Trump’s 72-Hour Ultimatum to Iran: અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ અત્યારે અત્યંત નાજુક અને જોખમી સ્થિતિમાં પહોંચી ગયું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીની રશિયાની મુલાકાતથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થઈ ગયા છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં સીધી ધમકી આપતા જણાવ્યું છે કે જો આગામી ત્રણ દિવસમાં ઈરાન સમજૂતી નહીં કરે, તો તેની ઓઇલની પાઈપલાઈનોમાં ભયંકર વિસ્ફોટ કરવામાં આવશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાન પહેલાથી જ જહાજો દ્વારા નિકાસ કરી શકતું નથી અને હવે પાઈપલાઈન ધ્વસ્ત થયા બાદ તે ઓઇલ નિકાસ કરવાને લાયક જ નહીં બચે.
રશિયા સાથે ઈરાનની નિકટતા વધતા અમેરિકા લાલઘૂમ
આ વિવાદનું મુખ્ય કારણ ઈરાનના વિદેશ મંત્રીની રશિયા અને પાકિસ્તાન વચ્ચેની દોડધામ માનવામાં આવે છે. અરાઘચી પહેલા પાકિસ્તાન અને ઓમાન ગયા હતા અને હવે પુતિન સાથે મંત્રણા કરવા મોસ્કો પહોંચ્યા છે. ટ્રમ્પ આ વાતથી નારાજ છે કે ઈરાન હવે રશિયામાં આગળની વાતચીત કરવા ઈચ્છે છે.
ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે હવે તેમનું પ્રતિનિધિ મંડળ મંત્રણા માટે પાકિસ્તાન કે અન્ય ક્યાંય જશે નહીં. જે પણ વાત કરવી હોય તે ફોન પર જ થશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને મોકલેલો પહેલો પ્રસ્તાવ તેમણે ફગાવી દીધો હતો, જે બાદ ઈરાને બીજો સુધારેલો પ્રસ્તાવ મોકલ્યો છે.
શું છે ટ્રમ્પના આવા નિવેદન પાછળનો તર્ક?
ટ્રમ્પે પાઈપલાઈનોને 'બોમ્બથી ઉડાવી દેવાની' સીધી સૈન્ય ધમકી નથી આપી, પરંતુ તેમણે એવો દાવો કર્યો છે કે દબાણને કારણે તે અંદરથી ફાટી જશે. આ નિવેદન પાછળનો તર્ક એવો છે કે, અમેરિકન નૌકાદળ દ્વારા ઈરાનની ઓઈલની નિકાસ પર પ્રતિબંધ લગાવાયો હોવાથી ઈરાન પોતાનું તેલ જહાજોમાં ભરી નહીં શકે.
ટ્રમ્પના મતે, જો પાઈપલાઈનમાંથી તેલ સતત પમ્પ નહીં કરાય, તો તેની નિકાસ અટકી જશે. એ સ્થિતિમાં પાઈપલાઈનમાં આંતરિક દબાણ (pressure) એટલું વધી જશે કે તે ‘અંદરથી ફાટી જશે.’
ઓઈલ પાઈપલાઈનની વાત કરી આડકતરી ચેતવણી
આ વાત કરીને ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો 72 કલાકમાં સમજૂતી નહીં થાય, તો આ મિકેનિકલ સમસ્યાને કારણે ઈરાનનું 50% ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાયમી ધોરણે નાશ પામી શકે છે. ટૂંકમાં, આ કોઈ મિસાઈલ હુમલાની ધમકી નથી, પણ ટેકનિકલ કારણોસર પાઈપલાઈન આપમેળે જ ફાટી જશે તેવી 'કુદરતી આફત'ની ચેતવણી જેવી વાત છે, જેનો ઉપયોગ તેઓ ઈરાન પર દબાણ લાવવા માટે કરી રહ્યા છે.
ટ્રમ્પનો મોટો નિર્ણય: અમેરિકન પ્રતિનિધિઓ હવે વાટાઘાટો માટે ઈસ્લામાબાદ નહીં જાય
ઉલ્લેખનીય છે કે 11 અને 12 એપ્રિલના રોજ યોજાયેલી શાંતિ વાટાઘાટોનો પહેલો રાઉન્ડ નિષ્ફળ રહ્યો હતો. પરિણામે ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમના વાટાઘાટ કરનારા સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર હવે ઈસ્લામાબાદ જશે નહીં. બીજી તરફ, ઈરાનનું કહેવું છે કે અરાઘચી રશિયામાં યુદ્ધને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માટે ઈરાનનો પક્ષ રજૂ કરશે. જોકે, ટ્રમ્પનું આ આક્રમક વલણ જોતા આગામી 72 કલાક બંને દેશો અને સમગ્ર વિશ્વના ઓઇલ બજાર માટે ખૂબ જ મહત્ત્વના સાબિત થઈ શકે છે.


