Ayatollah Ali Khamenei Funeral Date 9 July : ઇરાનના દિવંગત સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર આગામી મહિનામાં થવા જઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં થયેલા અમેરિકી અને ઇઝરાયલી સૈન્ય હુમલામાં માર્યા ગયેલા ખામેનેઈના મૃત્યુના અંદાજે 4 મહિના (132 દિવસ) બાદ આગામી 9 જુલાઈ 2026ના રોજ તેમને સુપુર્દ-એ-ખાક (દફનાવવામાં) કરવામાં આવશે. ઇરાન પર ચાલી રહેલા યુદ્ધ અને સુરક્ષા ચિંતાઓને કારણે અત્યાર સુધી આ કાર્યક્રમ મોકૂફ રખાયો હતો.
ન્યૂઝ એજન્સી રોયટર્સ (Reuters) અને એએફપી (AFP)ના અહેવાલ અનુસાર, અલી ખામેનેઈનું મૃત્યુ 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત હુમલામાં થયું હતું. તેમના અવસાન સાથે જ ઇરાન પર ત્રણ દાયકા (30 વર્ષ) કરતા વધુ સમયથી ચાલી રહેલા તેમના શાસનનો અંત આવ્યો હતો.
4 થી 9 જુલાઈ સુધી ચાલશે ભવ્ય અંતિમ સંસ્કાર કાર્યક્રમ
તેહરાનના મેયર અલીરેઝા ઝકાનીના સત્તાવાર નિવેદન મુજબ, ખામેનેઈના અંતિમ સંસ્કારનો ભવ્ય કાર્યક્રમ કુલ 6 દિવસ સુધી અલગ-અલગ શહેરોમાં ચાલશે.
4 થી 6 જુલાઈ: રાજધાની તેહરાનમાં 3 (ત્રણ) દિવસ સુધી સત્તાવાર અંતિમ સંસ્કાર વિધિ અને શોક સભા ચાલશે.
7 જુલાઈ: ઇરાનના પવિત્ર શહેર કોમ (Qom)માં વિશેષ ધાર્મિક વિધિ યોજાશે.
9 જુલાઈ: ખામેનેઈના વતન અને ઉત્તર-પૂર્વીય શહેર મશહદ (Mashhad)માં તેમને સત્તાવાર રીતે દફનાવવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં ઇરાન અને વિશ્વભરમાંથી આશરે 20 મિલિયન (2 કરોડ) લોકો સામેલ થાય તેવી સંભાવના છે.
અંતિમ સંસ્કારમાં કેમ થયો 4 મહિનાનો વિલંબ?
ઇસ્લામિક પરંપરાઓથી વિપરીત ખામેનેઈને દફનાવવામાં 132 દિવસ જેટલો લાંબો સમય લાગવા પાછળ ઘણાં મહત્ત્વના કારણો જવાબદાર છે. જેમ કે...
મોહરમના કારણે ફેરફાર: ઇરાન સરકાર પહેલા આ કાર્યક્રમ જૂનની શરૂઆતમાં મોહરમ માસની શરૂઆતમાં કરવા માંગતી હતી. પરંતુ, મેયરે સ્પષ્ટ કર્યું કે લોકો ઇમામ હુસૈન માટે પોતાના વાર્ષિક શોકને શાંતિપૂર્વક પૂરો કરી શકે તે માટે આ કાર્યક્રમ મોહરમના પ્રથમ 10 દિવસ પછી (એટલે કે 4 જુલાઈથી) રાખવામાં આવ્યો છે.
યુદ્ધ અને સુરક્ષા ચિંતાઓ: માર્ચ મહિનામાં નિર્ધારિત કરાયેલો કાર્યક્રમ અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ અને સુરક્ષાના કારણોસર મુલતવી રાખવો પડ્યો હતો.
સત્તાનું હસ્તાંતરણ: ખામેનેઈના મૃત્યુ બાદ તેમના પુત્ર મૌજતબા ખામેનેઈ (Mojtaba Khamenei)ને સત્તા સોંપવાની પ્રક્રિયા અને ઇરાનના નવા સુપ્રીમ લીડરની વરણી અંગે મહિનાઓ સુધી ચાલેલી રાજકીય અટકળો પણ આ વિલંબનું એક મુખ્ય કારણ હતું.


