‘બલૂચિસ્તાનમાં ચીન પોતાની સેના ઉતારવાની તૈયારીમાં’, એસ. જયશંકરને બલૂચ નેતાએ લખ્યો પત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Balochistan Seeks India Help Against China-Pakistan : બલૂચિસ્તાનના પ્રભાવશાળી નેતા મીર યાર બલૂચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને એક ખુલ્લો પત્ર લખીને ગંભીર આશંકા વ્યક્ત કરી છે. પહેલી જાન્યુઆરી-2026ના રોજ લખાયેલા આ પત્રમાં તેમણે ચેતવણી આપી છે કે, ‘જો બલૂચિસ્તાનની સ્વતંત્રતા સેનાઓને નજરઅંદાજ કરાશે, તો આગામી મહિનાઓમાં ચીન અમારા ત્યાં સેના તહેનાત કરી શકે છે. આ પગલું માત્ર બલૂચિસ્તાન જ નહીં, પરંતુ ભારતની સુરક્ષા માટે પણ મોટો ખતરો સાબિત થઈ શકે છે.’
...તો ભારત અને બલૂચિસ્તાન પર ખતરો
પોતાને બલૂચિસ્તાનના પ્રતિનિધિ ગણાવતા મીર યાર બલૂચે જણાવ્યું કે, 6 કરોડ બલૂચ લોકોની ઈચ્છા વિરુદ્ધ જો ચીન સૈનિકો તહેનાત કરશે તો ભારત માટે પણ પડકારો ઉભા થઈ શકે છે. તેમણે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પાકિસ્તાન અને ચીન વચ્ચેનું ગઠબંધન હવે તેના અંતિમ અને સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. આ પરિસ્થિતિમાં ભારત અને બલૂચિસ્તાન વચ્ચે પરસ્પર સહયોગ અત્યંત જરૂરી છે.
ઐતિહાસિક સંબંધો અને 'ઓપરેશન સિંદૂર'ની પ્રશંસા
બલૂચ નેતાએ ભારત-બલૂચિસ્તાન વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કર્યો છે અને હિંગળાજ માતાના મંદિર જેવા પવિત્ર સ્થળોને બંને પ્રદેશોની સહિયારી વિરાસત ગણાવી હતી. તેમણે મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ની પણ ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનના આતંકવાદ સામે ભારતની આ કાર્યવાહી પ્રાદેશિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભારતને સહયોગની અપીલ કરી
પત્રના અંતમાં મીર યાર બલૂચે ભારત પાસે મજબૂત અને વાસ્તવિક સહયોગની માંગ કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે બંને મહાન રાષ્ટ્રો સાથે મળીને ચીન અને પાકિસ્તાનના આ ખતરનાક ઈરાદાઓનો સામનો કરશે.
આ પણ વાંચો : કોંગ્રેસ સરકારના સરવેમાં 83 ટકા લોકોને EVM પર ભરોસો, ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન








