- એક સુમાહીતગાર ગલ્ફ એનાલિસ્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : ઇરાનના મિસાઇલ્સ અને ડ્રોન હુમલા છતાંયે દુબઈમાં મૂડીરોકાણનો પ્રવાહ ચાલુ છે
દુબઈ (યુએઇ) : પશ્ચિમ એશિયામાં યુદ્ધ ૧૩મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. સંયુક્ત આરબ અમીરાતે આ યુદ્ધ અંગે ઘેરી ચિંતા દર્શાવી છે. છતાં હિંમતપૂર્વક કહ્યું છે કે ઇરાનના, મિસાઇલ્સ અને ડ્રોન હુમલાઓ છતાંએ દુબઈ નિશ્ચીત રહ્યું છે. કાર્યરત રહ્યું છે અને ધંધા રોજગાર માટે ખુલ્લું રહ્યું છે.
એક સુમાહિતગાર ગલ્ફ એનાલિસ્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઇરાનના મિસાઇલ્સ કે ડ્રોન હુમલા છતાંયે દુબઈમાં મૂડી રોકાણનો પ્રવાહ યથાવત જ રહ્યો છે અને સંયુક્ત આરબ અમીરાત જેવી છે તેવી જ વૈશ્વિક વ્યાપાર વાણિજ્ય અને નાણાંકીય વૈશ્વિક કેન્દ્ર તરીકે યથાવત જ રહ્યું છે. તે હુમલાઓથી સંયુક્ત આરબ અમીરાતની ભૂમિગત પરિસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી.
આ વિશ્લેષણકારે તેમ પણ કહ્યું હતું કે તેથી વિદેશી મૂડી રોકાણો ચાલ્યાં ગયાં છે, તેવી માન્યતામાં કોઈ તથ્ય નથી. તેવું કશું છે જ નહીં.
આમ છતાં તેઓએ તે સ્પષ્ટતા કરી હતી કે કેટલાયે સહેલાણીઓ તુર્ત જ દુબઈ અબુધાબી જેવાં શહેરો છોડી તુર્ત ચાલ્યા ગયા છે. તે સત્ય છે તે સહજ પણ છે. પરંતુ તેનો અર્થ તેવો ન જ થઈ શકે કે સંયુક્ત આરબ અમીરાતમાંથી મૂડી રોકાણો પાછાં ખેંચાઈ રહ્યાં છે. વાસ્તવમાં તેવું કશું છે જ નહીં.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ ઇરાન દ્વારા કશીપણ ઉશ્કેરણી વિના કરેલા મિસાઇલ ડ્રોન હુમલાને વખોડી નાખતો ઠરાવ પસાર કર્યો હતો. તે ઠરાવને મહાસભાના ૧૪૦ જેટલા સભ્યોએ ટેકો આપ્યો હતો. તે પૂર્વે તે ઠરાવ સલામતી સમિતિમાં રજૂ થયો ત્યારે ઇરાન જેને ગાઢ સાથીઓ ગણે છે તેવાં રશિયા અને ચાયનાએ તે ઠરાવ ઉપર વીટો વાપર્યો ન હતો. અને સલામતી સમિતિમાં તે બહુમતીથી પસાર પણ થઇ ગયો હતો.


