Get The App

અંદમાન સાગરમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓને લઈ જતી બોટ ડૂબી, 250 લોકો ડૂબી ગયાની આશંકા

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
અંદમાન સાગરમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓને લઈ જતી બોટ ડૂબી, 250 લોકો ડૂબી ગયાની આશંકા 1 - image

Boat Capsizes In Andaman Sea: અંદમાન સાગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અંદમાન દ્વીપસમૂહ પાસે મલેશિયા જઈ રહેલી એક મોટી હોડી સમુદ્રમાં ડૂબી ગઈ છે. આ હોડીમાં 250થી વધુ બાંગ્લાદેશી અને રોહિંગ્યા લોકો સવાર હતા. બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં એક મહિલા સહિત નવ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના લોકોનું શું થયું તેનો કોઈ અત્તો પત્તો નથી. આ લોકોને તસ્કરી કરીને લઈ જવામાં આવી રહ્યા હતા. બચી ગયેલા લોકોએ આ ખતરનાક મુસાફરીની હેરાન કરી દેનારી કહાની જણાવી છે.

બાંગ્લાદેશી કોસ્ટ ગાર્ડે 9 લોકોને ઉગારી લીધા

બાંગ્લાદેશના અખબાર 'ધ ડેઈલી સ્ટાર' અનુસાર, બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડના મીડિયા ઓફિસરે જણાવ્યું કે, બાંગ્લાદેશનો ધ્વજ ધરાવતી હોડી 'MT મેઘના પ્રાઈડ' ચટગાંવથી ઈન્ડોનેશિયા જઈ રહી હતી. આ હોડીએ 9 એપ્રિલની બપોરે અંદમાન દ્વીપસમૂહ પાસે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી નવ લોકોને બચાવ્યા હતા. બચાવાયેલા લોકોને બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડના પેટ્રોલિંગ જહાજ 'મન્સૂર અલી'ને સોંપી દેવામાં આવ્યા છે.

કેવી રીતે જીવ બચ્યો, શખ્સની આપવીતી!

બચાવાયેલા લોકોએ માનવ તસ્કરી અને તે રુવાંડા ઉભા કરે તેવી સફર વિશે કંપાવી મૂકે તેવી વાતો જણાવી. રફીકુલ ઈસ્લામ, જે પોતે એક રોહિંગ્યા છે, તેને જણાવ્યું કે 2 એપ્રિલના રોજ કુતુપાલોંગ બજારમાં તેમને નોકરીની લાલચ આપીને ફસાવવામાં આવ્યા હતા. તેમને ટેકનાફના કછોપિયા યુનિયનના રાજારછારા વિસ્તારમાં એક ઘરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને અન્ય 20 થી 25 લોકો સાથે કેદ કરી રાખવામાં આવ્યા હતા.

...અને બાંગ્લાદેશી સેનાની એક પેટ્રોલિંગ ટીમ પસાર થઈ

તેને આરોપ લગાવ્યો કે જ્યારે પણ કોઈ પીડિત ભાગવાનો પ્રયત્ન કરતો, ત્યારે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે તે વિસ્તારમાં અનેક ઘરોનો ઉપયોગ તસ્કરી કરીને લાવવામાં આવેલા લોકોને કેદ રાખવા માટે કરવામાં આવતો હતો. 4 એપ્રિલની રાત્રે તેમને રાજારછારા પાસે 'મરીન ડ્રાઈવ' ને અડીને આવેલા દરિયા કિનારે લઈ જવામાં આવ્યા અને નાની માછીમારીની હોડીઓમાં બેસાડી દેવામાં આવ્યા. એક જગ્યાએ તેમને પાસેની ઝાડીઓમાં છુપાવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, કારણ કે તે સમયે બાંગ્લાદેશી સેનાની એક પેટ્રોલિંગ ટીમ ત્યાંથી પસાર થઈ રહી હતી.

ગૂંગળામણ અને અતિશય ભીડથી 25થી વધુ લોકો મરી ગયા!

રફીકુલના જણાવ્યા અનુસાર, બાદમાં જહાજ પર વધુ મુસાફરોને ચઢાવવામાં આવ્યા હતા, જેનાથી કુલ સંખ્યા લગભગ 280 થઈ ગઈ હતી. જેમાં 13 ક્રૂ મેમ્બર અને દાણચોરો/તસ્કરો, 21 રોહિંગ્યા મહિલાઓ અને ચાર બાળકો સામેલ હતા. આ મુસાફરોમાંથી લગભગ 150 રોહિંગ્યા હતા, જ્યારે બાકીના બાંગ્લાદેશી હતા. દરિયામાં ઉછળતા મોજાં અને ખરાબ હવામાનને કારણે દાણચોરોએ કથિત રીતે મુસાફરોને માછલી અને જાળ રાખવા માટે બનાવેલા ચાર સાંકડા સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટમાં જબરદસ્તીથી ઠાંસી દીધા હતા. રફીકુલે દાવો કર્યો હતો કે ગૂંગળામણ અને અતિશય ભીડને કારણે 25 થી 30 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: આજે શેરબજારમાં મોટો ઉછાળો થવાના એંધાણ, આ 5 સંકેતથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે તેજી

તેણે વધુમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે જો જહાજના ડેક પર હાજર લોકો કમ્પાર્ટમેન્ટમાં જવાની ના પાડતા, તો દાણચોરો જહાજને ડુબાડી દેવાની ધમકી આપતા હતા. રફીકુલે જણાવ્યું કે અંતે મોટા મોજાઓની ઝપેટમાં આવવાથી જહાજ પલટી ગયું. તે બે લિટરની પાણીની બોટલ પકડીને કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો, પરંતુ તે જણાવી શક્યો નહીં કે બાકીના લોકો સાથે શું થયું.