World

ભાગવતનો યુએસમાં વિરોધ : સંઘ પર પ્રતિબંધની માગ

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં હિન્દુ સંગઠનના ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન્સ’ કાર્યક્રમમાં ભાગ લેવા સંઘ પ્રમુખ મોહન ભાગવત આગામી સપ્તાહે અમેરિકા જશે. જોકે, તેમની મુલાકાત પહેલાં જ અમેરિકી ધાર્મિક સ્વતંત્રતાની સરકારી બોડીએ વિરોધ કર્યો છે. તેમણે ટ્રમ્પ સરકાર સમક્ષ સંઘ અને તેના નેતાઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. આયોગે ભાગવતની ડિપ્લોમેટિક બેઠકો રદ્દ કરવા પણ રજૂઆત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાગવતનો યુએસમાં વિરોધ : સંઘ પર પ્રતિબંધની માગ

વૉશિંગ્ટન: અમેરિકામાં હિન્દુ સંગઠન દ્વારા યોજાઈ રહેલા યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન્સના કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવત આગામી સપ્તાહે અમેરિકા જવાના છે. તે પહેલાં અમેરિકામાં તેમની મુલાકાતનો ભારે વિરોધ ઉઠયો છે. અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતાની સરકારી બોડીએ જ મોહન ભાગવતનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, સંઘ અને તેના નેતાઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી જ અમેરિકન સરકાર સામે કરી હતી. આ સંગઠન મોહન ભાગવત અને સંઘનો ધાર્મિક કટ્ટરતા બદલ અગાઉ પણ વિરોધ કરી ચૂક્યું છે અને તેનો ભારતના વિદેશ મંત્રાલયે જવાબ પણ આપ્યો હતો.
સંઘના વડા મોહન ભાગવતની અમેરિકા મુલાકાત પહેલાં અમેરિકાના સંગઠનોએ તેમનો વિરોધ શરૂ કર્યો છે. અમેરિકામાં એક સરકારી સંસ્થા છે. જેનું નામ છે - ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ કમિશન.
આ સંસ્થા સરકારથી સ્વાયત કામ કરવાનો દાવો કરે છે અને તેના સભ્યોની નિમણૂક પ્રમુખ અને સેનેટર્સ દ્વારા થાય છે. આ અમેરિકન કમિશન સંઘના વિરોધ માટે જાણીતું છે.
અગાઉ સંઘ અને ભારતની જાસૂસી એજન્સી પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. તે વખતે ગત માર્ચમાં ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમેરિકન આયોગ અમુક સંગઠનોને નિશાન બનાવે છે, પરંતુ ભારત ૧૪૦ કરોડ લોકોનો દેશ છે, જ્યાં જુદા જુદા ધર્મોના લોકો સદભાવથી રહે છે. હવે આ ધાર્મિક સ્વતંત્રતા પંચે સંઘનો ફરીથી વિરોધ શરૂ કર્યો છે અને એ એવા સમયે કર્યો છે કે જ્યારે સંઘના વડા મોહન ભાગવત અમેરિકાના પ્રવાસે જવાના છે. અમેરિકન હિન્દુઝ ફોર એંગેજમેન્ટ એન્ડ ડાયલોગ દ્વારા યોજાનારા યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન નામના કાર્યક્રમમાં ભાગવત ભાગ લેવાના છે.
એ પહેલાં અમેરિકાના સરકારી આયોગે ટ્રમ્પ સરકારને રજૂઆત કરી છે કે મોહન ભાગવત સાથે જે ડિપ્લોમેટિક હાઈ લેવલની બેઠકો થવાની છે તે રદ્ કરવી જોઈએ.
એટલું જ નહીં, સંઘ અને સંઘના નેતાઓ પર પ્રતિબંધની માગણી કરતાં આયોગના પ્રમુખ આસિફ મહમૂદે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ જે સંગઠનના સભ્ય છે એ આરએસએસ સંગઠન બીજા ઘણાંય જમણેરી સંગઠનો ચલાવે છે. આ સંગઠનો ભારતમાં મુસ્લિમ અને ખ્રિસ્તી જેવા લઘુમતીઓ પર હુમલા માટે અને ભેદભાવ માટે જવાબદાર છે. આ હુમલાઓથી મોહન ભાગવતની મુલાકાતને અલગ કરીને જોઈ શકાય નહીં.