Ahmedabad News: અમદાવાદના સાણંદમાં આવેલા ગણાસર ગામમાં આડા સંબંધમાં આંધળી બનેલી પત્નીએ પોતાના પતિની જ ઘાતકી હત્યા કરી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાને અંજામ આપી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જો કે, પોલીસે સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં જ આ હત્યાકાંડનો ભેદ ઉકેલી બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા
સાણંદના ગણાસર ગામના ઈન્દિરા આવાસમાં રહેતા 30 વર્ષીય સંજય અજમલજી ઠાકોર ગત 10 એપ્રિલ, 2026ના રોજ સવારે પોતાના જ ઘરમાં ખાટલા પર શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવ્યા હતા. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પીએમ રિપોર્ટે ખોલી પોલ!
જ્યારે પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, સંજયનું મોત ગળું દબાવવાને કારણે થયું છે. તપાસમાં ખુલ્યું કે, મરનાર સંજયની 25 વર્ષીય પત્ની પાયલ અને તે જ ગામમાં રહેતા 23 વર્ષીય રાહુલ ઘનશ્યામભાઈ ઠાકોર વચ્ચે પ્રેમ સંબંધ હતો. રાત્રિના સમયે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પાયલે પોતાના પ્રેમી રાહુલને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ રાહુલે સંજયના બંને હાથ પકડી રાખ્યા હતા અને પાયલે ટુવાલ તથા ઓશિકા વડે પતિનું મોઢું અને ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો: કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત
પતિની હત્યા કર્યા બાદ આરોપી પત્ની પાયલ અને તેનો પ્રેમી રાહુલ લાશને ખાટલામાં જ સૂતેલી હાલતમાં મૂકી, બહારથી દરવાજો બંધ કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે મૃતકના પિતાએ પોતાની પુત્રવધૂ અને રાહુલ પર શંકા વ્યક્ત કરી હતી, કેમ કે બંને ઘટના બાદ ગાયબ થઈ ગયા હતા. આ દિશામાં સાણંદ પોલીસે હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સની મદદથી બંનેને ઝડપી પાડ્યા હતા.


