Get The App

નડિયાદમાં બિલ્ડર્સ દ્વારા એક જ મકાન બે વ્યક્તિને પધરાવતા પોલીસમાં લેખિત રજૂઆત

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદમાં બિલ્ડર્સ દ્વારા એક જ મકાન બે વ્યક્તિને પધરાવતા પોલીસમાં લેખિત રજૂઆત 1 - image

- રૂપિયા 7.25 લાખની છેતરપિંડી આચર્યાનો આક્ષેપ

- બિલ્ડરોએ મકાન બુક કરી નાણાં લીધા બાદ અન્યને વેચાણ કરી દીધું હોવાનો આક્ષેપ, ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરાઈ

નડિયાદ : નડિયાદમાં રહેતા અને વકીલાત તેમજ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા મહિલા દ્વારા શહેરના જાણીતા બિલ્ડર્સ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની લેખિત રજૂઆત રૂરલ પોલીસ મથકે કરવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવા બિલોદરા ખાતે આવેલી અક્ષય બંગલોઝ નામની સાઇટમાં મકાન બુક કરાવી ૭.૨૫ લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં બિલ્ડરોએ આ મકાન અન્ય વ્યક્તિને ઊંચી કિંમતે વેચી મારી મૌખિક કરારનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે મહિલાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી ન્યાય માટે રજૂઆત કરી છે.

વર્ષાબેન ચૌહાણ નામના મહિલાએ પોલીસને કરેલી લેખિત રજૂઆત મુજબ, તેમણે વર્ર્ષ ૨૦૨૩માં સોશિયલ મીડિયા અને જાહેરાતના બોર્ડ જોઈને નવા બિલોદરા બ્રિજ પાસે આવેલી મન બિલ્ડર્સની અક્ષય બંગલોઝ સાઇટની મુલાકાત લીધી હતી. ત્યાં તેમને સેમ્પલ હાઉસ પસંદ આવતા બિલ્ડર સંદિપભાઈ પટેલ અને મેનેજર મીતેશભાઈ સાથે વાતચીત કરી મકાન નંબર ૬ પોતાની દીકરી દિવ્યાના નામે રાખવાનું નક્કી કર્યું હતું. આ સોદો ૪૦,૧૧,૦૦૦માં નક્કી થયો હતો અને તે સમયે એવી સમજૂતી થઈ હતી કે જંત્રીની રકમનો ચેક આપવો અને બાકીના નાણાં રોકડા ચૂકવવા. આ નક્કી થયા બાદ ફરિયાદીએ તબક્કાવાર કુલ ૭.૨૫ લાખ ચૂકવ્યા હતા, જેની નોંધ બિલ્ડરના રજિસ્ટર અને ફરિયાદીની ડાયરીમાં પણ કરવામાં આવી હતી. ફરિયાદીએ જ્યારે બાકીના ૮ લાખ આપવા માટે બિલ્ડરનો સંપર્ક કર્યોે ત્યારે બિલ્ડરોએ બે દિવસ પછી જણાવવાનું કહી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું, તેવું ફરિયાદમાં જણાવાયું છે. ગત ૧૩ ફેબુ્રઆરીના રોજ ફરિયાદી રૂબરૂ ઓફિસે પહોંચ્યા ત્યારે બિલ્ડર સંદિપભાઈ પટેલે સ્પષ્ટ કહી દીધું હતું કે, આ મકાન અન્ય વ્યક્તિને વેચી દીધું છે અને હવે તમને વેચાણ આપવાનું નથી. એટલું જ નહીં, બિલ્ડરોએ નાણાં પરત આપવાની પણ ના પાડી દઈ ધમકી આપી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ છે. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બિલ્ડરોએ આ જ મકાન સરસવણીના એક વ્યક્તિને ૬૦ લાખમાં વેચી તેની પાસેથી ૪૦ લાખ એડવાન્સ પણ લઈ લીધા છે.

જે બાદ બિલ્ડરોને ફરિયાદીએ લીગલ નોટિસ મોકલી હતી, પરંતુ તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, બિલ્ડરો રાજકીય વગ ધરાવતા અને માથાભારે હોવાથી તેમના જાનનું જોખમ છે. આ સમગ્ર પ્રકરણમાં મન બિલ્ડર્સના ભાગીદારો સંદિપ પટેલ, ભુપેન્દ્ર પટેલ અને અક્ષય પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરી છેતરપિંડીનો ગુનો નોંધવા માટે નડિયાદ રૂરલ પોલીસ સહિત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમજ બિલ્ડરોએ જે વ્યક્તિને મકાન વેચ્યું છે તેમને પણ ફરિયાદીએ વકીલ મારફતે નોટિસ પાઠવી છે. આ નોટિસમાં જણાવાયું છે કે, બિલ્ડરોએ ફરિયાદી પાસેથી નાણાં લીધા હોવા છતાં દસ્તાવેજ કરી આપ્યો નથી, તેથી અન્ય કોઈએ પણ આ મકાનનો દસ્તાવેજ કરવો નહીં.