Get The App

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા 1 - image

ગામમાં જ આંતરી પાઇપના આડેધડ ઘા ઝીંકી દીધા

અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી આરોપી અવારનવાર ધાકધમકી આપતો હતો

રાજકોટ: વિંછીયાના છાશીયા ગામે રહેતા જસમતભાઇ ઉર્ફે મનસુખભાઇ માવજીભાઇ મકવાણા (ઉ.વ.૩૫)ની જૂની અદાવતને કારણે ગામમાં જ રહેતા રમેશ ઉર્ફે ભટ્ટુ લીંબાભાઇ જોગરાજીયાએ પાઇપના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. વિંછીયા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ તપાસ જારી રાખી છે.

હત્યાનો ભોગ બનનારના પત્ની સંગીતાબેન (ઉ.વ.૩૫)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ખેતીકામ કરે છે. ગઇકાલે બપોર પછી તેના પરિવારના સભ્યો વાડીએ હતા. તે ઘરે ઇમિટેશનનું કામ કરે છે. જે તેના ઓરી ગામે રહેતા ભાઇ દેવરાજને આપવાનું હોવાથી સાંજે તેનો પતિ બાઇક ઉપર રવાના થયો હતો. 

જ્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે છાશીયા ગામમાં મેઇન રોડ પર આરોપીએ તેને આંતરી પાઇપના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેથી તેનો પતિ લોહીલુહાણ હાલતમાં પટકાઇ ગયો હતો. તેના પતિને ૧૦૮માં વિંછીયા સિવિલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

૨૦૨૪ની સાલમાં આરોપીએ તેના પતિ અને સસરા ઉપર પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને કારણે આરોપી અવારનવાર તેના ઘરે અને વાડીએ આવી મારી નાખવાની ધમકી આપતો હતો. આ તકરારને કારણે જ આરોપીએ તેના પતિની હત્યા કરી નાખી હતી.