મિડલ ઈસ્ટથી ગુડ ન્યૂઝ, LPG અને ક્રૂડ ઓઈલ લઈને 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hormuz Strait Reopens: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર બાદ પશ્ચિમ એશિયામાં મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધના વાદળો હટવા લાગ્યા છે. શાંતિ સમજૂતી થતાં જ અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી હટાવી લીધી છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલી ગયો છે. આ ઘટનાક્રમ ભારત માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર લઈને આવ્યો છે, કારણ કે ભારત પોતાની 75%થી વધુ ઊર્જા જરૂરિયાતો માટે પશ્ચિમ એશિયાના દેશો પર નિર્ભર છે. આ માર્ગ ખુલતાની સાથે જ ભારતીય ઘરોમાં રાંધણ ગેસ (LPG)ની કટોકટી ટળી ગઈ છે. જોકે, ઈરાનની એક જિદ્દે ચિંતા પણ વધારી છે; તેહરાનનું કહેવું છે કે 60 દિવસ પછી તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલશે.
LPG અને LNG ટેન્કરોની આતુરતાથી જોવાતી રાહ
યુદ્ધ અને દરિયાઈ અવરોધોને કારણે ભારતમાં સૌથી વધુ અસર LPG (રાંધણ ગેસ)ના આયાત પર પડી હતી, જે ઘટીને સામાન્ય કરતાં માત્ર 51% જેટલી જ રહી ગઈ હતી.મીડિયા રિપોર્ટ્સ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ ખુલતાની સાથે જ ભારત તરફ આવી રહેલા 40 ટેન્કરોમાં સૌથી વધુ રાહ LPG અને LNG લઈને આવતા જહાજોની જોવાઈ રહી છે. નિષ્ણાતોના મતે, ખાડી દેશોના એક્સપોર્ટ ટર્મિનલ ફરી શરૂ થતાં ગેસ પુરવઠો ઝડપથી સામાન્ય થઈ જશે. બીજી તરફ, ક્રૂડ ઓઇલની સપ્લાય કટોકટીના સમયમાં પણ વૈકલ્પિક સ્ત્રોતોને કારણે જળવાઈ રહી હતી, જેથી તેની આયાત ધીમી પડી હતી પણ સંપૂર્ણ બંધ થઈ નહોતી. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડના ભાવ પણ નીચલી સપાટીએ છે.
ભારતના રિફાઇનિંગ ક્ષેત્રને બૂસ્ટર ડોઝ
હોર્મુઝ સ્ટ્રેટ સામાન્ય થવાથી ભારતના ઓઇલ રિફાઇનિંગ સેક્ટરને મોટો ફાયદો થશે. ક્રૂડ ઓઇલની સરળ ઉપલબ્ધતા, ઘટતું ભાડું અને વીમા ખર્ચમાં ઘટાડાને કારણે રિફાઇનરીઓ હવે વધુ ક્ષમતા સાથે કામ કરી શકશે. ખાસ કરીને રાજસ્થાનની નવી બાડમેર રિફાઇનરીમાં ઉત્પાદન વધવાને કારણે ભારતમાંથી ડીઝલ, પેટ્રોલ અને જેટ ફ્યુઅલની નિકાસને પણ મોટો વેગ મળશે.
પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજનની મોટી ચેતવણી
પરિસ્થિતિ થાળે પડી રહી હોવા છતાં, ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આ સંકટને ભારત માટે એક ગંભીર ચેતવણી ગણાવી છે. તેમણે સલાહ આપી છે કે ભવિષ્યમાં આવા વૈશ્વિક આંચકાઓથી બચવા માટે ભારતે મોટા પાયે 'સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ' (વ્યૂહાત્મક ઓઇલ ભંડાર) વિકસાવવા પડશે. આ સાથે જ ઊર્જા પુરવઠા માટે માત્ર એક જ માર્ગ પર નિર્ભર રહેવાને બદલે વૈકલ્પિક સપ્લાય લાઈન અને ઈમરજન્સી પ્લાન તૈયાર રાખવો પડશે. માત્ર ઊર્જા ક્ષેત્ર જ નહીં પરંતુ દવા ઉદ્યોગ (ફાર્મા સેક્ટર) જેવા અન્ય મહત્ત્વના ક્ષેત્રોમાં પણ ભારતે કોઈ એક દેશ કે સપ્લાય રૂટ પર નિર્ભરતા ઘટાડવી જોઈએ.
આ પણ વાંચો: ડીલ હેઠળ ઈરાનને 300 અબજ ડૉલર આપશે કોણ? ટ્રમ્પ-વેન્સે ફરી દુનિયાના ધબકારાં વધાર્યા
ખેડૂતો માટે રાહત: ખાતર ભરેલા 16 જહાજો ભારત આવશે
યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતના ખાતર ભરેલા 16 જહાજો પણ ફસાયા હતા, જે હવે ટૂંક સમયમાં ભારત પહોંચશે. ઉર્વરક મંત્રાલયના સંયુક્ત સચિવ બંદના પ્રેયશીએ જણાવ્યું કે, આ જહાજોમાં ખરીફ પાકની જરૂરિયાતો માટે યૂરિયા, ડીએપી (DAP), એમોનિયા અને સલ્ફરનો મોટો જથ્થો આવી રહ્યો છે. ફસાયેલા જહાજોમાં 3.3 લાખ મેટ્રિક ટન યુરિયા, 2.57 લાખ ટન ડીએપી અને 1.1 લાખ ટન સલ્ફર સામેલ છે. સરકારે અગાઉથી જ 50 લાખ ટન ખાતરની આયાત કરી લીધી હોવાથી અને ઘરેલું ઉત્પાદન વધાર્યું હોવાથી ખેડૂતો માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે. તદુપરાંત, વધુ 17 લાખ ટન યુરિયા માટે વૈશ્વિક ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.









