ADNOC LNG Tanker: અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ફેબ્રુઆરીના અંતથી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વ ધરાવતી હોર્મુઝ સ્ટ્રેટ લગભગ બંધ જેવી સ્થિતિમાં છે. આ તણાવપૂર્ણ સ્થિતિમાં ઈરાને ભારત જેવા મિત્ર દેશોના કેટલાક જહાજોને પસાર થવાની મંજૂરી આપી છે, તેમ છતાં સેંકડો જહાજો હજુ પણ ત્યાં અટવાયેલા છે. જોકે, આ દરમિયાન ભારત માટે એક મોટા અને પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી હોર્મુઝમાંથી માત્ર તેલ અને એલપીજીના જહાજો જ નીકળી શક્યા હતા, પરંતુ યુદ્ધ શરૂ થયા બાદ હવે પ્રથમ વખત એલએનજી(લિક્વિફાઈડ નેચરલ ગેસ) ભરેલું એક વિશાળ ટેન્કર હોર્મુઝ પાર કરીને ભારતના દરિયાકાંઠે પહોંચ્યું છે.
ટ્રેકિંગથી બચવા જહાજે સિગ્નલ બંધ કરવાની અપનાવી વ્યૂહનીતિ
રોયટર્સ અને જહાજ ટ્રેકિંગ ડેટાના રિપોર્ટ અનુસાર, યુએઈની એડીએનઓસી(ADNOC) દ્વારા સંચાલિત આ એલએનજી ટેન્કર હાલમાં ભારતના પશ્ચિમ કિનારે જોવા મળ્યું છે. 1,36,357 ઘન મીટરની ક્ષમતા ધરાવતું આ જહાજ 30 માર્ચ પછી અચાનક ગાયબ થઈ ગયું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ જહાજે હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે પાર કરવા માટે એક ખાસ વ્યૂહનીતિ અપનાવી હતી અને પોતાનું સિગ્નલ બંધ કરી દીધું હતું, જેથી તેને ટ્રેક ન કરી શકાય. હોર્મુઝ પસાર કર્યા પછી જહાજે ફરીથી પોતાનું સિગ્નલ ચાલુ કર્યું, જેનાથી તેના સફળતાપૂર્વક પસાર થવાની પુષ્ટિ થઈ છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન યુદ્ધ શરૂ થયા પછી આ પ્રથમ ઘટના છે જ્યારે ગેસથી ભરેલું કોઈ ટેન્કર સુરક્ષિત બહાર આવ્યું હોય.
યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત માટે મહત્ત્વનું છે આ ટેન્ક
એલએનજી એ કુદરતી ગેસ છે જેને -162°C તાપમાન પર ઠંડો કરીને પ્રવાહી બનાવવામાં આવે છે, જેથી તેને સરળતાથી ટ્રાન્સપોર્ટ કરી શકાય. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે અને દુનિયાનો ચોથો સૌથી મોટો એલએનજી ખરીદનાર દેશ છે. આ ગેસનો ઉપયોગ વીજળી ઉત્પાદન, ખાતર ઉદ્યોગ, સ્ટીલ, સિમેન્ટ અને ઘરગથ્થુ રસોઈ ગેસ તરીકે કરવામાં આવે છે. ભારત મુખ્યત્વે કતાર, અબુ ધાબી, ઓમાન અને અમેરિકા જેવા દેશો પર નિર્ભર છે. યુદ્ધની સ્થિતિમાં આ રીતે સુરક્ષિત રીતે ગેસનો પુરવઠો ભારત પહોંચવો એ દેશની ઊર્જા સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.


