ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં બોમ્બમારો, બાંગ્લાદેશ સરહદે એલર્ટ, આખરે કઈ વાતનો ડર?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Myanmar Rakhine State Military Airstrike 2026: મ્યાનમારના રાખાઈન રાજ્યમાં સૈન્ય શાસન (જુન્ટા સેના) અને બળવાખોર સંગઠન અરાકાન આર્મી વચ્ચે ચાલી રહેલો લોહિયાળ સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મ્યાનમારની સેનાએ રાખાઈનના માઉંગડો અને બુથિડોન્ગ જેવા રોહિંગ્યા બહુલ વિસ્તારોમાં આડેધડ ભયાનક એરસ્ટ્રાઈક શરૂ કરી છે. આ બોમ્બમારાના કારણે સરહદ પાર બાંગ્લાદેશમાં પણ ભૂકંપ જેવા આંચકા અનુભવાયા છે. હિંસા વકરતા ફરી એકવાર હજારો રોહિંગ્યા શરણાર્થીઓ બાંગ્લાદેશ તરફ પલાયન કરે તેવી દહેશત ઊભી થઈ છે. જેના પગલે બાંગ્લાદેશ સરકારે પોતાની આંતરરાષ્ટ્રીય સરહદો પર લશ્કરી હાઈએલર્ટ જાહેર કરી દીધું છે.
18 થી 27 જેટલા બોમ્બ ઝીંકાયા, સરહદી ગામો ધ્રૂજ્યા
અહેવાલ મુજબ, બુધવાર અને ગુરુવાર દરમિયાન મ્યાનમારના ફાઇટર જેટ વિમાનોએ બાંગ્લાદેશ સરહદની બિલકુલ નજીક આવેલા વિસ્તારો પર સરેઆમ બોમ્બમારો કર્યો હતો. અલગ-અલગ આંતરરાષ્ટ્રીય સ્ત્રોતોના જણાવ્યા અનુસાર, સેનાએ અરાકાન આર્મીના સ્થળો પર 18 થી 27 જેટલા શક્તિશાળી બોમ્બ ઝીંક્યા છે. આ વિસ્ફોટોની ગુંજ બાંગ્લાદેશના ટેકનાફ વિસ્તાર સુધી સંભળાઈ હતી. જેના કારણે સ્થાનિક મકાનો અને બારીઓના કાચ હલી ગયા હતા અને સરહદી નાગરિકોમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે.
બે સરહદી સંગઠનો વચ્ચે પીસાતી જનતા
રાખાઈન વિસ્તારમાં પરિસ્થિતિ વધુ જટિલ બની છે કારણ કે સામાન્ય નાગરિકો બે તરફી હિંસામાં ફસાયા છે. એક તરફ મ્યાનમાર સેનાની સખત બોમ્બબારી છે, તો બીજી તરફ અરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મી (ARSA) અને અરાકાન આર્મી વચ્ચે પણ આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરમાં એઆરએસએ (ARSA) ના લડાકુઓએ અરાકાન આર્મીના કાફલા પર હુમલો કરી તેના કેટલાક સૈનિકોને મારી નાખ્યા હતા. ત્યાર બાદ અરાકાન આર્મીએ સ્થાનિક રોહિંગ્યાઓ પર બળવાખોરોને મદદ કરવાનો આક્ષેપ મૂકી દબાણ વધાર્યું છે.
બાંગ્લાદેશ કેમ ચિંતામાં છે?
બીજી તરફ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ના કમાન્ડર કર્નલ મોહિઉદ્દીન અહેમદે જણાવ્યું કે, ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે બોર્ડર પર પેટ્રોલિંગ વધારી દેવાયું છે. વાસ્તવમાં, બાંગ્લાદેશ વર્ષ 2017 ની હિંસા બાદ આવેલા 10 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓનો સામાજિક અને આર્થિક બોજ પહેલેથી જ ઉઠાવી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો હિંસા વધશે અને રોહિંગ્યા નાફ નદી પાર કરીને બાંગ્લાદેશ તરફ આવશે, તો આ આર્થિક સંકટ વધુ ઘેરું બની શકે છે. આ જ કારણે ઢાકા પ્રશાસને સરહદો સંપૂર્ણ સીલ કરી દીધી છે.









