Get The App

સ્પેનમાં સ્થાનિકોના વિરોધ છતાં હંટા વાયરસગ્રસ્ત ક્રુઝ ટેનેરિફ ટાપુ પર પહોંચ્યું

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
સ્પેનમાં સ્થાનિકોના વિરોધ છતાં હંટા વાયરસગ્રસ્ત ક્રુઝ ટેનેરિફ ટાપુ પર પહોંચ્યું 1 - image

- ક્રુઝમાં બે ભારતીય, સબ સલામતનો સરકારનો દાવો

- બ્રિટિશ આર્મીએ ટ્રિસ્ટાન ટાપુ પર ફસાયેલા બીમાર બ્રિટિશરોને બચાવવા પેરાશૂટથી મેડિકલ સહાય મોકલી

- હાલ જહાજ પર કોઈ પ્રવાસી કે ક્રુ ને ચેપ નહીં હોવાનો ડબલ્યુએચઓ અને ક્રુઝ કંપનીનો દાવો

- સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, લોકોએ પ્રચાર દરમિયાન જય શ્રી રામના નારા લગાવતા સુવેંદુના વીડિયો પણ જાહેર કર્યા

મેડ્રીડ: હંટા વાયરસગ્રસ્ત ક્રુઝ એમવી હોંડિયસ ૧૪૦થી વધુ લોકોને લઈને પશ્ચિમ આફ્રિકાના દરિયા કિનારા નજીક સ્પેનના કેનેરી ટાપુ જૂથના સૌથી મોટા ટાપુ ટેનેરિફ પર પહોંચ્યું છે. સ્થાનિક લોકોના ભારે વિરોધ છતાં જહાજને ટાપુ પર લાંગરવાની મંજૂરી અપાઈ હતી. આ જહાજમાં બે ભારતીય હોવાના અહેવાલોથી ભારતમાં ચિંતા વધી ગઈ છે. જોકે, કેન્દ્ર સરકારે આ વાયરસના ભારતમાં ફેલાવા અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં હોવાનો દાવો કર્યો હતો. બીજીબાજુ બ્રિટિશ આર્મીએ ક્રુઝમાં વાયરસગ્રસ્ત બ્રિટિશરોને બચાવવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું હતું.

હંટા વાયરસગ્રસ્ત ક્રુઝ એમવી હોંડિયસને ટેનેરિફ ટાપુ પર લાંગરવાની મંજૂરી આપવા સામે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આમ છતાં ક્રૂઝમાંથી પ્રવાસીઓને ટાપુ પર ઉતારવામાં આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા, સ્પેનિશ સરકાર અને ક્રૂઝ કંપની ઓશનવાઈડ એક્સપીડિશન્સે કહ્યું કે, હાલ જહાજ પર હયાત કોઈ વ્યક્તિમાં વાયરસના લક્ષણ જોવા મળ્યા નથી.

બ્રિટિશ આર્મીએ ક્રુઝમાં હંટા વાયરસથી અસરગ્રસ્ત બ્રિટિશરોની સારવાર માટે ટ્રિસ્ટાન ડા કુન્હા પર પેરાશૂટથી સહાય મિશન લોન્ચ કર્યું છે. ક્રુઝના પ્રવાસીઓ ટેનેરિફ પર ઉતરી ગયા છે જ્યારે બ્રિટિશ આર્મીએ વિશ્વના સૌથી દૂરના વસવાટવાળા ટાપુ ટ્રિસ્ટાન ડા કુન્હા પર વિશેષ પેરાશૂટ મિશન દ્વારા સહાય મોકલી છે. અહીં હંટા વાયરસગ્રસ્ત બ્રિટિશ પ્રવાસીઓને બ્રિટનમાં કોરોના સમયે ક્વોરન્ટાઈન માટે વપરાયેલી હોસ્પિટલમાં આઈસોલેશન માટે લઈ જવાશે.

યુકેએચએસએએ જણાવ્યું કે, જાહેર જનતા માટે વાયરસના ફેલાવાનું જોખમ ખૂબ જ ઓછું છે. પ્રવાસીઓને ચાર્ટર્ડ ફ્લાઈટથી યુકે લવાશે અને મર્સીસાઈડના વિરલમાં આરો પાર્ક હોસ્પિટલની આઈસોલેશન સુવિધામાં રખાશે. બ્રિટિશ સરકારે આ હોસ્પિટલનો ઉપયોગ કોરોના મહામારી સમયે વુહાનથી આવેલા બ્રિટિશ નાગરિકોને આઈસોલેટ કરવા કર્યો હતો.

બ્રિટિશ આર્મીએ જણાવ્યું કે, ક્રુઝમાં હંટા વાયરસથી ગ્રસ્ત એક બ્રિટિશ નાગરિક સહિત કેટલાક બ્રિટિશરો દૂર અંતરિયાળ ટાપુ ઉતરી ગયા હતા. તેમને તબીબી સહાય પહોંચાડવા માટે બ્રિટિશ આર્મીએ પેરાશૂટથી મેડિકલ સામગ્રી, ઓક્સિજન અને સાધનો પહોંચાડયા છે. ૧૬ એર એસોલ્ટ બ્રિગેડના છ પેરાટ્રુપર્સ, આરએએફ કન્સલટન્ટ અને આર્મી નર્સે પેરાશૂટથી ટાપુ પર ઉતરાણ કર્યું હતું.

હંટા વાયરસગ્રસ્ત ક્રુઝ પર બે ભારતીય ક્રુ હોવાના અહેવાલ આવતા ભારતમાં ચિંતા થવા લાગી છે. જોકે, ભારતીય સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, દેશમાં હંટા વાયરસના પ્રસાર અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારતમાં હંટા વાયરસના છૂટક કેસના ક્યાંક નોંધાયા હતા, પરંતુ તેના વ્યાપક સ્તરે પ્રસારના કોઈ અહેવાલ નથી. ક્રુઝ પરના બંને ભારતીય ક્રુને હાલ આઈસોલેટ રખાયા છે.