બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન આગામી સપ્તાહે ભારત આવવાના છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- શેખ હસીનાનાં પ્રત્યાર્પણનો મુદ્દો મહત્વનો બની રહ્યો છે
- આ પૂર્વે ગત ફેબ્રુઆરીમાં બાંગ્લાદેશના વિદેશમંત્રી ખલીલ-ઉર-રહેમાન ભારત આવ્યા હતા તેઓએ વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મંત્રણા કરી હતી
નવી દિલ્હી, ઢાકા : બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન આગામી સપ્તાહે ભારતની મુલાકાતે આવવાના છે. બંને દેશોનાં પાટનગરોમાં તે માટે પૂર્વ તૈયારીઓ થઈ રહી છે.
વડાપ્રધાન તરીકે તારિકની આ ભારતની પહેલી યાત્રા બની રહેશે. તેઓ મહદઅંશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા કરવાના છે. બંને વચ્ચે વ્યાપાર, કનેકટીવીટી, ઊર્જા, સીમા વ્યવસ્થા અને પ્રાદેશિક સલામતી સહિત કેટલાયે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થવાની સંભાવના છે.
બે-એક દિવસ પૂર્વે જ બાંગ્લાદેશમાં ઊભી થયેલી અસામાન્ય વીજ કટોકટી સમયે ભારતે કરેલી અસામાન્ય સહાય પછી યોજાનારી આ મંત્રણા પર સૌનું ધ્યાન કેન્દ્રિત છે.
જાણકારો કહે છે કે વાસ્તવમાં આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને નવું રૂપ આપી શકે તેમ છે. રહેમાન સત્તા પર આવતાં બાંગ્લાદેશના રાજકારણમાં પલ્ટો આવ્યો છે તેમ ઘણાનું માનવું છે.
સૌથી વધુ ઉલ્લેખનીય તે છે કે તીસ્તા-જળ-વહેંચણી અંગે તારિકે ચીનની મધ્યસ્થીનો પ્રસ્તાવ મુક્યો હતો ત્યારે ભારતે કડક વલણ અપનાવી કહ્યું હતું કે તે વિવાદમાં ભારત કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગીરી ચલાવી નહીં લે તે પછી તારિકને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો હશે તેમ પણ ઘણાનું માનવું છે.
જળ-વિવાદ ઉપરાંત ભારતમાં રાજ્યાશ્રય લેવા આવેલાં બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનાં પ્રત્યાર્પણનો મુદ્દો મહત્વનો બની રહેશે. વિશ્લેષકો માને છે કે તેમાં ભારત નમતું નહીં જોખે, તે કહી પણ શકશે કે શેખ હસીના પોતે જ ડીસેમ્બરમાં બાંગ્લાદેશ જવા માગે છે તેથી પ્રત્યાર્પણનો પ્રશ્ન જ રહેતો નથી.
સૌથી મહત્વનો મુદ્દો તો તે દેશની પૂર્વની સરકારે ચીનનો નૌકા મથક બનાવવા આપેલી સવલતનો બની શકે તેમ છે.









