World

કેનેડાના સરેમાં ગોળીબાર અને આગચંપી મામલે 3 ભારતીયોને સજા, એકને તો 5 વર્ષની કેદ

By GS Team
11 Jun 20263 mins read
TukuTouch Logo
કેનેડાના સરે શહેરમાં થયેલા એક સનસનીખેજ ફાયરિંગ અને આગચંપીના કેસમાં કોર્ટે ત્રણ ભારતીય યુવકોને દોષિત ઠેરવીને સજા ફટકારી છે. આ મામલો ફેબ્રુઆરી 2026નો છે, જ્યારે મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર થવા અને એક ઘરની બહાર આગ લાગવાની માહિતી મળતાં પોલીસ એક્શનમાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડાના સરેમાં ગોળીબાર અને આગચંપી મામલે 3 ભારતીયોને સજા, એકને તો 5 વર્ષની કેદ

3 Indians sentenced in Canada Firing Case: કેનેડાના સરે શહેરમાં થયેલા એક સનસનીખેજ ફાયરિંગ અને આગચંપીના કેસમાં કોર્ટે ત્રણ ભારતીય યુવકોને દોષિત ઠેરવીને સજા ફટકારી છે. આ મામલો ફેબ્રુઆરી 2026નો છે, જ્યારે મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર થવા અને એક ઘરની બહાર આગ લાગવાની માહિતી મળતાં પોલીસ એક્શનમાં આવી હતી. સરે પોલીસ સર્વિસ (SPS)ના જણાવ્યા પ્રમાણે 1 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે લગભગ 3:50 વાગ્યે પોલીસને સૂચના મળી હતી કે સરેના ક્રેસન્ટ બીચ વિસ્તારમાં એક ઘરની બહાર ફાયરિંગ થયું છે અને ત્યાં સામાન્ય આગ પણ લાગી છે. આ ઘટના ક્રેસન્ટ રોડ અને 132 સ્ટ્રીટની આસપાસ બની હતી. સૂચના મળતાં જ પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ સમયે સરે પોલીસની 'પ્રોજેક્ટ એશ્યોરન્સ' (Project Assurance) ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસ અધિકારીઓએ તાત્કાલિક સમગ્ર વિસ્તારને સુરક્ષિત કર્યો અને મામલાની તપાસ હાથ ધરી હતી.

તપાસની જવાબદારી SPSના મેજર ક્રાઈમ સેક્શને સંભાળી હતી. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા અને આસપાસના સીસીટીવી કેમેરા, સાક્ષીઓ તેમજ અન્ય માહિતીના આધારે આરોપીઓની ઓળખ પ્રક્રિયા શરૂ કરી હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન ટૂંક સમયમાં જ ત્રણ શંકાસ્પદ યુવકોને 28 એવેન્યુ અને 140 સ્ટ્રીટ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ 21 વર્ષીય હરજોત સિંહ, 19 વર્ષીય તરનવીર સિંહ અને 21 વર્ષીય દયાજીત સિંહ બિલિંગ તરીકે થઈ હતી. પોલીસે આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ લોકોએ એવા વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો, જ્યાં કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતો.

તરનવીર સિંહને સૌથી વધુ સજા સંભળાવતા 5 વર્ષની જેલ

ત્યારબાદ પોલીસ તપાસ આગળ વધી અને આ કેસ સાથે જોડાયેલા પુરાવા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા. 9 જૂન 2026ના રોજ ત્રણેય આરોપીઓએ સરે પ્રાંતીય અદાલતમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. અદાલતે તરનવીર સિંહને સૌથી વધુ સજા સંભળાવતા 5 વર્ષની જેલની સજા સંભળાવી છે. તેને બેદરકારીપૂર્વક ફાયરિંગ કરવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. બીજી તરફ દયાજીત સિંહ બિલિંગ અને હરજોત સિંહને વિસ્ફોટક પદાર્થ ફેંકવાના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. અદાલતે દયાજીતને 27 મહિના અને હરજોતને 25 મહિનાની જેલની સજા સંભળાવી છે. આ બંનેની સજામાં તેમણે પહેલા જેલમાં વિતાવેલો સમય પણ સામેલ કરી લેવામાં આવશે. 

આ પણ વાંચો: ટ્રમ્પના જમાઈ વિરુદ્ધ આલ્બેનિયામાં પ્રચંડ દેખાવ, હજારો લોકો માર્ગો પર ઉતર્યા, જાણો શું છે આરોપ

સરે પોલીસે જણાવ્યું કે, આ સમગ્ર મામલે અમારી ક્રાઈમ ટીમ અને પેટ્રોલિંગ ટીમ વચ્ચે સારો તાલમેલ હોવાના કારણે આરોપીઓ સુધી ટૂંક સમયમાં પહોંચી શકાયુ હતું. પોલીસનું કહેવું છે કે, ઘટના પછી ઝડપી કાર્યવાહી કરીને પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા, જેના કારણે કોર્ટમાં મજબૂત કેસ બન્યો હતો. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેનેડાના ઘણા વિસ્તારોમાં ગેંગ સંબંધિત હિંસા અને ફાયરિંગની ઘટનાઓને લઈને પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. સરે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, જાહેર સલામતીને જોખમમાં મૂકતી આવી ઘટનાઓમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.