નવી દિલ્હી,24 માર્ચ, 2026,મંગળવાર
ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રુવેન અઝરે ચોકાવનારું નિવેદન કરતાં જણાવ્યું હતું કે ખાડી દેશોમાં રહેતા 1 કરોડ જેટલા ભારતીયોને યુદ્ધથી જોખમ છે. ઈરાનની ક્ષેત્રિય હિલચાલ અને પરમાણુ મહત્ત્વાકાંક્ષા ખાડી દેશોમાં રહેતા ભારતીયોની જિંદગીને ખતરામાં લાવી દીધી છે. પશ્ચિમ એશિયામાં ચાલતા સૈન્ય અભિયાનોનો હેતું માત્ર ઈઝરાયેલ જ નહી સમગ્ર ક્ષેત્રને કટ્ટરપંથી ઇસ્લામી આતંકથી મુકત કરવાનો છે. જો ઈરાન પોતાની બેલાસ્ટિક મિસાઇલ અને ડ્રોનની પોતાની ક્ષમતા વધારશે તો તેની સીધી અસર ખાડી દેશોમાં રહેતા 1 કરોડ ભારતીયો પર થવાની છે. રુવેન અજરે સ્પષ્ટ કર્યુ હતું કે ઈરાન એક અસ્થિર ક્ષેત્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ખાડી દેશોની અર્થ વ્યવસ્થામાં ભારતીયોનું ખૂબ મોટું યોગદાન છે. જો આ સમગ્ર વિસ્તાર યુધ્ધની અસ્થિરતાની લપેટમાં આવશે તો કરોડો ભારતીયોની આજીવિકા છિનવાઇ જશે. ઈઝરાયેલી રાજદૂતે એવું પણ ઉમેર્યુ હતું કે ઈરાન જેવી વિનાશકારી શકિતઓ સક્રિય રહેશે ત્યાં સુધી આર્થિક રોકાણ અને શાંતિની કલ્પના કરવી મુશ્કેલ છે. ભારત-મધ્ય પૂર્વ યુરોપનો આર્થિક કોરિડોરનો પ્રોજેકટ સુરક્ષા મજબૂત હોયતો જ સફળ થઈ શકે છે. ઈરાન દ્વારા સમર્થિત પ્રોકસી સંગઠન અને તેની આક્રમક નીતિઓ કનેક્ટીવીટી પ્રોજેકટ માટે સૌથી અવરોધરુપ છે. ઈરાની ખતરો ઓછો કરવોએ માત્ર સુરક્ષા જ નહી પરંતુ ભારતના વ્યાપારિક વિસ્તાર માટે પણ જરુરી છે. ઈઝરાયેલનું મુખ્ય લક્ષ્ય ઈરાનની પરમાણુ અને મિસાઇલ ક્ષમતાનો નાશ કરવાનો છે. ઈરાને વર્તમાનમાં 12 દેશોને નિશાન બનાવીને ગેરજવાબદારીભર્યુ વર્તન કર્યુ છે.


