ગુસ્સો પણ હાર્ટ એટેકનું કારણ બની શકે? જાણો નિષ્ણાતોનું આ મામલે શું કહેવું છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anger Heart Attack Risk: આજકાલ નાની ઉંમરે હાર્ટ એટેકનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. પહેલા હાર્ટ એટેક મોટા ભાગે વૃદ્ધોને આવતો હતો. પરંતુ હવે કોઈપણ ઉંમરના વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. હાર્ટ એટેકથી ઘણા લોકોના જીવ પણ ગયા છે. ત્યારે આ વચ્ચે ફિટનેસ કોચ અને ઈન્ફ્લુએન્સર પ્રિયંકા મહેતાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે જે લોકોમાં ચર્ચાનો વિષય બની છે. તેણે વીડિયોમાં દાવો કર્યો છે કે, સતત ગુસ્સો પણ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. આ સાથે જ તેણે હાર્વર્ડની સ્ટડીનો હવાલો આપીને ફોલોઅર્સને ગુસ્સાના જોખમો અંગે ચેતવણી પણ આપી છે.
લોકો દરેક નાની-મોટી વાત પર ગુસ્સો કરતા જ હોય છે અને આવી સ્થિતિમાં એ કહેવું કે, સતત ગુસ્સો કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે, તો આ સાંભળીને લોકો હેરાન રહી ગયા છે. કારણ કે, ગુસ્સો તો દરેક લોકો કરે છે. તો ચાલો જાણીએ કે, શું ખરેખર ગુસ્સો હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
શું ગુસ્સો હાર્ટ એટેકનું કારણ બની શકે?
હાર્વર્ડના રિસર્ચ પ્રમાણે જ્યારે આપણે અતિશય મેન્ટલી અને ઈમોશનલી સ્ટ્રેસમાં હોઈએ છીએ, ત્યારે આપણા શરીરમાં કેટલાક ફેરફારો થવા લાગે છે. આ ફેરફારો હૃદયને પણ અસર કરે છે અને હૃદય સુધી પહોંચતું લોહી ઘટી શકે છે, જેને ઈસ્કેમિયા કહેવાય છે. જો કોઈને પહેલાથી જ હૃદયની બીમારી છે, તો આ તણાવના કારણે આ સ્થિતિ તેમના માટે હાર્ટ એટેકનું જોખમ બમણું કરી શકે છે.
વર્ષ 2020ની એક સ્ટડી જણાવે છે કે અચાનક ગુસ્સો, ચિંતા અથવા દુ:ખ જેવા ઈમોશનલ ટ્રિગર્સ હૃદય સાથે સંબંધિત ઘટનાઓનું કારણ બની શકે છે. તણાવ હોર્મોન્સ જેવા કે એડ્રેનાલિન અને કોર્ટિસોલ બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા અને લોહી ગંઠાઈ જવાને વધારે છે, જે હૃદયના દર્દીઓમાં ખાસ કરીને હાર્ટ એટેકનું ટ્રિગર બની શકે છે.
2021માં JAMAમાં પ્રકાશિત એક સ્ટડીએ પણ ગુસ્સાથી હાર્ટ એટેકના જોખમની વાતને મજબૂતી આપી હતી. તેમાં રિસર્ચરે લગભગ પાંચ વર્ષ સુધી 918 કોરોનરી હૃદયના દર્દીઓને ફોલો કર્યા. તેમાં તેમને જાણવા મળ્યું કે, જે લોકોમાં માનસિક તણાવના કારણે ઈસ્કેમિયાએ જન્મ લીધો હતો. તે લોકોમાં હાર્ટ એટેક અથવા હાર્ટ ફેલ્યોરની શક્યતા બમણી હતી. બીજી તરફ જેમનામાં માનસિક અને શારીરિક બંને પ્રકારના સ્ટ્રેસ ઈસ્કેમિયા હતા, તેમનામાં જોખમ લગભગ ચાર ગણું વધી ગયું હતું.
પુરુષોની તુલનામાં મહિલાઓ વધુ પ્રભાવિત!
મેસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના ન્યુક્લિયર કાર્ડિયોલોજીના ડિરેક્ટર ડૉ. અહેમદ તવાકોલાના જણાવ્યા પ્રમાણે 'સ્ટ્રેસ હૃદયની સૌથી નાની રક્ત વાહિનીઓ (માઈક્રોવેસ્ક્યુલર રોગ)ને અસર કરે છે , આ સમસ્યા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.'
આ પણ વાંચો: 'હું માણસોની જગ્યા લેવા નથી આવી', દુનિયાની પ્રથમ AI મંત્રીનું સંસદમાં વિસ્ફોટક ભાષણ
2022ના એક રિવ્યૂ સ્ટડીએ અનેક રિસર્ચ વિશે વાંચ્યુ અને તેમને જાણવા મળ્યું કે, ગુસ્સો અને તણાવ જેવા માનસિક અને સામાજિક સ્ટ્રેસ હૃદયની બીમારીનું જોખમ વધારે છે અને હૃદય સંબંધિત ઘટનાઓ પછી રિકવરીને ધીમી કરી શકે છે. ફેબ્રુઆરી 2023ની એક સ્ટડીએ ગુસ્સાને હાર્ટ એટેક સાથે સીધો જોડ્યો હતો. તેમાં તેમણે 313 દર્દીઓને પૂછ્યુ હતું કે, હાર્ટ એટેકના 48 કલાક પહેલા તમારામાં ગુસ્સાનું લેવલ કેવું હતું. જેમણે અતિશય ગુસ્સો હોવાનું જણાવ્યું હતું, તેમનામાં આગામી બે કલાકમાં હાર્ટ એટેકનું જોખમ 8.5 ગણું વધારે હતું.
સ્ટ્રેસ અને ગુસ્સો સ્વાસ્થ્ય માટે ખતરો!
દિલ્હીની ઈન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડૉ. ગીતા પ્રકાશે જણાવ્યું છે કે, 'ગુસ્સો માત્ર હાર્ટ એટેકનું જ કારણ નથી, પરંતુ તે હૃદય પર તણાવ વધારી શકે છે, ખાસ કરીને એવા લોકોમાં જેમનામાં પહેલાથી જ જોખમમાં છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ધૂમ્રપાન અથવા એન્જાઈના જેવી સ્થિતિઓ ધરાવતા લોકો વધુ સંવેદનશીલ હોય છે. ગુસ્સાને કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે, પરંતુ તે માત્ર એક ભાગ છે. ગુસ્સો અને સ્ટ્રેસ બંને જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આ સાથે જ અનહેલ્ધી ખાવા-પીવાનું અને લાઈફસ્ટાઈલ પણ સ્વાસ્થ્યને અસર કરે છે. તેથી બેલેન્સ ડાયટ, રોજ એક્સરસાઈઝ, યોગ અને ધ્યાન જેવી ટેવોને પોતાના જીવનમાં સામેલ કરવી જોઈએ. આ બધી બાબતો એકસાથે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.'









