Get The App

ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ મંત્રણા કરવા પ્રતિનિધિમંડળ જ ના મોકલ્યું, દુનિયાનું ફરી ટેન્શન વધ્યું

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ મંત્રણા કરવા પ્રતિનિધિમંડળ જ ના મોકલ્યું, દુનિયાનું ફરી ટેન્શન વધ્યું 1 - image

Donald Trump on Iran War : ઈરાન સાથેની શાંતિ વાર્તાના બીજા તબક્કા પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પે મોટું પગલું ભરતા અમેરિકન પ્રતિનિધિઓની ઈસ્લામાબાદ મુલાકાત રદ કરી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે ઈરાન સાથેની મધ્યસ્થતા માટે સમય બગાડવા માંગતા નથી અને જો ઈરાન વાત કરવા ઈચ્છતું હોય તો તેણે સીધો સંપર્ક કરવો પડશે.

18 કલાકની ફ્લાઈટનો ઈનકાર

ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને જણાવ્યું કે, "મેં મારા પ્રતિનિધિઓને કહ્યું કે તમે ત્યાં (પાકિસ્તાન) જવા માટે 18 કલાકની ફ્લાઈટ ન ભરી શકો. અમારી પાસે બધા વિકલ્પો ખુલ્લા છે. ઈરાની નેતાઓએ જ્યારે વાત કરવી હોય ત્યારે અમને ફોન કરી શકે છે." ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાની નેતૃત્વમાં અત્યારે અંદરોઅંદર વિખવાદ અને ભારે ભ્રમની સ્થિતિ છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કર્યું કે આ મુલાકાત પાછળ સમય બગાડવા જેવો છે, કારણ કે કરવા માટે ઘણું કામ છે.

પાકિસ્તાનની મધ્યસ્થતા અંગે મોટું નિવેદન 

તાજેતરમાં જ ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર સાથે મુલાકાત કરી હતી. ઈરાને પાકિસ્તાનના મધ્યસ્થતાના પ્રયાસોની પ્રશંસા તો કરી છે, પરંતુ અમેરિકાની 'મહત્તમ માંગણીઓ' સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે પાકિસ્તાન મધ્યસ્થી બની રહેશે અને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કરશે. 

અમેરિકા અને ઈરાન વચ્ચેના આ ખેંચતાણની સીધી અસર દુનિયા પર પડી રહી છે

હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ: ટ્રમ્પે ઈરાની બંદરોની નાકાબંધી કરી છે, જેના કારણે ઈંધણ, કુદરતી ગેસ અને ખાતરના ભાવમાં જંગી ઉછાળો આવ્યો છે.

જહાજો પર હુમલા: ઈરાને આ અઠવાડિયે ત્રણ જહાજો પર હુમલો કર્યો છે, જેમાંનું એક ભારત આવી રહ્યું હતું.

સીઝફાયર છતાં તણાવ: બંને દેશો વચ્ચે હાલ અનિશ્ચિતકાલીન સીઝફાયર છે, પરંતુ દરિયાઈ સીમાઓ પર ગમે ત્યારે સંઘર્ષ ભડકે તેવી સ્થિતિ છે.

ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના નેતૃત્વમાં 20 કલાક સુધી સીધી વાતચીત ચાલી હતી. 1979ની ક્રાંતિ બાદ આ પ્રથમ ઉચ્ચ સ્તરીય સીધી વાર્તા હતી, પરંતુ તેમાં કોઈ સમજૂતી થઈ શકી નહોતી. હવે ટ્રમ્પના આકરા વલણે રાજદ્વારી ઉકેલની આશા પર પાણી ફેરવી દીધું છે.