Get The App

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 'પોસ્ટમોર્ટમ'

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 'પોસ્ટમોર્ટમ' 1 - image


Gujarat Politics: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે કોંગ્રેસ જાણે ચૂંટણી જીતવામાં નહીં, પણ ટિકિટો વેચવાનો ધંધો કરવા અને અંદરોઅંદર લડવામાં રસ છે. પ્રજામાં ભાજપ સરકારની નિષ્ફળતા અને મોંઘવારી-બેરોજગારીને લઈને ભારે આક્રોશ હતો. જનતા પરિવર્તન ઈચ્છતી હતી, પણ કોંગ્રેસે પોતાના જ પગ પર કુહાડી મારીને ભાજપને જીતની થાળી સોંપી દીધી છે.

કોંગ્રેસ નેતા-સ્ટાર પ્રચારકો એસી ચેમ્બરમાં બેસી રહ્યા

ચૂંટણીનું પોસ્ટમોર્ટમ કરતાં એવા ચોંકાવનારાં તારણો બહાર આવ્યા છે કે, ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મંચ પરથી મોટી-મોટી વાતો કરતા હતા કે, સારો ઉમેદવાર હશે તેને જ ટિકિટ મળશે. પરંતુ વાસ્તવિકતામાં નેતાઓએ ‘સારો એ મારો’ની ફોર્મ્યુલા બાજુ પર મૂકીને ‘મારો તે જ સારો’ની નીતિ અપનાવી હતી જે ઘાતક નીવડી હતી.

રાજ્યમાં અનેક બેઠકો પર એવો ખેલ જોવા મળ્યો કે જે કાર્યકરો વર્ષોથી જમીન પર મહેનત કરતા હતા તેનું રાતોરાત પત્તું કાપી નાખવામાં આવ્યું. સ્ક્રીનિંગ કમિટીએ નક્કી કરેલા નામોને બાયપાસ કરી ‘માનીતા’ ઉમેદવારોને રાતના અંધારામાં બારોબાર મેન્ડેટ પધરાવી દેવાયા. જ્યારે સવારે જાગ્યા ત્યારે દાવેદારોને ખબર પડી કે, પક્ષે જ પીઠમાં ખંજર ભોંકી દીધું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કેશવ નારાયણ બિલ્ડકોને બેન્ક સાથે કરી ઠગાઇ, ગીરવે મૂકેલી મિલકત વેચી ખાધી

કોંગ્રેસના ઈતિહાસમાં કદાચ સૌથી શરમજનક રેકોર્ડ નોંધાયો છે જ્યાં 500થી વધુ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. ભાજપને જીત અપાવવાનો આ ખુલ્લો ખેલ હતો. નબળા અને વેચાઈ જાય તેવા ઉમેદવારોની ભલામણ કરનારા પ્રદેશના આકાઓ પર હજુ સુધી કોઈ શિસ્તભંગના પગલાં કેમ લેવાયા નથી? આ વખતે ટિકિટો લાયકાત જોઈને નહીં, પણ ‘નોટોના બંડલ’ જોઈને વહેંચવામાં આવી હતી. અનેક જગ્યાએ કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો અને લેતી-દેતીની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જે પક્ષ ચૂંટણી લડતા પહેલા જ ટિકિટોનો વેપાર માંડીને બેસે, તેની પાસે પ્રજા કઈ આશાએ વોટ આપે? આ ઉપરાંત આખીય ચૂંટણીમાં પ્રદેશના નેતાઓ-સ્ટાર પ્રચારકો પણ એસી ચેમ્બરમાં બેસી રહ્યા હતા.