World

મુંબઇ-પુણેમાં વરસાદી મહાતોફાનમાં 13નાં મોત

By GS Team
7 Jul 20264 mins read
TukuTouch Logo
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં એક સપ્તાહથી ભારે વરસાદ અને રેડ એલર્ટથી જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઈમાં 80 કિમીની ઝડપે પવન ફૂંકાતાં અને 10 ઇંચ વરસાદ પડતાં 13 લોકોના મોત થયા છે. લોનાવાલામાં 28 ઇંચ વરસાદનો વિક્રમ નોંધાયો. ભેખડ ધસી પડતાં મુંબઈ-પુણે ટ્રેન વ્યવહાર ઠપ થયો છે અને 20થી વધુ ટ્રેનો રદ કરાઈ છે. શાળાઓ બંધ કરાઈ છે અને 'વર્ક ફ્રોમ હોમ'ની સલાહ અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ-પુણેમાં વરસાદી મહાતોફાનમાં 13નાં મોત

મુંબઇમાં 10 ઇંચ, લોનાવાલામાં 28 ઈંચ : વર્ક ફ્રોમ હોમ, સ્કુલ-કોલેજો બંધ
રેડ એલર્ટ વચ્ચે સતત એક સપ્તાહથી ભારે વરસાદ : મુંબઈમાં 80 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયા : ગુજરાત તરફના ટ્રેન વ્યવહારને પણ અસર
ભેખડ ધસવાથી રૂ. 7000 કરોડનો મિસિંગ લિંક બંધ, રેલવે ટ્રેક ધોવાતાં મુંબઈ-પુણે વિખૂટાં પડયાં
મુંબઈ : મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર પર મેઘરાજાએ મુકામ જમાવતાં છેલ્લાં એક સપ્તાહથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. તેમાં પણ છેલ્લા સતત ત્રણ-ચાર દિવસથી રેડ એલર્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ ખાબકતાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. ગઈ સાંજથી આજે સવાર સુધીમાં મુંબઈના વિવિધ વિસ્તારોમાં આઠથી દસ ઈંચ સુધીનો વરસાદ થયો હતો. જાકે, મુંબઈ-પુણે વચ્ચેના ઘાટ વિસ્તારમાં ૨૦થી ૨૫ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. લોનાવાલામાં ૨૮ ઈંચ જેટલો વરસાદ થયો હતા. હવામાન ખાતાંના સૂત્રોના જણાવ્યા અનુસાર વરસાદની નોંધણી શરુ થઈ ત્યારથી લોનાવાલામાં ૨૪ કલાકમાં મહત્તમ વરસાદનો આ એક વિક્રમ છે. ભારે વરસાદને પગલે ભેખડ ધસી પડતાં પુણે મિસિંગ લિંક તથા જૂનો પુણે હાઈવે પણ બંધ કરવાં પડયાં હતાં.
બીજી તરફ કર્જત પાસે ટ્રેક ધસી પડતાં મુંબઈ-પુણે વચ્ચે ટ્રેન વ્યવહાર પણ ઠપ થયો હતો. વિરાર પાસે ટ્રેક પર પાણી આવતાં મુંબઈથી ગુજરાત વચ્ચે ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી હતી. ૨૦થી વધુ ટ્રેનો રદ કરવાની અથવા તો વલસાડ સહિતના જુદાં જુદાં સ્ટેશન સુધી ટૂંકાવવાની ફરજ પડી હતી. હજુ આવતીકાલે નાસિકમાં ક્લાઉડ બર્સ્ટની આગાહીથી ત્ર્યંબકેશ્વર મંદિર બંધ કરી દેવાયું છે અને તકેદારીનાં પગલાં લેવાયાં છે. મુંબઈમાં ગત મધરાત પછી કલાકના ૮૦ કિમીની ઝડપે સૂસવાટાભેર પવન સાથે અતિભારે વરસાદ ખાબકતાં ડરના માર્યા મુંબઈગરાંની રાતે ઉંઘ વેરણ થઈ ગઈ હતી. સાઉથ મુંબઈમાં ચારથી છ ઈંચ વરસાદ પડયો હતો પરંતુ ઉત્તરીય પરાં વિક્રોલી, ભાંડુપ તથા મુલુંડ ઉપરાંત બોરીવલીમાં આઠ થી દસ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. બીજી તરફ વસઈ વિરારમાં ૧૨ ઈંચથી વધુ વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તોફાની પવનના કારણે સમગ્ર શહેરમાં ૪૦૦ જેટલાં સ્થળે વૃક્ષો ધસી પડવાની તથા દિવાલો કે મકાનના ભાગ ધસી પડવાની ઘટનાઓ બની હતી. ગઈ મોડી રાતે માનખુર્દ વિસ્તારમાં એક ચાલનું સ્ટ્રકચર તૂટી પડતાં છ લોકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત જુદી જુદી ઘટનાઓમાં કુલ ૧૩ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
મુંબઈમાં આજે દિવસ દરમિયાન અતિશય તોફાની પવન સાથે પરિસ્થિતિ વણસે તેવી આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં બપોર બાદ રજા જાહેર કરી દેવાઈ હતી. ખાનગી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમની સલાહ અપાઈ હતી. વિધાનસભાની બેઠક પણ ટૂંકાવી દેવામાં આવી હતી. રેડ એલર્ટની આગાહીને પગલે મુંબઈ સહિત થાણે, રાયગઢ, વસઈ વિરારમાં આજે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. જોકે,આજે સેન્ટ્રલ તથા વેસ્ટર્ન રેલવેમાં નાની મોટી ઘટનાઓને બાદ કરતાં લોકલ ટ્રેનો ચાલુ રહી હતી. મુંબઈ નજીકના વસઈ વિરારમાં અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા ઠેર ઠેર કમરસમા કે ઘૂંટણસમા પાણી ભરાયાં હતાં.
પુણે તથા રાયગઢ અને થાણે જિલ્લાઓમાં નાની મોટી નદીમાં પૂર આવ્યાં હતાં. રાયગઢ જિલ્લામાં પૂરમાં એસટી બસ સહિતનાં વાહનો ફસાતાં પ્રવાસીઓને એનડીઆરએફની ટીમ સહિતની રેસ્ક્યૂ એજન્સીઓ દ્વારા બચાવાયાંહતાં. રાયગઢ જિલ્લામાં ઠેર ઠેર ભૂસ્ખલન તથા હાઈવે પર પાણી ભરાતાં મુંબઈ-ગોવા હાઈવે બંધ થયો હતો અને કેટલાંય વાહનો ફસાઈ ગયાં હતાં. લગભગ ૧૨ કલાક સુધી હાઈવે બંધ રાખવો પડયો હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ એરપોર્ટ પર ૧૭ ફલાઈટ્સ રદ કરાઈ હતી આ ઉપરાંત બીજી પાંચ ફલાઈટ અન્ય શહેરો તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું હતું કે આગામી તા. આઠમી જુલાઈ સુધી રાજ્યભરમાં ભારે વરસાદનું સંકટ યથાવત રહે તેવી સંભાવના છે. નાસિકમાં આવતીકાલે ક્લાઉડ બર્સ્ટ થવાની શક્યતા છે. તેને પગલે ત્ર્યંબકેશ્વર મંદિર સહિત અન્ય જાણીતાં તીર્થસ્થાનો બંધ કરવામાં આવ્યાં છે. લોકોને ઈમરજન્સી સિવાય બહાર નહીં નીકળવા સલાહ અપાઈ છે.

દેશભરમાં ચોમાસુ ફરીવળ્યું, સર્વત્ર વરસાદ
ભારે વરસાદને પગલે કેટલાક રાજ્યોમાં એલર્ટ : ભુસ્ખલન, પૂર
હિમાચલ, કાશ્મીરમાં ભુસ્ખલન : નેશનલ હાઇવે પર અનેક વાહનો ફસાયા, અકસ્માતમાં એક બાળકીનું મોત

નવી દિલ્હી : સોમવારે ચોમાસાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને દેશમાં અનેક સ્થળે ભારે વરસાદ પડયો હતો. અનેક સ્થળે પૂર, ભુસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. કેટલાક લોકોના મોત પણ થયા છે. હિમાચલ પ્રદેશમાંં ભુસ્ખલન થયું હતું, ઓડિશામાં સતત ત્રીજા દિવસે અતી ભારે વરસાદ પડતા સમગ્ર રાજ્યને એલર્ટ કરવુ પડયું હતું. સોમવારે હિમાચલ પ્રદેશમાં ફ્લેશ ફ્લડને કારણે ચાંબા અને કુલ્લુ જિલ્લામાં રોડ બ્લોક થઇ ગયા હતા, એક રોડ અકસ્માતમાં ૧૪ વર્ષીય સગીરાનું મોત નિપજ્યું હતું. હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેને પગલે કેટલાક જિલ્લાઓને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. પર્યટન સ્થળ શિમલામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. મંગળવારથી ઝારખંડમાં પણ ભારે વરસાદની આગાહી છે.
રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડયો હતો, શ્રીમાધોપુરમાં સૌથી વધુ ૭૫ એમએમ વરસાદ પડયો હતો. આગામી પાંચથી સાત દિવસ માટે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. રાજધાની દિલ્હીમાં વરસાદને પગલે ઠંડક પ્રસરી જવા પામી હતી અને તાપમાન ૨૭ ડિગ્રીએ પહોંચ્ંષ હતું. જમ્મુ કાશ્મીરના દોડામાં પણ ભુસ્ખલનની ઘટના સામે આવી હતી જેને પગલે પ્રેમનગર વિસ્તારમાં નેશનલ હાઇવે પર ભુસ્ખલન થયું હતું. જેને પગલે કેટલાક વાહનો ફસાયા હતા.