શેખ હસીનાની દિલ્હી પ્રેસ કોન્ફરન્સથી ઢાકા નારાજ : કહ્યું આથી દ્વિપક્ષીય સંબંધો બગડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- શેખ હસીનાએ પ્રેસરમાં ફરી કહ્યું : હું સ્વદેશ જઈશ જ
- ભારતે કહ્યું : શેખ હસીનાની વર્ચ્યુઅલ પ્રેસર સાથે અમારે કોઈ લેવા દેવા નથી છતાં ઢાકાએ સખત વિરોધ નોંધાવ્યો
નવી દિલ્હી : બાંગ્લાદેશનાં પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સને કરેલાં સંબોધન સામે બાંગ્લાદેશની સરકારે સખત વિરોધ નોંધાવ્યો તે સામે ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમારે તે પ્રેસર સાથે કોઈ લેવા દેવા નથી. તેમ છતાં, બાંગ્લાદેશ સરકારે તેનો વિરોધ નોંધાવતાં કહ્યું કે ઢાકાના વિરોધ છતાં પદભ્રષ્ટ વડાપ્રધાનને ભારતની ભૂમિ ઉપરથી પ્રેસકોન્ફરન્સને સંબોધન કરવા દેવાની ભારતે કરી આપેલી સવલત સામે અમારો વિરોધ છે. તેટલું જ નહીં પરંતુ તેથી બાંગ્લાદેશની જનતા પણ નારાજ છે. આથી આપણા દ્વિપક્ષીય સંબંધો ફરી સારા કરવામાં ઘણો મોટો અવરોધ ઉપસ્થિત થયો છે.
બાંગ્લાદેશનાં વિદેશ મંત્રાલયે તીવ્ર શબ્દોમાં પ્રસિદ્ધ કરેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે હત્યારા સાબિત થયેલા ભાગેડુને પત્રકારો સાથે સીધી વાતચીત કરવાની ભારતે કરી આપેલી સરળતા સામે અમારે સખત વિરોધ છે. તેઓએ તે પ્રેસરમાં બાંગ્લાદેશની સરકાર સામે રીતસર ઝેર જ ઓક્યું હતું.
પછીથી વાત વાળી લેતા હોય તેમ તેનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આમ છતાં બાંગ્લાદેશ ભારત સાથે રચનાત્મક તેમજ પરસ્પરને લાભકર્તા સંબંધો જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. તેમજ ભારત સાથે સાર્વભૌમ સમાનતા પારસ્પરિક આદર અને પરસ્પરની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરવા અને પરસ્પરનું રાષ્ટ્રીય ગૌરવ જાળવવા માટે પણ બાંગ્લાદેશ સરકાર પ્રતિબદ્ધ છે.
વિશ્લેષકોનું મંતવ્ય છે કે તિસ્તા નદીના જળની વહેંચણીમાં ત્રીજા પક્ષનો દખલ અંદાજી સ્વીકારવાની ભારતે સ્પષ્ટ રીતે ના કહી. તેમજ ચિકન-નેક અંગે પણ ભારતનાં મક્કમ વલણથી હવે બાંગ્લાદેશની સરકારની સાન ઠેકાણે આવી હોય તેમ લાગે છે.









