મોજતબા ખામેનેઈનું હિઝબુલ્લાહને ખુલ્લુ સમર્થન, કહ્યું - જેહાદ અને પ્રતિરોધ સિવાય કોઈ રસ્તો નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hezbollah Iran support: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ હિઝબુલ્લાહના લડાયકોના સમર્થનમાં એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તેમણે સ્પષ્ટ કર્યું છે કે હિઝબુલ્લાહના લડાયકોનું રક્ષણ કરવું અને લેબેનોનની પ્રાદેશિક અખંડિતતા જાળવવી એ ઈરાનની મુખ્ય વ્યૂહરચના છે. આ સાથે જ તેમણે ઈઝરાયલને લેબેનોન સામેની પોતાની તમામ લશ્કરી કાર્યવાહી કોઈ પણ શરત વગર તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે કડક શબ્દોમાં માગ કરી છે.
હિઝબુલ્લાહના બલિદાન અને શહીદોને શ્રદ્ધાંજલિ
હિઝબુલ્લાહના મહાસચિવ શેખ નઈમ કાસિમ અને સંગઠનના લડાયકો દ્વારા મોકલવામાં આવેલા પત્રના જવાબમાં, અલી ખામેનેઈએ હિઝબુલ્લાહની ધીરજ, ગૌરવ અને બલિદાનના ખુલ્લા મનથી વખાણ કર્યા હતા. તેમણે આ સંગઠનને ઈઝરાયલ સામેના પ્રતિકારની એક અડીખમ ચટ્ટાન ગણાવ્યું હતું. ભૂતપૂર્વ હિઝબુલ્લાહ નેતા સૈયદ હસન નસરલ્લાહ અને અન્ય દિવંગત કમાન્ડરોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું કે, લડાયકોના સમર્પણને કારણે જ આજે હિઝબુલ્લાહ એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. જિહાદ અને પ્રતિકાર સિવાય બીજો કોઈ રસ્તો નથી અને સત્યના માર્ગે લડી રહેલા લોકોને અંતે ચોક્કસ વિજય મળશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે હુમલાઓ રોકાયા
છેલ્લા બે-ત્રણ દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે સામાસામે થતા હુમલાઓ અટકી ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દૂત તથા અન્ય વિદેશી નેતાઓએ સંકેત આપ્યા છે કે શાંતિ વાટાઘાટો માટે થોડી તક અને સમય આપવામાં આવી રહ્યા છે.
બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ પુષ્ટિ કરી છે કે મધ્યસ્થીઓ મારફતે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે પરોક્ષ રીતે સંદેશાઓની આપ-લે ચાલુ છે. જોકે, ઈરાને એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમને અમેરિકાના ઈરાદાઓ પર હજુ પણ ભારે આશંકા છે.
નેતન્યાહૂ મંગળવારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પને મળશે
બીજી તરફ, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ મંગળવારે વોશિંગ્ટન ખાતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્ત્વની મુલાકાત કરશે. નેતન્યાહૂએ જણાવ્યું કે તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નાબૂદ કરવાના ટ્રમ્પના પ્રયાસોનું સંપૂર્ણ સમર્થન કરે છે. તેમણે સંકેત આપ્યો કે જો મોટો સૈન્ય સંઘર્ષ કર્યા વિના ઈરાનનો પરમાણુ કાર્યક્રમ રોકી શકાય તો તે આવકારદાયક છે. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન કે તેના સહયોગી જૂથો ફરીથી ઈઝરાયલ પર સીધો કે આડકતરો હુમલો કરશે, તો તે ઈરાન માટે ખૂબ મોટી ભૂલ સાબિત થશે.









