| (IMAGE - IANS) |
Canada Asylum Rules 2026: કેનેડામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે કેનેડાની સરકારે હવે તેમના નિયમોમાં ભારે કડકાઈ વર્તવાનું શરૂ કર્યું છે. કેનેડા સરકાર દ્વારા મોટી સંખ્યામાં શરણાર્થીઓ અને અસ્થાયી રહેવાસીઓને નોટિસ મોકલવામાં આવી રહી છે, જેમાં સંકેત આપવામાં આવ્યો છે કે તેઓ હવે દેશમાં રહેવા માટે પાત્ર નથી અને તેમણે પરત ફરવાની તૈયારી કરવી પડી શકે છે. ખાસ કરીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કે ખાલિસ્તાન સમર્થક દાવાઓના આધારે શરણ માંગનારાઓ પર આ નિર્ણયની મોટી અસર પડી શકે છે. અગાઉ કેનેડા આવા કિસ્સાઓમાં સરળતાથી આશરો આપી દેતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.
30,000 અરજદારોને કેનેડા સરકારની નોટિસ
ઇમિગ્રેશન વિભાગ(IRCC) દ્વારા લગભગ 30,000 જેટલા અરજદારોને 'પ્રોસિજરલ ફેરનેસ લેટર્સ' મોકલવામાં આવ્યા છે. આ નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે તેમની અરજીઓ નિર્ધારિત ધોરણો પર ખરી ઉતરતી નથી. જોકે, સરકાર આને સીધો 'ડિપોર્ટેશન ઓર્ડર' નથી ગણાવી રહી, પરંતુ ચેતવણી જરૂર આપી છે કે જો યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો તેમને ટૂંક સમયમાં કેનેડા છોડવું પડશે. આ કડક કાર્યવાહી પાછળ નવો કાયદો 'બિલ સી-12'(Bill C-12) જવાબદાર છે, જેણે શરણ લેવાના નિયમો અત્યંત જટિલ બનાવી દીધા છે.
કાયદાના કડક અમલથી ઇમિગ્રન્ટ્સમાં ફફડાટ
નવા નિયમો મુજબ, જે લોકો કેનેડા આવ્યાના એક વર્ષની અંદર શરણ માટે અરજી નથી કરતા અથવા અમેરિકાની સરહદથી અનિયમિત રીતે કેનેડા પ્રવેશીને 14 દિવસમાં દાવો નથી કરતા, તેમને અપાત્ર જાહેર કરી શકાય છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે આનાથી કેનેડામાં છુપાયેલા ભારત વિરોધી તત્વો પર લગામ કસાશે. જોકે, વકીલો અને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે રૂબરૂ સુનાવણીને બદલે માત્ર કાગળ પર લેવાતા નિર્ણયોને કારણે સાચા અરજદારોને પણ અન્યાય થઈ શકે છે. હાલમાં હજારો લોકો કેનેડામાં અનિશ્ચિતતા અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.


