમજ તેલની ખરીદી પણ હપ્તાથી કરવાની છૂટ આપી હતી. તે ૨૦૨૫માં આશરે ૧.૨ બિલિયન ડૉલર જેટલી થવા જાય છે. તેમ પણ શરીફે તે પરિષદમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે રીયાધે માઈનિંગ, ખેતીવાડી અને આઈટી ક્ષેત્ર માટે પાંચ થી ૨૫ બિલિયન ડૉલર સુધીનું રોકાણ કરવા તૈયારી દર્શાવી છે.

આ સાથે શરીફે જણાવ્યું હતું કે કતારે પણ એવિએશન, એગ્રીકલ્ચર, એલએનજી જેવા મહત્વના ક્ષેત્રોમાં ૩ અબજ ડૉલર રોકવા તૈયારી દર્શાવી છે.

શરીફ ભલે ગમે તેટલી વાતો કરે પરંતુ પાકિસ્તાનમાં ગરીબી ૪૫ ટકા પહોંચી છે. આટલો મોટો ગરીબીનો વધારો પૂરો અને ફુગાવાને લીધે થયો છે. ફુગાવાથી પાકિસ્તાનના રૂપિયાની ખરીદ શક્તિમાં બહુ મોટું ધોવાણ થયું છે. તેની વસ્તીના ૪૫ ટકા બીલો-પોવર્ટી લાઈનમાં આવે છે. અત્યંત ગરીબીથી ૪.૯ ટકાથી વધીને સીધી ૧૬.૫ ટકા પહોંચી છે. બેકારી દર ૭.૨ ટકા છે. ૮૦ લાખ જેટલા યુવાનો પણ બેકાર છે. ભણેલા વર્ગના ૮૪% બેકાર કે અર્ધબેકાર છે. નિકાસ ઠપ્પ થઈ રહી છે. ટેક્સટાઈલની નિકાસ ઉપર સૌથી વધુ અસર થઈ છે. પશુધન પણ પૂરોને લીધે ઘણું તણાઈ ગયું છે. આમ પાકિસ્તાન ચારે તરફથી ઘેરાઈ ગયું છે.