World

Pokમાં વધતી મુશ્કેલી, નકવીનો 'કૌભાંડ બોમ્બ', પાકિસ્તાનમાં હવે તખ્તાપલટની તૈયારી?

By GS Team
4 Aug 20263 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં શહબાઝ શરીફ સરકારના તખ્તાપલટની અટકળો તેજ બની છે. રાજધાની ઈસ્લામાબાદ કન્ટેનરોથી સીલ કરાઈ છે. સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરના ઈશારે ગૃહમંત્રી મોહસિન નકવીએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. સૌથી મોટા કૌભાંડમાં જજ, રાજકારણીઓ અને બેંકરો સંડોવાયા હોવાનો નકવીનો દાવો છે. મુનીરને સર્વશક્તિમાન બનાવવાની આ કવાયતથી નવાઝ શરીફની ઊંઘ હરામ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Pokમાં વધતી મુશ્કેલી, નકવીનો 'કૌભાંડ બોમ્બ', પાકિસ્તાનમાં હવે તખ્તાપલટની તૈયારી?

Coup In Pakistan Islamabad Sealed: પાડોશી દેશ પાકિસ્તાનમાં તખ્તાપલટને લઈને ચહલપહલ મચી છે, કારણ કે, ત્યાં શહબાઝ શરીફ સરકારના તખ્તાપલટની અટકળો વધુ તેજ થઈ રહી છે. એવા પણ અહેવાલો છે કે, રાજધાની ઈસ્લામાબાદને કન્ટેનરોથી સીલ કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ તખ્તાપલટની કમાન સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરના હાથમાં છે, અને વડાપ્રધાન શહબાઝ શરીફની ખુરશી ડગમગી રહી છે, કારણ કે તેમના પોતાના જ ગૃહમંત્રી મોહસિન નકવીએ સરકાર સામે મોરચો ખોલી દીધો છે. દાવો એ પણ કરવામાં આવી રહ્યો છે કે, રાવલપિંડીમાં આ તખ્તાપલટની બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે.

પાકિસ્તાનના કૌભાંડને લઈને તખ્તાપલટ?

પાકિસ્તાનની શાસન વ્યવસ્થા ધ્વસ્ત હોવાનું ચોંકાવનારું નિવેદન આપ્યાના થોડા જ દિવસો બાદ, ગૃહમંત્રી મોહસિન નકવીએ હવે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના ઈતિહાસના સૌથી મોટા કૌભાંડનું પગેરું શોધવાનો દાવો કરતા નકવીએ કહ્યું કે, આમાં જજોથી લઈને રાજકારણીઓ સુધી, સરકારી તંત્રના અસંખ્ય મહત્વના ભાગો સામેલ છે. જોકે નકવીએ તે લોકોના નામ જાહેર નથી કર્યા, પરંતુ તેમના સતત સનસનાટીભર્યા નિવેદનોએ એ અટકળને તેજ કરી દીધી છે કે, શું પાકિસ્તાનમાં સત્તા પલટાની તૈયારી છે?.

નકવીનો 'સ્કેમ બોમ્બ' અને સિસ્ટમ પર સીધો હુમલો

પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરના નજીકના માનવામાં આવતા નકવીએ ભારપૂર્વક કહ્યું કે, આ કૌભાંડ માટે જવાબદાર દરેક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નકવીએ પત્રકારોને કહ્યું કે, 'મને નથી લાગતું કે, પાકિસ્તાનના ઈતિહાસમાં ક્યારેય આટલું મોટું કૌભાંડ થયું હોય, જેમાં જજ, નોકરશાહ, રાજકારણીઓ અને બેંકર બધા સામેલ હોય.' નકવીએ આરોપ લગાવ્યો છે કે, છેલ્લા 21 વર્ષથી દેશના જજ, નોકરશાહ, રાજકારણીઓ અને બેંકર લાંચખોરીની રમતમાં સામેલ હતા. નકવીએ જાહેરમાં એલાન કરી દીધું છે કે, પાકિસ્તાનની ગવર્નન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે કોલેપ્સ થઈ ચૂકી છે, જે શહબાઝ સરકારની કાર્યક્ષમતા પર એક જોરદાર તમાચો છે.

…અને નવાઝ શરીફની ઊંઘ ઊડી

વિશ્લેષકોનું માનવું છે કે, નકવી માત્ર એક મંત્રી નથી, પરંતુ આસિમ મુનીરનું એ મોહરું છે, જેમને ભવિષ્યના મોટા રાજકીય રોલ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. એવી પણ અટકળો છે કે, નકવીને આસિમ મુનીર માટે એવી જ જમીન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, જેવી ક્યારેક પરવેઝ મુશર્રફના સમયમાં થઈ હતી. એટલે કે, આસિમ મુનીરને રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખ તરીકે સર્વશક્તિમાન બનાવવા. આ હલચલે લંડનથી લઈને લાહોર સુધી નવાઝ શરીફની ઊંઘ ઉડાડી દીધી છે.

શહબાઝના સમર્થકોમાં હાહાકાર

આ આંતરિક વિખવાદ પર શહબાઝ સરકારના વફાદાર અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તીખો પલટવાર કર્યો છે. આસિફે નકવીને પાવરહાઉસ ગણાવતા કટાક્ષ કર્યો કે, 'તેઓ પોતાને વડાપ્રધાન પ્રત્યે પણ જવાબદાર નથી સમજતા, અને કેબિનેટ બેઠકોમાંથી ગાયબ રહે છે. આસિફે ત્યાં સુધી કહી દીધું, 'જો આટલી તાકાત ધરાવતો માણસ પણ ફરિયાદ કરી રહ્યો હોય, તો બાકીના કેબિનેટ સભ્યોએ ઘરે જતા રહેવું જોઈએ.'

શું પાકિસ્તાનમાં ફરી શરૂ થશે સરમુખત્યાર રાજ?

આસિમ મુનીર વર્તમાનમાં પાકિસ્તાનની વિદેશ નીતિથી લઈને અર્થતંત્ર સુધી અનિયંત્રિત શક્તિનો આનંદ માણી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, નકવી દ્વારા મુનીરે શહબાઝ શરીફને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, અસલી બોસ કોણ છે. એક રિપોર્ટમાં રાજકીય અને સંરક્ષણ વિશ્લેષક સંદીપ ઉન્નીથનના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, નકવી, જેમણે મીડિયા થકી પાકિસ્તાનના સૌથી શક્તિશાળી રાજકારણીઓમાંથી એક બનવા સુધીની ઝડપી સફર નક્કી કરી છે, તેઓ લાંબા સમયથી વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા રાખે છે. તેમને હંમેશા આસિમ મુનીરનું સમર્થન મળતું રહ્યું છે, અને માનવામાં આવે છે કે, તેઓ સેના પ્રમુખના નજીકના સંબંધી છે. તેથી મુનીર તેમના હાથે આ રમત રમાડી રહ્યા હોઈ શકે છે. વિશ્લેષકોનું એ પણ માનવું છે કે, આ જ નજીકના સંબંધોને કારણે મુનીરે સંઘર્ષ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા માટે નકવીને પોતાના ખાસ પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા હતા.