World

આરોપ લગાવવાથી કંઈ નહીં થાય: નેપાળ પૂર હોનારતમાં ડેમ તૂટવાના દાવા પર ચીનનો સણસણતો જવાબ

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ચીને ડેમ તૂટવાના નેપાળના દાવાને ફગાવી દીધો છે. ચીની દૂતાવાસે આ દાવાને "ફેક ન્યૂઝ" ગણાવ્યો. ચીને કહ્યું કે 26 ઑગસ્ટના રોજ નેપાળમાં ભૂકંપ જેવા આંચકાથી ગ્લેશિયર તૂટતાં આ તબાહી સર્જાઈ. આ દુર્ઘટનામાં 175 લોકોના મોત થયા છે અને 1500થી વધુ લોકો ગુમ છે, જેમાં ગામો અને રસ્તાઓ નાશ પામ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આરોપ લગાવવાથી કંઈ નહીં થાય: નેપાળ પૂર હોનારતમાં ડેમ તૂટવાના દાવા પર ચીનનો સણસણતો જવાબ

China Nepal Glacier Collapse 2026 : નેપાળમાં અચાનક આવેલી વિનાશક પૂરની હોનારત બાદ ચીને નેપાળના એ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીનની સીમા તરફથી ડેમ તૂટવાના કારણે આ તબાહી મચી છે. બીજિંગ સ્થિત ચીની દૂતાવાસે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને આ દાવાને ફેક ન્યૂઝ ગણાવ્યો છે. નેપાળ તરફથી એવો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો કે ચીને સમયસર કોઈ ચેતવણી આપી નહોતી, જેના કારણે ભારે જાનમાલનું નુકસાન થયું છે. ચીને આ બાબતે વળતો પ્રહાર કરતાં જણાવ્યું કે આરોપ-પ્રત્યારોપથી કોઈ ઉકેલ નહીં આવે, પરંતુ પરસ્પર સહયોગથી જ લોકોના જીવ બચાવી શકાશે.

ભૂકંપ જેવા આંચકાના કારણે ગ્લેશિયર તૂટતાં દુર્ઘટના સર્જાઈ

નેપાળ સ્થિત ચીની દૂતાવાસે જારી કરેલી અધિકૃત માહિતી મુજબ, 26 ઑગસ્ટની સવારે નેપાળી ક્ષેત્રમાં ભૂકંપ અથવા ભૂકંપ જેવા આંચકાના કારણે ગ્લેશિયરનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. ગ્લેશિયર ધરાશાયી થતાં ભારે માત્રામાં કાદવ, પાણી અને કાંપનો પ્રવાહ ઝડપથી નીચે તરફ વહેવા લાગ્યો હતો. આ કારણે ગિયિરૌંગ-રાસુવાગઢી (Girong-Rasuwagadhi) સરહદી વિસ્તારની બંને બાજુ (નેપાળ અને ચીન) વ્યાપક પ્રમાણમાં જાનમાલનું નુકસાન થયું છે અને અનેક લોકો ગુમ થયા છે.

175 લોકોના મોત અને 1500થી વધુ લોકો ગુમ

આ વિનાશક આફતમાં પાણી, પથ્થરો અને બરફના મજબૂત પ્રવાહને કારણે આશરે 175 લોકોના મોત થયા છે અને 1500થી વધુ લોકો હજુ પણ ગુમ છે. અચાનક આવેલા આ પૂરના પ્રવાહમાં આખેઆખા ગામો તણાઈ ગયા હતા અને અનેક બિલ્ડિંગો તથા રસ્તાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા અત્યારે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે.

તિબેટ-કાઠમંડુ રૂટ પર વ્યાપક તબાહી

આ ઘટના તિબેટના લ્હાસાથી નેપાળની રાજધાની કાઠમંડુને જોડતા પહાડી ક્ષેત્રમાં બની હતી. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ટ્રેકર્સ આવતા હોય છે. શરૂઆતમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકી જીઓલોજિકલ સરવે(USGS) એ સ્પષ્ટ કર્યું છે કે તે બરફ અને ખડકો તૂટી પડવાથી સર્જાયેલા સિસ્મિક સિગ્નલ્સ હતા, જેના લીધે મલબો વહેવા લાગ્યો હતો.