આયાતોલ્લાહ ખામેનેઈની અંતિમ વિદાયે વિદેશમંત્રી અને સ્પીકર ધ્રુસ્કે ધ્રુસ્કે રડયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખામેનેઈનાં મોતનો બદલો લેવાશે : IRGC ચીફ
અંતિમ સંસ્કારમાં દુનિયાના નેતાઓ તથા ખામેનીનાં કુટુમ્બીજનો સામેલ છે : 3 થી 9 જુલાઈના કાર્યક્રમમાં ભારતીય પ્રતિનિધિઓ પણ છે
તહેરાન : ઇરાનના જન્નતનશીન સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનેઈની અંતિમ વિદાયમાં સામેલ થવા દેશ-વિદેશના નેતાઓ તથા કુટુમ્બીજનો અહીં આવી પહોંચ્યા છે. તે સમયે ઇરાનની સંસદના સ્પીકર અને વિદેશમંત્રી રડવા લાગ્યા હતા. તેનો વિડીયો પણ વાયરલ થયો છે. પોતાના સર્વોચ્ચ નેતાની અંતિમ વિદાય સમયે વિદેશમંત્રી, અબ્બાસ અરાઘચી અને ઇરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ઘાલીબાફ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સંપૂર્ણ સુરક્ષાની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમ તહેરાનના રાજ્યપાલ મોહમ્મદ સાદેક મોતામેડીઅન કહ્યું હતું. છેલ્લાં ત્રણ દશકોથી ઇરાનનું નેતૃત્વ કરી રહેલા આ મહાન ધર્મગુરૂ અને રાજકીય માર્ગદર્શકના અંતિમ સંસ્કારમાં ભારત સરકારનું તો પ્રતિનિધિમંડળ જવાનું જ છે. પરંતુ કોંગ્રેસ પક્ષ તરફથી પણ સલમાન ખુરશીદનાં નેતૃત્વમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતિ તથા તેમની પાર્ટી ડેમોક્રેટીક પાર્ટીના કેટલાક વરિષ્ટ નેતાઓ પણ ખામેનેઈની અંતિમ યાત્રા વખતે ઉપસ્થિત રહેશે.
દરમિયાન ઇરાન રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વડા અહમદ વાહીદીએ કહ્યું કે દેશના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનેઈનાં મોતનો બદલો લેવાશે અને ઇરાન આત્મસમર્પણ કરશે તેવું દુશ્મનોનું સપનું સપનું જ રહી જશે. વાહીદીનું આ નિવેદન તેવે સમયે આવ્યું છે કે જ્યારે ખામેનેઈના સંપૂર્ણ રાજકીય સન્માન સાથેના અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ રહી છે.









