Get The App

જામનગરમાં તિરુપતિ પાર્ક સોસાયટીમાં ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં ગંભીર સ્વરૂપે દાઝી જતાં મૃત્યુ નિપજવાથી ભારે અરેરાટી

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં તિરુપતિ પાર્ક સોસાયટીમાં ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં ગંભીર સ્વરૂપે દાઝી જતાં મૃત્યુ નિપજવાથી ભારે અરેરાટી 1 - image

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક મહિલા પોતાના ભાણેજના લગ્ન પ્રસંગમાં તિરુપતિ સોસાયટીમાં ગયા હતા, અને કરિયાવરની વિધિ ચાલી રહી હતી, જે દરમિયાન જમીન પરનું ફ્લોરિંગ સળગવા લાગતાં મહિલાની સાડીને તેની ઝાળ અડી ગઈ હતી, અને તેઓ પણ ગંભીર સ્વરૂપે તમામ જાનૈયાઓ ની વચ્ચે દાઝી ગયા હતા, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જે બનાવને લઈને લગ્ન સમારંભમાં ભારે સોંપો પડી ગયો હતો.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં રહેતા અને જીઆઇએસએફમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજા (37) કે જેઓના ભાણેજ ના લગ્ન જામનગરના તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં યોજાયા હતા.

ગત 8મી તારીખે જાહેરમાં લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો, અને માંડવામાં સિધ્ધરાજસિંહ ના પત્ની ભાવનાબા સિદ્ધરાજસિંહ જાડેજા (ઉ.વર્ષ. 34) કે જેઓ પોતાની ભાણેજના કરિયાવરની વિધિના પ્રસંગમાં હાજરી આપી રહ્યા હતા.

જે દરમિયાન નીચે જમીન પર પાથરેલું પ્લાસ્ટિકનું ફ્લોરિંગ કે તેમાં કોઈપણ રીતે આગ લાગી ગઈ હશે, અને સળગતું હશે, જેના ઉપર ભાવનાબાની સાડી નો છેડો અડી જતાં પાછળથી સાડી એકાએક સળગવા લાગી હતી, અને તેઓએ સાડીનું ડ્રાયકલીન કરાવી હોવાથી તેમાં કેમિકલ હોવાના કારણે આગ ક્ષણભરમાં જ તેઓની સાડીમાં પ્રસરી ગઈ હતી, અને સર્વે જાનૈયાઓની વચ્ચે તેઓએ ભારે બુમાબુમ કરીમૂકી હતી, અને ત્યાં હાજર રહેલા અન્ય કુટુંબીઓએ ઠારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્ષણભરમાંજ ભાવનાબેન 70 ટકાથી વધુ દાઝી ગયા હતા, અને તેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ગત 14મી તારીખે તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને લઈને સમગ્ર પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.

આ બનાવ અંગે મૃતક ભાવનાબા ના પતિ સિધ્ધરાજસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ભાવનાબા ના મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ભાવનાબા ને 14 વર્ષ અને 13 વર્ષના બે સંતાનો છે, જેઓ માતા વિહોણા બની ગયા છે.

ડ્રાયકલીન કરાવેલી સાડી મોતનું કારણ બની

જામનગર માં તિરૂપતિ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં ભાવનાબા સિદ્ધરાજસિંહ જાડેજા નામના મહિલાનું વિચિત્ર અકસ્માતમાં દાઝી જવાથી મૃત્યુ નીપજ્યું હતું, જે બનાવમાં તેઓએ ડ્રાયક્લિન કરાવેલી સાડી મૃત્યુનું કારણ બની છે.

જે સાડીમાં કેમિકલ લગાવેલું હોવાથી જમીન પરનું ફ્લોરિંગ સળગવાથી સાડીમાં કેમિકલ હોવાના કારણે ક્ષણભરમાં જ સાડી સળગી ઊઠી હતી, અને તેની અગ્નિજવાળામાં ભાવનાબા સપડાઈ ગયા હતા, અને મૃત્યુ નિપજ્યું હતું.