- શુક્રવારે 'સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય શાંતિ રક્ષક' દિવસે ભારતના ત્રણ જવાનોને મળેલું આ પદક ભારતની વૈશ્વિક છબી ઉજાળે છે
સંયુક્ત રાષ્ટ્ર : સંયુક્ત રાષ્ટ્રે આજે શુક્રવારે 'આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક' દિવસે ભારતના બે શાંતિ રક્ષકોને મરણોત્તર સર્વોચ્ચ સન્માન જાહેર કર્યા. તેમજ ભારતીય સેનામાં મહિલા અધિકારી મેજર અભિલાષા બરાકને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજવામાં આવ્યાં. આ સાથે ભારતની વૈશ્વિક છબી તેમણે ઉજાળી છે.
સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસે એક વિશેષ સમારોહમાં પ્રતિષ્ઠિત 'દાગ-હેમરશુલ્ડ' મેડલથી તેમને સન્માનિત કર્યા હતા. તે જવાનો લાંસ હવાલદાર હરભજનસિંઘે 'ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો'માં સંયુક્ત રાષ્ટ્રના સ્થિરીકરણ મિશન (મોજીસ્કો)માં પોતાની સેવા આપી હતી, અને ડયુટી દરમિયાન જ તેઓ શહીદ થઈ ગયા હતા. જ્યારે નાયબ સુબેદાર સુજિતકુમાર પ્રધાન, દક્ષિણ સુદાનમાં યુ.એન. મિશન 'યુરેનામિક' નીચે સેવા આપતા હતા. આ મિશન દરમિયાન પોતાનાં કર્તવ્યનું પાલન કરતાં તેમણે જાન ગુમાવ્યો.
હરિયાણામાં પંચકૂલાનાં વતની કેપ્ટન અભિલાષા બરાકે ભારતીય સેનાનાં પહેલાં કોમ્બેટ એવિએટર બની ભારતનું નામ રોશન કર્યું છે. તેઓના કર્નલ પિતા ઓમકારસિંહ બરાકે કહ્યું હતું કે, તેમના પરિવારની પૃષ્ઠભૂમિ સેના સાથે જોડાયેલ છે.
અભિલાષાનો જન્મ નીલગીરી ઉટી પાસેનાં વિલિંગીરીમાં થયો હતો. ૧૨મી સુધી હિમાચલ પ્રદેશમાં (જ્યાં તેમના પિતા હતા ત્યાં) અભ્યાસ કર્યો પછી બી.ટેક. દિલ્હીમાં કર્યું.
આ સમાચાર મળતાં હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુદાએ અભિલાષાને અભિનંદનો આપ્યાં હતાં.


