ભારત સાથે સંબંધ બગાડીને પાકિસ્તાન સાથે કરી ‘દોસ્તી’, જાણો કયો દેશે કરી અબજો ડોલરની મદદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Canada Balances India And Pakistan: ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો લાંબા સમય સુધી તણાવપૂર્ણ રહ્યા હતા. જોકે, કેનેડામાં માર્ક કાર્ની વડાપ્રધાન બન્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ હકારાત્મક બદલાવ વચ્ચે, કેનેડાએ પાકિસ્તાન માટે એક મોટી આર્થિક મદદની જાહેરાત કરીને વૈશ્વિક રાજનીતિમાં નવો વળાંક લાવ્યો છે. કેનેડાએ ઇસ્લામાબાદને કરોડો ડોલરની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે, જે ભારત સાથેના તેના સુધરતા સંબંધો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.
કેનેડાના વિદેશ મંત્રીની પાકિસ્તાન મુલાકાત અને $47 મિલિયનની સહાય
કેનેડાના વિદેશ મંત્રી અનીતા આનંદ તાજેતરમાં પાકિસ્તાનની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સોમવારે પૂર્ણ થયેલી આ યાત્રા દરમિયાન જ કેનેડા સરકારે ઇસ્લામાબાદ માટે $47 Millionથી વધુના આર્થિક પેકેજની જાહેરાત કરી દીધી છે. ગ્લોબલ અફેર્સ કેનેડાના જણાવ્યા અનુસાર, આ રકમ પાકિસ્તાનમાં વિકાસ કાર્યો, સુરક્ષા સહયોગ અને વિવિધ સામાજિક પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચવામાં આવશે.
અનીતા આનંદે સ્પષ્ટ કર્યું કે કેનેડા ઇન્ટરપોલ, યુએન ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC) અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ માટે $2.2 Millionની નવી ફંડિંગ આપીને પાકિસ્તાનના સુરક્ષા પ્રયાસોને મજબૂત કરશે. આ ઉપરાંત, કેનેડા સાથે જોડાયેલા અન્ય 3 મોટા પ્રોજેક્ટ્સ માટે વધારાની $45 Millionની ફંડિંગની પણ મહોર મારવામાં આવી છે.
પાકિસ્તાને ભારત વિરુદ્ધ કેનેડા સમક્ષ સિંધુ જળ સંધિનો રાગ આલાપ્યો
કેનેડાના વિદેશ મંત્રી અનીતા આનંદની હાજરીનો લાભ ઉઠાવીને પાકિસ્તાને ફરી એકવાર ભારત વિરુદ્ધ પોતાનો પ્રોપેગેન્ડા શરૂ કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે મુલાકાત દરમિયાન 'સિંધુ જળ સંધિ'નો મુદ્દો ઉઠાવ્યો હતો. ઇશાક ડારે જણાવ્યું હતું કે, "અમે કેનેડા સહિતના અમારા મિત્ર દેશો પાસેથી એવું સમર્થન ઈચ્છીએ છીએ જેથી ભારત સાથે સિંધુ જળ સંધિને તાત્કાલિક બહાલ કરી શકાય, પાણીનો હથિયાર તરીકે થતો ઉપયોગ બંધ થાય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ તેમજ સંધિની શરતોનું પાલન સુનિશ્ચિત કરી શકાય."
વડાપ્રધાન માર્ક કાર્નીના શાસનમાં ભારત-કેનેડા સંબંધો પાટા પર
ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારતે કેનેડા પર પોતાની ધરતીનો ઉપયોગ ભારત વિરોધી ખાલિસ્તાની પ્રવૃત્તિઓ માટે થવા દેવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જેના કારણે રાજદ્વારી સંબંધો તળિયે પહોંચ્યા હતા. જોકે, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના ડેપ્યુટી કમિશનર લિસા મોરલેન્ડે તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે નિજ્જર કેસમાં ભારતીય અધિકારીઓની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી અને ભારત સરકારે તપાસમાં પૂરો સહયોગ આપ્યો છે.
હવે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વમાં કેનેડા અમેરિકા પરની પોતાની આર્થિક નિર્ભરતા ઘટાડવા ભારત તરફ હાથ લંબાવી રહ્યું છે. આ વર્ષે 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન કેનેડાના વડાપ્રધાને ભારતની મુલાકાત લીધી હતી, જ્યાં બંને દેશો વચ્ચે યુરેનિયમ અને મહત્ત્વપૂર્ણ ખનિજોના પુરવઠા અંગે ઐતિહાસિક કરાર થયા હતા.
તાજેતરમાં ફ્રાન્સના એવિયોન ખાતે યોજાયેલી G7 સમિટ દરમિયાન પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડિયન વડાપ્રધાન કાર્ની વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત યોજાઈ હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ બેઠક અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક વર્ષ કરતા ઓછા સમયમાં આ તેમની ચોથી મુલાકાત છે જે બંને દેશો વચ્ચેના મજબૂત આર્થિક અને રાજદ્વારી સંબંધો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.









