World

માતા-પિતાનો એકનો એક પુત્ર, એક મહિના પહેલા જ થઈ હતી સગાઈ: રશિયાના હુમલામાં ભારતીયનું મોત

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
યુક્રેનના ઓડેસા બંદર નજીક રશિયન હુમલામાં માલવાહક જહાજ (MV ગોલ્ડન લિયો) પર 4 ભારતીયો સહિત 10 ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. મૃતકોમાં કેરળના કાસરગોડના 26 વર્ષીય નાવિક અખિલ જોયન પણ સામેલ છે, જેમના 2 મહિના પછી લગ્ન હતા. તેઓ પરિવારના એકમાત્ર કમાતા સભ્ય હતા. કેરળ સરકારે મૃતદેહ ભારત લાવવા કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માતા-પિતાનો એકનો એક પુત્ર, એક મહિના પહેલા જ થઈ હતી સગાઈ: રશિયાના હુમલામાં ભારતીયનું મોત
Facebook Image by Akhil Joyan

Akhil Joyan Kerala Merchant Navy: યુક્રેનના ઓડેસા બંદર નજીક એક માલવાહક જહાજ (એમવી ગોલ્ડન લિયો) પર રશિયન દળો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ચાર ભારતીયો સહિત 10 ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. આ મૃતકોમાં કેરળના કાસરગોડ જિલ્લાના 26 વર્ષીય નાવિક અખિલ જોયન પણ સામેલ છે. અખિલની બે મહિના પછી જ લગ્ન નક્કી થયા હતા અને તેઓ એક મહિના પહેલા જ રજાઓ ગાળીને કામ પર પાછા ફર્યા હતા. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ તેમના પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પરિવારનો એકમાત્ર આશરો છીનવાયો

અખિલ છેલ્લાં છ વર્ષથી મર્ચન્ટ નેવીમાં સેવા આપી રહ્યા હતા અને માત્ર 19 વર્ષની ઉંમરે જ આ ક્ષેત્રમાં જોડાયા હતા. તેઓ પોતાના પરિવારના એકમાત્ર કમાતા સભ્ય હતા. તેમના પિતા એક ઈલેક્ટ્રિક દુકાનમાં કામ કરે છે જ્યારે માતા વીમા એજન્ટ છે. અખિલે તાજેતરમાં જ પરિવાર માટે એક નવું ઘર બનાવ્યું હતું અને તેઓ પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે ટૂંક સમયમાં જ નવી નોકરી શરૂ કરવાનું આયોજન કરી રહ્યા હતા.

લગ્નની તૈયારીઓ વચ્ચે શોકનો માહોલ

સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓ અનુસાર, અખિલ તેમના વિસ્તારમાં અત્યંત શિસ્તબદ્ધ અને એક જાણીતા દોરડા ખેંચ (રસ્સાકશી) ખેલાડી તરીકે લોકપ્રિય હતા. અલપ્પુઝા જિલ્લાની યુવતી સાથે તેમની સગાઈ થઈ હતી અને બે મહિના પછી લગ્ન યોજાવાના હતા. સોમવારે સાંજે શિપિંગ કંપની તરફથી આવેલા એક ઈમેલ દ્વારા પરિવારને આ કરૂણ ઘટનાની જાણ થઈ હતી.

કેરળ સરકાર અને વહીવટીતંત્રે હાથ ધરી કામગીરી

અખિલના પાર્થિવ દેહને ભારત લાવવા અને અન્ય કાનૂની વિધિઓ પૂર્ણ કરવા માટે પરિવાર અને સ્થાનિક નેતાઓ સતત પ્રયાસો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેરળના મુખ્યમંત્રી કાર્યાલયે નોન-રેસિડેન્ટ કેરળાઇટ્સ અફેર્સ વિભાગ (NORKA)ને રશિયન એમ્બેસી અને ભારતના વિદેશ મંત્રાલય સાથે સંપર્ક સાધીને ઝડપી કાર્યવાહી કરવાના સૂચનો આપ્યા છે.

હુમલાની વિગત

રિપોર્ટ અનુસાર, ગિની-બિસાઉના ધ્વજ હેઠળ મકાઈ લઈને જઈ રહેલા આ માલવાહક જહાજને ઓડેસા બંદર પરથી ઉપડ્યાના થોડા જ સમયમાં રશિયન દળોએ નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં ભારત અને સીરિયાના નાવિકો સહિત 10 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 8 લોકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે.