World

અનેક દેશ કોરોનાના ખોટા આંકડા આપે છે જેનું પરિણામ ખરાબ આવશે: WHO

By GS Team
4 Jul 20202 mins read
This article was originally published on 4 Jul 2020
અનેક દેશ કોરોનાના ખોટા આંકડા આપે છે જેનું પરિણામ ખરાબ આવશે: WHO

જીનેવા, તા. 4 જુલાઈ 2020, શનિવાર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત હોય તેવા દેશોને જાગવાની વિનંતી કરી છે તથા ઝઘડવાને બદલે વાસ્તવિક સ્થિતિ પર ધ્યાન આપીને મહામારીને કાબુમાં લેવાની સલાહ આપી છે. સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી ડાયરેક્ટર માઈક રેયાને જીનેવા ખાતે પત્રકારોને સંબોધિત કરતી વખતે જણાવ્યું કે, લોકોએ જાગવાની જરૂર છે, આંકડા અને જમીની સ્થિતિ ખોટું નથી બોલી રહ્યા.

રેયાને જણાવ્યું કે, અનેક દેશો આંકડાથી મળતા સંકેતોને નજરઅંદાજ કરી રહ્યા છે. આર્થિક કારણોસર વ્યાપારી ગતિવિધિ શરૂ કરવાની જરૂર પડી શકે છે પરંતુ સમસ્યાને પણ નજરઅંદાજ ન કરી શકાય. આ સમસ્યાનો જાદુઈ રીતે અંત નહીં આવે.

હુના ઈમરજન્સી ડાયરેક્ટર માઈક રેયાને જણાવ્યું કે, મહામારીને કાબુમાં લેવા માટે કોઈ પણ સમય મોડો ન હોઈ શકે. સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવાને બદલે ઓછું સંક્રમણ ફેલાયેલું હોય તેવા ક્ષેત્રોમાં શરતી ઢીલ આપવી જોઈએ. પરંતુ જે ક્ષેત્રોમાં વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હોય ત્યાં કઠોર પગલા લેવા સિવાય કોઈ વિકલ્પ નથી. 

તેમણે જણાવ્યું કે, જો વિવિધ દેશો લોકડાઉન ખોલી દેશે અને તેમના પાસે વધી રહેલા કેસ સામે ડીલ કરવા કોઈ ક્ષમતા નહીં હોય તો સૌથી ખરાબ સ્થિતિ નિર્માણ પામશે. જો સ્વાસ્થ્ય વ્યવસ્થા દર્દીઓની સારવારમાં અસફળ રહેશે તો વધુ લોકો પોતાનો જીવ ગુમાવશે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી મામલાના ડાયરેક્ટર માઈક રેયાને જણાવ્યું કે કેટલાક દેશોમાં કેસ વધવા પર ફરીથી કડક નિયમો અમલી કરવામાં આવે તે જરૂરી બની શકે છે. સાથે જ તેમણે ટ્રાન્સમિશન ઘટાડવા સિવાય અન્ય રીતે વાયરસને કાબુમાં લેવો શક્ય છે તેવો સવાલ કર્યો હતો અને જો તેમ શક્ય ન હોય તો લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી તેમ જણાવ્યું હતું.