- 90 વર્ષના બૌદ્ધ ધર્મના ધર્મગુરૂએ શાંતિ, કરૂણા અને માનવીથી મૂલ્યોના કરેલા પ્રચાર માટે તેઓને ગ્રેમી એવોર્ડ અપાયો : ચીને કહ્યું તે ચીન વિરોધી ગતિવિધિનો ભાગ છે
નવી દિલ્હી : બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈ લામાને તેઓના શાંતિ, કરુણા અને માનવીય મૂલ્યોના પ્રચાર માટે 'ગ્રેમી એવોર્ડ'થી સન્માનિત કરાયા છે પરંતુ તેથી ચીનને મરચાં લાગ્યા છે. સોમવારે દલાઈ લામાને અપાયેલા આ 'બહુમાન'ની નિંદા કરતા ચીને કહ્યું હતું કે, તે તિબેટી ધર્મગુરુને અપાયેલું 'બહુમાન' વાસ્તવમાં ચીન-વિરોધી ગતિવિધિઓના ભાગરૂપે છે.
દલાઈ લામાને અપાયેલા આ સન્માન અંગે ચીનની પ્રતિક્રિયા વિષે પૂછતાં, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન- જિયાને ચીનના તે આક્ષેપનો પુનરોચ્ચાર કર્યો હતો કે, તે ૯૦ વર્ષના ધાર્મિક નેતા ધર્મના નામે અલગતાવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના લૉસ-એન્જલયમાં યોજાયેલા ૬૮મા 'ગ્રેમી એવોર્ડ' કાર્યક્રમમાં દલાઈ લામાને તેમની ઓડીયો બુક 'મેડીટેશન્સ: ધી રીફ્લેક્શન્સ ઑફ હીઝ હાલીનેસ ધી દલાઈ લામા' માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે ઓડીયો બુકમાં સંગીત તથા અન્ય કલાકારોની પણ ઝલક છે. આ ગ્રેમી-એવોર્ડની કેટેગરીમાં કોમેડીયન ટ્રેલર નોવા અને સુપ્રીમ કોર્ટના જજ કે. બ્રાઉન જેક્સન જેવાના પણ નામ છે.
દલાઈ લામાને મળેલા આ એવોર્ડથી ભડકેલા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું હતું કે, દલાઈ લામા વિશુદ્ધ ધાર્મિક નેતા જ નથી. તેઓ એક રાજકીય નિર્વાસિત છે, જે ધર્મની આડમાં ચીન વિરોધી અલગતાવાદી ગતિવિધિઓમાં વ્યસ્ત છે.
આ એવોર્ડ મળતા દલાઈ લામાએ એવોર્ડ સમિતિનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દલાઇ લામા તેઓના કેટલાક સાથીઓ સાથે ૧૯૫૯માં ભારત આવી વસ્યા હતા અને તેઓ તથા કેટલાય તિબેટીઓને ભારતે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આશ્રય આપ્યો હતો. તે સર્વવિદિત છે કે ૧૯૫૯માં જ તિબેટમાં ચીન સામે વિદ્રોહ જાગી ઉઠયો હતો. પરિણામે ચીનની સેનાએ તિબેટમાં કાળો કેર વરસાવતા બૌદ્ધ ધર્મના આ સર્વોચ્ચ વડા તેઓના કેટલાય સાથીઓ સાથે ભારતમાં આવી વસ્યા હતા. તેથી ચીન ભારતચ ઉપર પણ ગિન્નાયું છે.


