નેપાળ હોનારતમાં ચીને એ જ કર્યું જે કોરોનાકાળમાં કર્યું હતું! આવું કરવા પર સીધી જેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tibet Landslide : નેપાળ અને તિબેટ અચાનક આવેલા પૂર અને કાદવના ભૂસ્ખલનના કારણે હજુ પણ ભયાનક પડકારોનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન ચીનને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. નેપાળ-તિબેટ સરહદ પરની અત્યંત ચિંતાજનક સ્થિતિ વચ્ચે ચીન પર ફરી એકવાર માહિતી દબાવવાનો આરોપ લાગી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીન તિબેટમાં સર્જાયેલી તબાહીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પરથી ઝડપથી હટાવી રહ્યું છે. એટલું જ નહીં, આવી તસવીરો અને માહિતી શેર કરનારા લોકો સામે અફવા ફેલાવવાના આરોપસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તિબેટમાં ભયાનક તબાહી વચ્ચે ચીનની કાર્યવાહી
વર્ષ 2020માં વુહાનથી કોરોના મહામારી શરૂ થઈ ત્યારે ચીનના કેટલાક ડૉક્ટરો અને નાગરિકોએ વિશ્વ સમક્ષ હકીકત લાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે ચીનના અધિકારીઓએ તેમના પર અફવા ફેલાવવાનો આરોપ લગાવીને કાર્યવાહી કરી હતી. હવે તિબેટના ગિરોંગ પોર્ટ પર સર્જાયેલી તબાહીના મામલે પણ ચીન દ્વારા આવી જ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હાલમાં સ્થાનિક લોકો દ્વારા તિબેટમાં સર્જાયેલા વિનાશની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા હતા, તે હવે ગાયબ થઈ રહ્યા છે, જ્યારે સરકારી મીડિયા દ્વારા મુખ્યત્વે બચાવ અભિયાનની સત્તાવાર તસવીરો દર્શાવવામાં આવી રહી છે.

તિબેટની તસવીરો-વીડિયો શેર કરનારાઓ સામે કાર્યવાહી
ચીન પોતાના દેશની પ્રતિષ્ઠા જાળવવા માટે સંવેદનશીલ માહિતી પર કડક નિયંત્રણ રાખે છે. તિબેટમાં સર્જાયેલી હોનારતની તસવીરો કે વીડિયો શેર કરનારા સ્થાનિક લોકો સામે ચીનની સાયબર સુરક્ષા ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તિબેટમાં મોટી હોનારત વચ્ચે ચીનનો દાવો
તાજેતરમાં દક્ષિણ-પશ્ચિમ ચીનના તિબેટ વિસ્તારમાં આવેલા ગિરોંગ પોર્ટ પર ભયાનક ભૂસ્ખલન થયું હતું. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર અનેક તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ચીનની સાયબર સુરક્ષા પોલીસે ભૂસ્ખલન અને જાનહાનિ સાથે જોડાયેલી ખોટી માહિતી ફેલાવવાના આરોપસર 10 કેસમાં કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે. ચીનના અધિકારીઓનું કહેવું છે કે કેટલાક લોકો ભૂસ્ખલન અને મૃતકોની સંખ્યા અંગે ખોટી માહિતી ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા.

10 લોકો સામે કાર્યવાહી
ચીને તિબેટમાં સર્જાયેલા વિનાશ અંગે ખોટી માહિતી ફેલાવવાના મામલે 10 લોકો સામે કાર્યવાહી કરી છે. ‘ક્યૂ’ નામના એક ઈન્ટરનેટ યુઝરે 1,400 લોકોના મોત થયા હોવાનો અને 3,000 લોકો પહેલેથી જ લાપતા હોવાનો દાવો કર્યો હતો. જ્યારે ‘લિઉ’ નામના અન્ય એક યુઝરે 3,000થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી શેર કરી હતી. ચીનની સાયબર સુરક્ષા પોલીસે બંને દાવાઓને અફવા ગણાવીને સંબંધિત યુઝર્સ સામે કાર્યવાહી કરી અને દંડ ફટકાર્યો હતો.
ચીનમાં અફવા ફેલાવવા અંગે કડક કાયદો
ચીનમાં કુદરતી આપત્તિ અંગે ખોટી અથવા અફવા ફેલાવતી માહિતી શેર કરવાના મામલે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. ચીનના કાયદા મુજબ, કુદરતી આપત્તિ અંગે જાણીજોઈને અફવા ફેલાવનારાઓને 10 દિવસ સુધીની કસ્ટડી અને 1,000 યુઆન સુધીનો દંડ થઈ શકે છે. ગંભીર મામલામાં 3થી 7 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે.

ભયાનક ભૂસ્ખલન છતાં 16 લોકોના મોતનો ચીનનો દાવો
ઉલ્લેખનીય છે કે, તિબેટમાં થયેલા ભયાનક ભૂસ્ખલનની ઘટનામાં 16 લોકોના મોત થયા હોવાનો ચીને દાવો કર્યો છે. જોકે, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા કેટલાક દાવાઓમાં જાનહાનિનો આંકડો ઘણો વધારે હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચીનના જણાવ્યા અનુસાર, ‘ઝાંગ’ નામના એક ઈન્ટરનેટ યુઝરે 1,000થી વધુ લોકો વહી ગયા હોવાનો દાવો કર્યો હતો. તેણે એવી પણ માહિતી શેર કરી હતી કે ઘટનાસ્થળે સેંકડો શ્રમિકો અને કન્સ્ટ્રક્શન વર્કર્સ હાજર હતા. આ ઉપરાંત ત્યાં પ્રવાસીઓ અને સરહદ પાર કરનારા લોકો પણ હોવાની વાત કરવામાં આવી હતી. તેથી અસરગ્રસ્ત લોકોની વાસ્તવિક સંખ્યા 1,000થી વધુ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ચીનની પોલીસે ઝાંગના આ દાવાને ખોટો ગણાવીને તેની સામે કાર્યવાહી કરી છે.




